Gujarat Board Exam: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યુ છે કે, સકારાત્મક વિચારસરણી દ્વારા સિદ્ધિના શિખરો પ્રાપ્ત કરશે એવી મને ચોક્કસ ખાતરી છે.
ગાંધીનગર: આગામી માસમાં શરૂ થઈ રહેલી બોર્ડની જાહેર પરીક્ષાને લઈ પરીક્ષાર્થીઓને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી, જિલ્લા કલેક્ટર દ્વારા એમ ત્રણ-ત્રણ શુભેચ્છાપત્રો પાઠવવામાં આવશે. આ પ્રકારે શુભેચ્છા પત્રો પાઠવવાની સૂચના રાજ્ય સરકાર દ્વારા આપવામા આવી છે. આ સૂચનાનો અમલ કરતા પરીક્ષાર્થીઓને શુભેચ્છાપત્રો પહોંચાડવાની કામગીરી શિક્ષણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે, શિક્ષણમંત્રીઓએ તેમના પત્રમાં “અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી’’ પંક્તિ ટાંકીને આ પરીક્ષા તમારા જીવનનો પ્રથમ પડાવ છે અને સમગ્ર વર્ષ દરમ્યાન ખૂબ જ મહેનત કરી છે તેનું ફળ અવશ્ય આપને પ્રાપ્ત થશે તેવી શુભેચ્છા પાઠવી છે.
આ શુભેચ્છા પત્રમાં શિક્ષણમંત્રી ડિંડોર અને પાનસેરિયાએ જણાવ્યુ છે કે, તમે કરેલા પુરૂષાર્થ પર વિશ્વાસ રાખી ઉત્તમ પરિણામ મેળવવા મક્કમ મનોબળ રાખીને પરીક્ષા આપજો. તંદુરસ્ત મન અને તંદુરસ્ત શરીર જરૂરી છે. પ્રબળ આત્મવિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યુ છે કે, સકારાત્મક વિચારસરણી દ્વારા સિદ્ધિના શિખરો પ્રાપ્ત કરશે એવી મને ચોક્કસ ખાતરી છે. નિયમિત વાંચનથી અને એકાગ્રચિત્તે દરેક વિષયની સુંદર પૂર્વ તૈયારી કરી છે. ત્યારે નિર્ભિક અને સ્વસ્થ મને ઉલ્લાસપૂર્વક પરીક્ષા આપશો. તેમણે આ પત્રમાં હકારાત્મક અભિગમ દ્વારા મનન-ચિંતન કરવા પર ભાર મુક્યો છે. તેમણે વડાપ્રધાન મોદીના પુસ્તક એક્ઝામ વોરિયર્સ વાંચવા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્યોને ખાસ ભલામણ કરી છે.
ગાંધીનગર જિલ્લાના કલેક્ટરે પાઠવેલી શુભેચ્છાની વાત કરીએ તો જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.એ પણ વિદ્યાર્થીઓને ૬ મહત્વની ટિપ્સ પરીક્ષા માટે આપી છે તેમજ તનાવમુક્ત થઈ પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને કહ્યુ છે. તેમણે તેમના શુભેચ્છાપત્રમાં જીવનના ગુણ, સત્ય, પ્રમાણિકતા વગેરે પણ ખૂબ જ મહત્વના છે. ઉદ્યમ એ જ સફળતાની સાચી સીડી છે તેમ કહી શુભકામનાઓ પાઠવી છે.