હૈદરાબાદઃ નાનપણમાં આપે અનેક એવા કિસ્સા સાંભળ્યા હશે જ્યાં કોઈ ગરીબના ઘરમાં ખોદકામ દરમિયાન સોનું (Gold) ભરેલું માટલું મળતું હતું. પરંતુ હવે આ કિસ્સો હકીકતમાં બન્યો છે. આ ઘટના તેલંગાણા (Telangana)રાજ્યનો છે. ખેડૂતે ખેતરનું ખોદકામ કર્યું તો જમીનની અંદર દટાયેલું એક માટલું મળ્યું. તેની અંદર અનેક સોનાના સિક્કા, ચાંદી અને અનેક ઘરેણાં મળ્યા. પ્રશાસને હાલ તેને પોતાના કબ્જામાં લીધા છે અને તેની તપાસ ચાલી રહી છે.
શું છે સમગ્ર મામલો?
આ ઘટના તેલંગાણાના વિકાસબાજ જિલ્લાની છે. બે વર્ષ પહેલા મોહમ્મદ સિદ્દિકીએ જમીન ખરીદી હતી. વરસાદ પહેલા તે આ જમીનને સમતળ કરવા માંગતો હતો, જેથી ત્યાં પાણી ભરાઈ ન જાય. આ કારણે તેણે જમીનનું ખોદકામ શરૂ કર્યું. આ દરમિયાન તેને ખજાનો હાથ લાગી ગયો. માટલાની અંદર અનેક સોનાના સિક્કા, ચાંદી અને ઘરેણાં હતા. સિદ્દિકી આ બધું જોઈને આશ્ચર્યમાં મૂકાઈ ગયો. થોડીવારમાં આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. આ માટલાને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ત્યાં પહોંચી ગયા.
આ પણ વાંચો, સ્કોર્પિયોના ડ્રાઇવરને ઝોકું આવતાં ટ્રક સાથે થઈ ભીષણ ટક્કર, 9 લોકોનાં મોત
25 ઘરેણાં મળ્યા
માટલાની અંદર સોના અને ચાંદીના 25 ઘરેણાં હતા, જેમાં અનેક ચેઇન, ઝાંઝર અને વાસણ હતા. ઘટનાની જાણ થતાં જ ત્યાં પોલીસની ટીમ પહોંચી ગઈ. બાદમાં તમામ ઘરેણાંને પોલીસે જપ્ત કરી રેવન્યૂ અધિકારીને સોંપી દીધા. અંગ્રેજી વેબસાઇટ તેલંગાણા ટુડે સાથે વાતચીત કરતાં રેવન્યૂ અધિકારી વિદ્યાસાગર રેડ્ડીએ જણાવ્યું કે, મામલાની તપાસ ચાલી રહી છે. આ ગામનું કોઈ ઐતિહાસિક મહત્વ નથી. અમે લોકો પુરાતત્વ વિભાગને તેની જાણકારી આપી દઈશું.
ચાલી રહી છે તપાસ
રેવન્યૂ અધિકારીએ એવું પણ કહ્યું કે અત્યાર સુધી તેમની પાસે એ વાતની કોઈ કડી નથી કે આ માટલાનું કોઈ પ્રાચીન મહત્વ છે કે નથી. હાલ સોનીને બોલાવીને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેમાં સોનાની માત્રા કેટલી છે. નોંધનીય છે કે ઘરેણા પર કોઈ તારીખ કે વર્ષ નથી લખ્યું. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો, Tata Sky યૂઝર્સ માટે ખુશખબર! ટૂંક સમયમાં ઓછું થશે DTHનું બિલ, બનાવ્યો આ ખાસ પ્લાન