Home /News /eye-catcher /કચ્છ ગયા છો અને હવામાં ઉડતો ડુંગર નથી જોયો, તો તમે કંઈ જ નથી જોયું
કચ્છ ગયા છો અને હવામાં ઉડતો ડુંગર નથી જોયો, તો તમે કંઈ જ નથી જોયું
સૌદર્યથી ભરપૂર ભંજડો ડુંગર
કચ્છમાં અનેક ફરવા લાયક સ્થળો છે. જેમાનો આ ભંજડો ડુંગરનો પણ સમાવેશ થાય છે. આ ડુંગરને જોતા જ એવું લાગે કે, જાણે તે હવામાં ઉડતો હોય કે પાણીમાં તરતો હોય... ત્યારે ચાલો જાણીએ કે આ સોંદર્યથી ભરપૂર ડુંગર ક્યા આવ્યો છે.
Dhairya Gajara, Kutch: કચ્છમાં ભૌગોલિક સુંદરતાનો અનુભવ કરાવતા અનેક સ્થળો જોવા મળે છે. તેવું જ, કચ્છના છેવાડાના ખડીર બેટમાં આવેલો ભંજડો ડુંગર, કે જે લોકોને એક અલગ જ દુનિયાની અનુભૂતિ કરાવે છે. ભુજથી ધોળાવીરા જતા માર્ગે રણમાં ભરાયેલા પાણી વચ્ચે આવેલો આ વિશાળ ડુંગર જાણે જમીન પર નહીં, પરંતુ હવામાં સ્થાયી હોય તેવું આભાસ પ્રવાસીઓને કરાવે છે.
રણને જોતા સમુદ્રનો આભાસ
ભુજથી કાઢવાંઢ થઈને ધોળાવીરા જતા રસ્તે ધોળાવીરા પહેલા જ ડાબા હાથે આ વિશાળ ડુંગર દેખાય છે. ચોમાસા બાદ રણમાં ભરાતા પાણીના કારણે આ રણને જોતા સમુદ્રનો આભાસ થાય છે અને તેની વચ્ચે આવેલો આ એક ટાપુ જેવો દેખાતો ભંજડો ડુંગર છે, જેને લોકો ભાંજડો ડુંગર પણ કહે છે. કચ્છની ઉત્તરી દરિયાઈ સીમમાંથી આવતા પાણીના વહેણ અને ચોમાસાના વરસાદના કારણે ભંજડાની ચારેય બાજુ આ રણમાં પાણી ભરાઈ જાય છે અને ઉનાળા સુધી સુકાતું નથી.
રણમાં ભરાતું આ પાણી આ ડુંગરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જાણે કે, આ ડુંગર હવામાં લટકતો હોય અથવા પાણી પર તરતો હોય તેવું આભાસ થાય છે. રણમાં ભરાયેલા પાણીના કારણે જ અહીં પહોંચવું ખૂબ કઠિન બની જાય છે. જો કે, આ વિસ્તાર ભારત પાકિસ્તાનની આંતરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી ભંજડા ડુંગર પર જવા BSF પાસેથી અનુમતિ મેળવવી પડે છે.
કચ્છનું સફેદ રણ
ભંજડો ડૂંગરનું નામ કેવી રીતે પડ્યું?
ભંજડો ડૂંગરનું નામને લઈને એક લોકવાયકા છે કે, પહેલાના સમયમાં ડુંગર ઉપર ભાંજડો નામના યોગીએ તપશ્ચર્યા કરેલી હોવાથી આ ડુંગરને ભંજડો ડૂંગર કહેવામાં આવે છે. આ ડુંગર પર હર વર્ષે ભંજડા દાદાનો મેળો ભરાય છે અને ખડિર બેટના મહત્વના મેળાઓમાંથી એક માનવામાં આવે છે. આ ડુંગર પર કરોડો વર્ષો જૂના ફોસિલ પણ સંશોધકોને મળી આવ્યા છે અને તેના કારણે આ ડુંગર વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે.
આ ડુંગર બધી ઋતુમાં એક અલગ દ્રશ્ય પ્રવાસીઓને આપે છે. ચોમાસામાં ડુંગરની ચારેય બાજું રણમાં વરસાદના પાણી ભરાઈ જાય છે અને ડુંગર પર ઠેર ઠેર ઘાસ ફૂટી નીકળતા આ ડુંગર લીલી ચાદર ઓઢી લે છે. ચોમાસા બાદ શિયાળામાં પાણી ઓછું થતાં સુરખાબ અને અન્ય યાયાવર પક્ષીઓ પણ અહીંના મહેમાન બને છે. જ્યારે ઉનાળા સુધીમાં પાણી સુકાઈ જતા અહીં મીઠું જામી જાય છે, જે આ ભંજડાની સુંદરતામાં સોનામાં સુગંધ ભેળવવા જેવું કામ કરે છે.