Ramanujan Prize 2021 Winner: સોશ્યલ મીડિયા પર ભારતની નીના ગુપ્તાનું નામ ટ્રેન્ડ (Trending story) કરી રહ્યું છે. સૌ કોઈ તેમને અભિનંદન આપી રહ્યા છે. વાત એમ છે કે, તાજેતરમાં પ્રોફેસર નીના ગુપ્તા (Neena Gupta)ને ગણિતના ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક DST-ICTP-IMU રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિશિયન (Ramanujan Prize for Young Mathematicians)થી સન્માનિત કરવામાં આવ્યા છે. નીના ગુપ્તા વિશ્વની ત્રીજી મહિલા અને બીજી ભારતીય મહિલા છે જેને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો ભારતમાંથી આ એવોર્ડ મેળવનારી એ ચોથી ગણિતશાસ્ત્રી છે.
પ્રોફેસર નીના ગુપ્તાને અલજેબ્રિક જિયોમેટ્રી અને કમ્યુટેટીવ અલ્જીબ્રા (Algebraic Geometry and Commutative Algebra)માં અભૂતપૂર્વ કામ માટે આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 37 વર્ષીય નીનાને આ પુરસ્કાર મળ્યા બાદ ઇન્ડિયન સ્ટેટિસ્ટીકલ ઇન્સ્ટિટ્યુટ (ISI)નું માન વધી ગયું છે કેમકે અત્યારસુધી જે ચાર ભારતીયોને રામાનુજન પુરસ્કાર મળ્યા છે તેમાંથી ત્રણ ISIના જ ફેકલ્ટી મેમ્બર છે. પ્રોફેસર નીના ગુપ્તાની આ સફળતાએ દેશએ ગૌરવ અપાવ્યું છે. સોશ્યલ મીડિયા પર નીનાને ખૂબ અભિનંદન મળી રહ્યા છે.
નીનાએ કહ્યું કે એવોર્ડ મેળવવો એ સન્માનની વાત છે પરંતુ કમ્યુટેટીવ અલ્જીબ્રા (વિનિમયાત્મક બીજગણિત)ના ક્ષેત્રમાં હજુ ઘણું કરવાનું બાકી છે. ઝારિસ્કી કેન્સલેશન પ્રોબ્લેમને ઉકેલવા માટેના તેના સોલ્યુશનને ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમીનો 2014નો યંગ સાયન્ટિસ્ટ્સ એવોર્ડ (young scientist award) મળ્યો હતો.
કોણ છે પ્રોફેસર નીના ગુપ્તા?
પ્રોફેસર નીના ગુપ્તા પશ્ચિમ બંગાળના કોલકાતાના રહેવાસી છે. નીના ગુપ્તાએ ખાલસા હાઈ સ્કૂલમાંથી પોતાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ બેથ્યુન કોલેજમાં બીએસસી મેથ્સ (એચ) ડિગ્રી મેળવી. ત્યારબાદ નીનાએ Indian Statistical Instituteથી ગણિતમાં માસ્ટર્સ અને પીએચડી કર્યું. નીનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યા મુજબ, ‘કોલકાતામાં જન્મેલી અને ઉછરેલી એક મારવાડી છોકરી તરીકે મેં ગણિતમાં કારકિર્દી બનાવવા માટે ઘણાં સાંસ્કૃતિક નિયમો તોડ્યા છે.’
નીનાએ કયું કે, કલ્ચરલ ઈશ્યુ હોવા ઉપરાંત આઈએસઆઈમાં મારી બેચમાં હું એક જ છોકરી હોવાથી શરૂઆતમાં અભ્યાસમાં પહોંચી વળવામાં મુશ્કેલી થઈ હતી, પણ પછી મને સમજાયું કે આ વિષય કેટલો સુંદર અને વિશાળ છે.’ તો ગણિતના ક્ષેત્રમાં છોકરીઓની ઓછી સંખ્યા બાબતે નીનાનું કહેવું છે કે, આ મુદ્દો વૈશ્વિક સ્તરે જોવા મળે છે, જ્યાં ગણિતને પુરુષોનો વિષય કહેવામાં આવે છે અને મહિલાઓની અવારનવાર મજાક કરવામાં આવે છે. જોકે, હવે પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરી રહી છે.’
ગણિતના ક્ષેત્રમાં રામાનુજન પુરસ્કારની ગણના વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં થાય છે. આ એવોર્ડ દર વર્ષે વિકાસશીલ દેશોના યુવા ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે. તેમની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ. મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની યાદમાં વર્ષ 2005માં આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે આ સિલસિલો ચાલુ છે. તેને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિક્સ રામાનુજન પ્રાઇઝ પણ કહેવામાં આવે છે. આ પુરસ્કાર ઇટલી સ્થિત ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલ ફિઝિક્સ દ્વારા આપવામાં આવે છે. આ માટેનું ફંડ અલબેલ ફંડ દ્વારા આપવામાં આવે છે.
શ્રીનિવાસ રામાનુજન મહાન ભારતીય ગણિતશાસ્ત્રી હતા. રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુના ઈરોડ ગામમાં થયો હતો. તેમણે ગણિતના ક્ષેત્રમાં સંખ્યા સિદ્ધાંત, ગાણિતિક વિશ્લેષણ અને અનંત શ્રેણીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અંગ્રેજી ગણિતશાસ્ત્રી હાર્ડીએ તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર