છેલ્લા ઘણા મહિનામાં ખાદ્ય તેલમાં આવેલો અસહ્ય ઉછાળો ગૃહિણીઓના બજેટ બગાડી રહ્યો છે. ત્યારે ખાધતેલના ભાવ ઘટાડવા માટે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. આજે અહીં ખાદ્યતેલમાં ભાવ વધારા પાછળનું કારણ અને સરકાર પાસેના વિકલ્પો અંગે માહિતી આપવામાં આવી છે.
ખાદ્યતેલમાં કેટલો ભાવ વધારો થયો?
મગફળી, સરસવ (મસ્ટર્ડ), વનસ્પતિ, સોયા, સૂર્યમુખી અને પામ તેલમાં છેલ્લા એક વર્ષમાં 20 ટકાથી 56 ટકાનો વધારો થયો હોવાનું ગ્રાહકને લગતી બાબતોના વિભાગના ડેટા કહી રહ્યા છે. મસ્ટર્ડ ઓઇલ(પેક)નો છૂટક ભાવ ગયા વર્ષે 28 મેના રોજ 118 રૂપિયા કિલો હતો. જ્યારે આ વર્ષે 28મી મેના રોજ 44 ટકા વધીને 171 રૂપિયા પ્રતિ કિલો થયા હતા. આવી રીતે સોયા ઓઇલ અને સનફ્લાવર ઓઇલમાં પણ એક વર્ષથી 50 ટકાનો વધારો થયો છે. તમામ છ ખાદ્યતેલોના માસિક સરેરાશ છૂટક ભાવ મે 2021માં 11 વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગયા હતા. એક તરફ કોરોના અને બીજી તરફ ખાદ્યતેલમાં ભાવ વધારો લોકો માટે મુશ્કેલ બન્યો હતો.
ભારતને કેટલું ખાદ્યતેલ જોઈએ છે?
આવક વધતા અને બદલાતી ખાદ્ય અદતોના કારણે ખાદ્યતેલોનો વપરાશ વર્ષોથી વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મસ્ટર્ડ ઓઇલ જ્યારે શહેરી વિસ્તારોમાં સનફ્લાવર, સોયાબીન સહિતના રિફાઇન ઓઈલનો વપરાશ વધુ છે. વર્ષ 1993-94 અને 2004-05 વચ્ચે ખાદ્ય તેલોનો માસિક માથાદીઠ વપરાશ ગ્રામ્ય વિસ્તારોમાં 0.37 કિલોથી વધીને 0.48 કિગ્રા થયો હતો. આવી રીતે શહેરી વિસ્તારોમાં તે 0.56 કિલોથી વધીને 0.66 કિલો થયો હતો. 2011-12 સુધીમાં વપરાશ ગ્રામીણ વિસ્તારોમાં 0.67 કિલો અને શહેરી વિસ્તારોમાં 0.85 કિગ્રા થવા પામ્યો હતો. વેજીટેબલ ઓઇલના સ્થાનિક સ્રોતો તેમજ આયાતમાં સતત વધારો માંગમાં વધારો સૂચવી રહ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના મત મુજબ દેશમાં વેજીટેબલ ઓઇલની માથાદીઠ ઉપલબ્ધતા છેલ્લા પાંચ વર્ષથી વાર્ષિક 19.10 કિગ્રાથી 19.80 કિલોની રેન્જમાં છે.
ઘરઆંગણે કેટલું ઉત્પાદન થાય છે, બહારથી કેટલું આવે છે?
વેજીટેબલ ઓઇલની માંગ 2015-16થી 2019-20 વચ્ચે 23.48–25.92 મિલિયન ટનની રેન્જમાં છે તેવું કૃષિ મંત્રાલયના આંકડા કહે છે. આ સમયમાં ડોમેસ્ટિક સપ્લાઈ 8.53-10.65 મિલિયન ટન જેટલી નીચી હતી. 2019-20માં ખાદ્યતેલ માંગ 24 મિલિયન ટન હતી, જ્યારે ડોમેસ્ટિક ઉપલબ્ધતા 10.65 મિલિયન ટન હતી. જેમાં પ્રાથમિક સ્ત્રોત મસ્ટર્ડ અને મગફળી તથા ગૌણ સ્ત્રોત કોકોનટ, પામ અને કોટનનો સમાવેશ થાય છે. માંગ અને સ્થાનિક જથ્થા વચ્ચે 13 મિલિયન ટન જેટલું તોતિંગ ગાબડું પડ્યું હતું.
આ આંકડા પરથી ખબર પડે કે, ભારત માંગને પહોંચી વળવા આયાત પર નિર્ભર છે. વર્ષ 2019-20માં દેશમાં આશરે રૂ. 61,559 કરોડના 13.35 મિલિયન ટન ખાદ્ય તેલની આયાત થઈ હતી. જે માંગના 56 ટકા જેટલી છે. તેમાં મુખ્યત્વે પામ (7 મિલિયન ટન), સોયાબીન (3.5. મિલિયન ટન) અને સૂર્યમુખી (2.5 મિલિયન ટન)નો સમાવેશ થાય છે. સોયાબિન તેલની આયાત આર્જેન્ટિના અને બ્રાઝીલ, પામ ઓઇલમાં ઇન્ડોનેશિયા અને મલેશિયા, સનફલાવર તેલમાં યુક્રેન અને આર્જેન્ટિનાથી થાય છે.
