ગાંધીનગર: આગામી લોકસભા ચૂંટણી પહેલા વિવિધ યોજનાઓ ધર ધર સુધી પહોંચી છે કે નહીં એનો રિપોર્ટ દરેક જિલ્લાએ રાજ્ય સરકારને સુપ્રત કરવાનો છે. જેને લઇને હવે ગાંધીનગર જિલ્લામાં સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનામાં વંચિત લાભાર્થીઓને શોધવા માટેનું અભિયાન એપ્રિલ માસથી જિલ્લાતંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. આ અભિયાન ત્રણેક મહિના સુધી ચાલશે.
મળતી વિગતો પ્રમાણે, દિશાની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કલ્યાણલક્ષી યોજનાઓથી વંચિત લાભાર્થીઓને શોધવા માટે તંત્રએ કામગીરી કરવી જોઈએ. જેથી કલ્યાણ રાજ્યનું સ્વપ્રન સાકાર થાય. કેન્દ્રીય ગૃહમંત્રીના આ સૂચનને લઈ તંત્ર દ્વારા આ અંગેનો રોડમેપ તૈયાર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે હાલ પ્રારંભમાં ૪૦થી વધુ યોજનાઓનો સમાવેશ કરી અને વંચિત લાભાર્થીઓને શોધવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આ આખીય કાર્યયોજના અંગેની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવશે.
હાલ જિલ્લામાં કઈ-કઈ યોજનાઓના અમલીકરણમાં જિલ્લો પાછળ છે તે અંગેની કવાયત ચાલી રહી છે. આ પછી આ અંગે વંચિતોની યાદી તૈયાર કરવામાં આવશે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આ અંગે અધિકારીઓ સાથે કલેક્ટરો બેઠક કરશે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કયા અધિકારીઓ જશે તેની પણ યાદી તૈયાર કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં તંત્રના અધિકારીઓ ડેરા તંબુ તાણી અને નવા લાભાર્થીઓને શોધવામાં આવશે.
આ માટે ગામવાર સર્વેની કામગીરી પણ કરવામાં આવશે. ખાસ કરીને ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને અગ્રતાના ધોરણે આવરી લેવામાં આવશે. દર પખવાડિયે કલેક્ટર કક્ષાએ આ અંગે રિવ્યુ બેઠક પણ યોજવાનુ આયોજન હાલ વિચારાયુ હોવાનું તંત્રના સૂત્રો સ્વીકારી રહ્યા છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વરોજગારીની યોજના, મનરેગા, સમાજ સુરક્ષાની વિવિધ યોજનાઓ તેમજ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓ અંગે પ્રથમ સર્વે કરવામાં આવશે તેમ મનાઈ રહ્યુ છે.