ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની G20 અધ્યક્ષતા 1 ડિસેમ્બર, 2022થી સત્તાવાર રીતે શરૂ થઈ ગઇ છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોનું આયોજન પણ કરશે. ગુજરાતમાં યોજાનાર 15 કાર્યક્રમોની યાદીમાં પ્રથમ કાર્યક્રમ છે. બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ, જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 22 થી 24 જાન્યુઆરી, 2023 દરમિયાન છે.
B20ની સ્થાપના 2010માં કરવામાં આવી હતી અને તે G20 નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે. B20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશન આજે શરુ થઇ ચૂક્યું છે. આ સેશનની શરુઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થનાર હતી પરંતુ અનિવાર્ય કારણોસર તેઓની અનઉપસ્થિતિમાં આ સેશનની શરુઆત થઇ છે. ઓપનિંગ સેશનમાં કેન્દ્રીય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ પિયુષ ગોયલ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિનિ વૈષ્ણવ, B20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન, G20 માટે ભારતના શેરપા અમિતાભ કાંત અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન સહિત આંતરરાષ્ટ્રીય અને 400 જેટલા ભારતીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બી ટવેન્ટી બેઠક માટે 600થી વધુ પ્રતિનિધિઓ આવી રહ્યા છે. 200 જેટલા વિદેશી અને 400 જેટલા ભારતીય પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ બધા પ્રતિનિધિઓ ઔદ્યોગિક સંબંધિત ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.
આજે ભારતની B20 પ્રાથમિકતાઓ પર એક સ્પેશિયલ પ્લેનરી પણ યોજાનાર છે. જેમાં બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી સંજીવ બજાજ, OECD ખાતે બિઝનેસના ચેરમેન ચાર્લ્સ રિક જ્હોનસ્ટોન, માસ્ટરકાર્ડના વાઇસ ચેરમેન અને પ્રેસિડેન્ટ માઇકલ ફ્રોમેન અને TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન આર. દિનેશ હાજરી આપશે.
આજે સાંજે 6.00થી 7.00 વાગ્યા દરમિયાન ‘ગુજરાતમાં રહેલી તકો’ ઉપર પણ એક સ્પેશિયલ પ્લેનરી સેશન યોજાશે. આ સત્રમાં સંલગ્ન ઉદ્યોગોના 250થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સેશન ગુજરાતમાં રહેલી વ્યવસાય અને રોકાણની તકો અંગે એક ઝલક આપશે અને આ સત્રએ શક્તિઓનું પ્રદર્શન કરશે જેના કારણે રાજ્ય આજે વર્ષોથી રોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. આ સત્રમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇ, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા અને મુખ્ય સચિવ પંકજ કુમાર હાજરી આપશે.