ભાવ કેમ વધી રહ્યા છે?
સ્થાનિક સ્તરે ભાવ વધારો આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધારાની અસર છે. દેશમાં 56 ટકા જેટલી માંગ આયાતથી સંતોષાતી હોવાના કારણે તેની અસર જોવા મળે છે. છેલ્લા કેટલાક મહિનામાં અલગ-અલગ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાધતેલના ભાવમાં તીવ્ર ઉછાળા જોવા મળ્યા છે. ક્રૂડ પામ ઓઇલની કિંમત 25 મેના રોજ પ્રતિ ટન 3,890 રિંગિટ બોલાઈ હતી. જે ગત વર્ષે 2281 રિંગિટ હતી. આ ક્રૂડ પામ ઓઇલ બુર્સા મલેશિયા ડેરિવેટિવ્ઝ એક્સચેંજ પર સૌથી વધુ સક્રિય ફ્યુચર કોન્ટ્રાકટ છે. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ (CBOT)માં, જુલાઈ ડિલિવરી માટે સોયાબીનની બંધ કિંમત 24 મેના રોજ ટન દીઠ 559.51 ડોલર હતી. જે ગત વર્ષે 306 ડોલર રહેવા પામી હતી. CBOT ખાતે બોલાતા ભાવ ભારતમાં ભાવ વધારા ઘટાડા પાછળ કારણભૂત બને છે. આંતરાષ્ટ્રીય ફૂડ એન્ડ એગ્રીકલ્ચર પ્રાઈઝ ઇન્ડેક્સમાં પણ ખાદ્યતેલમાં ગયા વર્ષના 81ની સરખામણીમાં 162ની ઊંચાઈ જોવા મળી હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાનું કારણ શું?
સોલવન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEAI)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. વી મહેતાનું કહેવું છે કે, વધારા પાછળના કારણોમાં વનસ્પતિ તેલમાંથી બાયફ્યુઅલ બનાવવા પર ભાર મુકવુ પણ એક કારણ છે. ખાદ્યતેલોને ફૂડ બાસ્કેટથી ફ્યુલ બાસ્કેટમાં ફેરવવામાં આવે છે. યુ.એસ, બ્રાઝિલ અને અન્ય દેશોએ સોયાબીન તેલમાંથી ફ્યુલ બનાવવા પર ભાર મૂક્યો છે. કોરોના મહામારીમાં પણ ખાદ્યતેલોની વૈશ્વિક માંગ ઊંચી રહી છે. ચીનથી ખરીદી, મલેશિયામાં મજૂરીના ઇસ્યુ અને પામ અને સોયાના ઉત્પાદન પર લા નીનાની અસર તથા ઇન્ડોનેશિયા અને મલેશિયામાં ક્રૂડ પામ ઓઇલ પર નિકાસ ડ્યુટી પણ ભાવ વધારા પાછળ જવાબદાર છે.
FAOના મત મુજબ અમેરિકામાં સોયા ઉગાડતા મુખ્ય પ્રદેશોમાં નીચું સરેરાશ તાપમાન અને શુષ્ક પરિસ્થિતિ તથા ઓછા વાવેતરના કારણે આગામી 2021-22 સિઝન માટે સપ્લાયની સંભાવના પર શંકા ઉભી કરે છે. આ ઉપરાંત આર્જેન્ટિનામાં પણ ઉત્પાદનનો અંદાજ નીચો હોવાની શક્યતા છે.
સરકાર પાસે કયા કયા વિકલ્પ
સૌથી મોટો વિકલ્પ ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાનો છે. SEAIના મત મુજબ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ સેસ તથા સમાજ કલ્યાણ સેસ અને ઈમ્પોર્ટ ડ્યુટી 35.75 ટકા છે. રિફાઇન્ડ, બ્લીચ અને ડિઓડોરિઝ્ડ(RBD) પામ ઓઇલ પર ઈમ્પોર્ટ ડ્યુટી 59.40% છે. આવી જ રીતે ક્રૂડ અને રિફાઇન્ડ સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ પર ઈમ્પોર્ટ ડ્યુટીનો 38.50%થી 49.50%ની રેન્જમાં છે. ક્રૂડ પામ ઓઇલની ઈમ્પોર્ટ માટેની નીતિ મુક્ત છે, જ્યારે આરબીડી પામ ઓઇલ માટે પ્રતિબંધિત છે. જો સરકાર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડે તો તાત્કાલિક ધોરણે ભાવ નીચે ઉતરી જાય.
" isDesktop="true" id="1101046" >
અલબત્ત ખાદ્યતેલોની ઇન્ડસ્ટ્રી ઇમ્પોર્ટ ડયૂટી ઘટાડવાની તરફેણમાં નથી. SEAIના બી. વી મહેતાએ જણાવ્યું હતું કે, જો ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે તો આંતરરાષ્ટ્રીય ભાવો વધશે. જેનાથી ન તો સરકારને મહેસૂલ મળશે, ન ગ્રાહકોને ફાયદો થશે. તેના કરતાં સરકારે ખાદ્યતેલોમાં સબસિડી આપવી જોઈએ અને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ગરીબોને સુધી પહોંચાડવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર