Gandhi Topi: મારવાડી શેઠ બાપુને મળવા આવ્યા. તેણે મોટી પાઘડી પહેરી હતી. વાતચીતમાં તેમણે પૂછ્યું કે 'ગાંધીજી, તમારા નામથી લોકો દેશભરમાં ગાંધી ટોપી પહેરે છે, પરંતુ તમે તે નથી પહેરતા.
અમદાવાદ : હાલ ગાંધી ટોપી (Gandhi Cap) ગુજરાતના રાજકારણમાં (Gujara politics) ચર્ચામાં છવાયેલી છે. ભાજપના સંગઠન મંત્રી રત્નાકરે (Ratnakar) ગાંધી ટોપીને (Gandhi Topi) લઇને ટ્વિટ કરતાં વિવાદ થયો છે. રત્નાકરે ટ્વિટ કર્યુ હતુ કે, ગાંધીજીએ (Mahatma Gandhi) સફેદ ટોપી પહેરી જ નથી. નહેરૂએ (Jawaharlal Nehru) પહેરી હતી એટલે ગાંધી ટોપી કહેવાઇ છે. કોગ્રેસે ટ્વિટર પર ગાંધી ટોપી પહેરેલા મહાત્મા ગાંધીજીની તસ્વીરો મૂકી ભાજપના સંગઠનમંત્રીને ગાંધી ટોપીનું અપમાન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો અને ગુજરાતની જનતાની માફી માંગવા માંગ કરી છે. તો આ વિવાદિત બની રહેલી ગાંધી ટોપીનો ઇતિહાસ શું છે અને તેનો ક્યાં ઉપયોગ કરાતો હતો તે અંગે પણ આપણે વિસ્તારથી જાણી લઇએ.
ગાંધી ટોપીનો શું છે વિવાદ
રત્નાકરે ગાંધી ટોપીના બહાને કોંગ્રેસ પર રાજકીય પ્રહારો કરતા ટ્વિટ કર્યું કે, કોંગ્રેસીઓએ દરેક વાતમાં ટોપી પહેરાવી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પહેરાતી સફેદ ટોપી જે કયારેય ગાંધીજીએ પહેરી જ નથી. પણ જેને ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે કોઇ લેવાદેવા નથી. નહેરૂજીએ હમેશા પહેરી હતી એટલે તે ગાંધી ટોપી ઓળખાઇ હતી. આ ટ્વિટ બાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ એવો આક્ષેપ કર્યો કે, ગાંધી ટોપીએ સ્વતંત્રતા સંગ્રામની આગવી ઓળખ છે. હજારો લોકોએ ગાંધી ટોપી પહેરી હસતા મોઢે શહીદી વ્હોરી છે.
સ્વદેશી વસ્તુઓના પ્રચારમાં ગાંધી ટોપી પહેરાતી હતી
ઇ.સ. 1918માં ગાંધીજી દ્વારા શરૂ થયેલા અસહકાર આંદોલનમાં ગાંધી ટોપીનો ઉદય થયો હોવાનું માનવામાં આવે છે. સ્વદેશી વસ્તુ વાપરો એવા ગાંધીજીના આદેશને અપનાવી એના પ્રચાર અને પ્રસાર માટે ગાંધીજી સહિત અગ્રણીઓએ ગાંધી ટોપી પહેરવાનો પ્રારંભ કર્યો હતો. એ અગાઉ ગાંધીજી માથે ફેંટો પહેરતા હતા. 1921માં એમને ગાંધી ટોપીનો પણ ત્યાગ કર્યો હતો. માંડ ત્રણેક વર્ષ તેઓએ ગાંધી ટોપી પહેરી હતી.
ગાંધી ટોપી કઇ રીતે બની તેની રસપ્રદ વાત
ગાંધી ટોપી પાછળની કહાની 1919ની છે. રામપુરના ઇતિહાસકાર, 74 વર્ષીય નફીસ સિદ્દીકે જણાવ્યું હતુ કે, જ્યારે ગાંધીજી કોઠી ખાસ બાગ ખાતે 1889 થી 1930 દરમિયાન રામપુરના રજવાડાના નવાબ સૈયદ હમીદ અલી ખાન બહાદુરને મળવા માટે બીજી વખત રામપુર આવ્યા હતા. 'રામપુર'ની મુલાકાત વખતે, તેમને કહેવામાં આવ્યું હતું કે, નવાબ દરબારમાં એક પરંપરા છે કે, દરબારમાં મહેમાનોને પણ માથુ ઢાંકવુ પડે છે. રામપુરના ઇતિહાસ પર અનેક પુસ્તકો લખી ચૂકેલા નફીસ સિદ્દીકે કહ્યું કે, બાપુ તે સમયે કોઇ કપડું કે ટોપી સાથે લઇ ગયા ન હતા.
સિદ્દીકે કહ્યું કે ત્યારે જ રામપુરના બજારોમાં મહાત્મા માટે યોગ્ય કેપ ખરીદવાની શોધખોળ શરૂ થઈ હતી. સિદ્દીકે કહ્યું, "પરંતુ જેમને આ કામ આપવામાં આવ્યું હતું તે તેમના માટે યોગ્ય કેપ શોધવામાં નિષ્ફળ રહ્યા કારણ કે તેમાંની કોઈપણ કેપ બાપુને ફિટ ન થઇ." ત્યારે જ ખિલાફત આંદોલનનું નેતૃત્વ કરનાર અલી ભાઈઓ - મોહમ્મદ અલી અને શૌકત અલીની માતા આબાદી બેગમે ગાંધી માટે ટોપી બનાવવાનું નક્કી કર્યું. "અને તે ટોપી ગાંધી ટોપી તરીકે પ્રખ્યાત થઈ." તેમણે વધુમાં જણાવ્યું કે, ગાંધી ટોપી-પોઇન્ટેડ છેડા અને વિશાળ બેન્ડ સાથે-બાદમાં અહિંસા અને આત્મનિર્ભરતાના પ્રતિક તરીકે સામે આવી હતી.
ઘણી તસવીરોમાં, ખાસ કરીને 1919 અને 1921ની વચ્ચે, ગાંધીજી આ ટોપી પહેરેલા જોઈ શકાય છે. જે પાછળથી પ્રમાણભૂત કોંગ્રેસનો ડ્રેસ બની ગયો હતો. હકીકતમાં, બ્રિટિશ સરકારે તેની વધતી જતી લોકપ્રિયતાને દબાવવા માટે ગાંધી કેપ્સ પર પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કર્યો હતો.
ગાંધીજી કેમ ટોપી પહેરતા ન હતા?
એકવાર એક મારવાડી શેઠ બાપુને મળવા આવ્યા. તેણે મોટી પાઘડી પહેરી હતી. વાતચીત દરમિયાન તેમણે પૂછ્યું કે 'ગાંધીજી, તમારા નામથી લોકો દેશભરમાં ગાંધી ટોપી પહેરે છે, પરંતુ તમે તે નથી પહેરતા. એવું કેમ? 'તેમને મહાત્મા ગાંધીએ જવાબ આપતા કહ્યું કે, આજથી હું મારું પોતાનું બધું કામ જાતે કરીશ. ગાંધીજીએ શેઠના શબ્દો પર સ્મિત સાથે કહ્યું,' તમારું કહેલું એકદમ સાચું છે. પણ તમારી પાઘડી ઉતારો અને જુઓ. તેમાંથી ઓછામાં ઓછી વીસ ટોપી બનાવી શકાય છે. જ્યારે તમારા જેવો ધનિક માણસ વીસ ટોપીઓ જેટલું કાપડ પાઘડીમાં વાપરે છે, ત્યારે ઓગણીસ ગરીબ માણસોએ ઉઘાડું રહેવું પડશે. હું પણ તે ઓગણીસ માણસોમાંનો એક છું.'' ગાંધીજીનો જવાબ સાંભળીને મારવાડી શેઠજીએ કશું કહ્યું નહીં. તે ચૂપ થઈ ગયા.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર