જયપુર: રાજસ્થાનના સીકર જિલ્લા (Sikar district)માં એક દુલ્હાએ લગ્ન મંડપમાંથી ફરાર (Groom absconding from Marriage) થઈને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધાનો બનાવ આગ પકડી રહ્યો છે. આ કેસમાં દુલ્હન અને તેનો પરિવાર સોમવાર રાતથી જ ન્યાયની માંગણી સાથે દાદિયા પોલીસ મથક બહાર ધરણા પર બેસી ગયો છે. દુલ્હાએ લગ્ન મંડપમાંથી ફરાર થઈને દુલ્હનની ભાભી સાથે લગ્ન કરી લીધા હતા! આ આખા પ્રકારમાં અનેક ગૂંચવાડા સામે આવ્યા છે. હવે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે દુલ્હાની બંને બહેનના લગ્ન તેણે જે યુવતી સાથે લગ્ન કર્યાં છે તેના બે ભાઈઓ સાથે યોજાનાર છે!
ઝુંઝુનૂના તારાપુર ગામ નિવાસી સુરજારામ જાંગિડની પુત્રી સુભીતાના લગ્ન બુગાલા ગામના અજય સાથે નક્કી થયા હતા. નિર્ધારિત તારીખ પ્રમાણે ત્રીજી જુલાઈના રોજ દુલ્હો જાન લઈને આવ્યો હતો. જ્યાં વિવાદ થયા બાદ તે ફેરા લેતા પહેલા ફરાર થઈ ગયો હતો. જે બાદમાં સુભીતાના ભાઈ પંકજના લગ્ન બજાવા ગામ નિવાસી કંચન સાથે થવાના હતા. સોમવારે અજયે કંચન સાથે લગ્ન કરી લીધા હતા. એટલે કે દુલ્હાએ દુલ્હનની થનારી ભાભી સાથે લગ્ન કરી લીધા હતા. હવે એ જ કંચનના બે ભાઈ વીરેન્દ્ર તેમજ જિતેન્દ્ર બુધવારે અજયની બંને બહેન પ્રિયાંશુ અને કિસ્મત સાથે લગ્ન કરવા માટે આવશે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સુભીતા અને તેના પરિવારના લોકો અજયની ધરપકડ કરવાની માંગણી કરી રહ્યા છે.
બીજી તરફ દાદિયા પોલીસ મથક સામે ધરણા પર બેઠેલા નવ લોકોની પોલીસ શાંતિભંગના ગુના હેઠળ ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત તેમણે પોલીસ મથક સામે લગાવેલા ટેન્ટ પણ હટાવી દીધા છે. આ આખો મામલો સીકર લોકસભાના સાંસદ સુમેધાનંદ સરસ્વતી પાસે પહોંચ્યો હતો. જેમણે પોલીસને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સાંસદે કહ્યું કે પોલીસ દ્વારા જે રીતે ધરણા કરી રહેલા લોકોને હટાવવામાં આવ્યા છે તે આપણા લોકતંત્ર માટે ખૂબ જ ખરાબ ઘટના છે. અમે તેનો વિરોધ કરીએ છીએ.
બનાવ વિશે સીકર સાંસદ સુમેધાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, ચાર દિવસ પહેલા સીકર જિલ્લાના તારપુર ગ્રામ પંચાયતમાં સુરજારામ જાંગિડના પરિવારમાં સુભીતા નામની છોકરીના લગ્ન હતા. વરમાળા સુધીનો કાર્યક્રમ બરાબર ચાલ્યો હતો. જે બાદમાં ફેરા લેતા પહેલા દુલ્હાના પરિવારે ગાડીની માંગ કરી હતી. દુલ્હનનો પરિવાર ગરીબ હોવાથી ગાડી આપી શકે તેમ ન હતો. જે બાદમાં દુલ્હો અને તેનો પરિવાર મંડપમાંથી ફરાર થઈ ગયા હતા.
આરોપ છે કે દુલ્હાના પરિવારે સવા લાખ રૂપિયા અને બાઇકની માંગણી કરી હતી. જે દુલ્હનનો પરિવાર આપી શકે તેમ ન હતો. જે બાદમાં દુલ્હો ટોઇલેટ કરવા જવાના બહાને ભાગી ગયો હતો. જે બાદમાં દુલ્હાનો પરિવાર પણ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ બાદ દુલ્હન અને તેનો પરિવાર પોલીસ મથકે દોડી ગયો હતો અને ન્યાયની માંગણી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે ત્રીજી જુલાઈના રોજ જાન માંડવે આવી હતી. 40 લોકો સાથે આવી પહોંચેલી જાનમાં અનેક લોકો દારૂના નશામાં હતા. તમામ લોકોએ નાસ્તો અને જમવાનું પતાવી દીધું હતું. જે બાદમાં દુલ્હાના પરિવારજનો દુલ્હનના પિતાને બહાર લઈ ગયા હતા અને રોકડ તેમજ બાઈકની માંગણી કરી હતી. આ દરમિયાન દુલ્હનના પિતાએ તમામ લોકો સામે અનેક વખત હાથ જોડ્યા હતા.
દુલ્હનના પરિવારનું એવું પણ કહેવું છે કે લગ્ન પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અજય ખૂબ સારી કંપનીમાં નોકરી કરે છે. તપાસ કરતા આ વાત ખોટી નીકળી છે. હવે ન્યાય માટે દુલ્હન તેમજ તેમનો પરિવાર પોલીસ મથક બહાર જ ધરણા આપી રહ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર