કોરોના વાયરસના કેસ ફરીથી વધે તેવી દહેશત ફેલાઇ છે. વિશ્વના કેટલાક દેશોમાં ડેલ્ટા પ્લસથી પણ વધુ જોખમી સ્ટ્રેઇન આવ્યો હોવાનું સામે આવ્યું છે. જે વધુ તીવ્ર સંક્રમિત છે. આવી સ્થિતિમાં સતત જીનોમ સિક્વન્સીંગ શબ્દ સાંભળવા મળે છે. સંશોધકોના મત મુજબ જીનોમ સિક્વન્સીંગ મ્યુટેટ થતા વાયરસનો સંપૂર્ણ બાયોડેટા કાઢવા મદદરૂપ થાય છે. જેનાથી વાયરસ કેવો દેખાય છે? કેવી રીતે હુમલો કરે છે ? તે જાણી શકાય છે. આ સિક્વન્સીંગ સારવારમાં મદદ કરે છે.
ઘણા સમયથી થાય છે ઉપયોગ
2019ના અંતમાં ચીનના વુહાનમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. જે છેલ્લા દોઢ વર્ષમાં આખા વિશ્વમાં તબાહી મચાવે છે. આ દરમિયાન વાયરસ પોતાનું રૂપ સતત બદલી રહ્યો છે. મૂળ સ્ટ્રેઇન ખૂબ આગળ નીકળી ગયો છે. ઓરિજિન વાયરસથી અલગ નવા રૂપને ઓળખવા માટે વિજ્ઞાનિકો દર્દીઓના સેમ્પલ લઈને તપાસ કરી રહ્યા છે. જેને જીનોમ સિક્વન્સીંગ કહેવાય છે. આમ તો આ પદ્ધતિ દાયકાઓથી વાયરસ, બેક્ટેરિયાના સંશોધન માટે ઉપયોગમાં લેવાય છે. પરંતુ કોરોનાની ભયાનકતા વધવાથી જીનોમ સિક્વન્સીંગ વિશે જાણવું વધુ મહત્વપૂર્ણ બન્યું છે.
લાંબા સમય સુધી અસરકારક રહેવા વાયરસ પોતાની જેનેટિક રચનામાં સતત ફેરફાર કરે છે. આવું કરવાથી તેનો નાશ મુશ્કેલ બને છે. આ અસ્તિત્વ ટકાવવાની પ્રક્રિયા છે. જેમાં વાયરસ રચાય છે અને ટકી રહેવાના પ્રયત્નમાં પોતાને મજબૂત બનાવે છે. આપણે મનુષ્ય જેમ પોતાને સુધારવા માટે ઘણી નવી વસ્તુઓ શીખીયે અને પ્રયાસ કરીએ છીએ તેમ વાયરસ પણ કરે છે. તે પોતાની અંદર પરિવર્તન લાવે છે. જેને મ્યુટેશન કહેવાય છે.
મ્યુટેશનથી અલગ અલગ બદલાવ થઈ શકે છે
ઘણી વખત મ્યુટેશન બાદ વાયરસ નબળો પડે છે. ઘણી વખત મ્યુટેશનની પ્રક્રિયા વાયરસને ખતરનાક બનાવે છે. આવી સ્થિતિમાં જ્યારે હોસ્ટ સેલ એટલે કે આપણી કોશિકાઓ પર હુમલો કરે ત્યારે કોશિકાઓ કલાકોમાં જ તેની હજારો કોપી બનાવી દે છે. જેનાથી શરીરમાં વાયરલ લોડ ઝડપથી વધી જાય છે. પરિણામે દર્દી ગંભીર રીતે બીમાર થઈ જાય છે.
વાયરસમાં ફેરફાર થવાના કારણે ઘણી વખત દવાઓ અથવા રસી કામ કરતી નથી. આવી સ્થિતિમાં તેમના ફોર્મ્યુલામાં પરિવર્તન લાવવું પડે છે. તે માટે જિનોમ સિક્વન્સીંગ કામમાં આવે છે. જેમ માનવ શરીર DNAથી બનેલું છે તે જ રીતે વાયરસ પણ DNA અથવા RNAમાંથી બને છે. કોરોના વાયરસ RNAથી બનેલો છે. જીનોમ સિક્વન્સીંગ દ્વારા આ RNAની જેનેટિક માહિતી મેળવવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જીનોમ સિક્વન્સીંગ એ જાણવામાં ઉપયોગી છે કે, વાયરસ કેવો છે? તે કેવી રીતે હુમલો કરે છે? અને કઈ રીતે વધે છે?
કઈ રીતે થાય છે જીનોમ સિક્વન્સીંગ?
દર્દીના શરીરમાંથી વાયરસના સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ તેને ખૂબ પાવરફૂલ કોમ્પ્યુટરના માધ્યમથી આનુવાંશિક રચના તપાસવામાં આવે છે. જેનાથી જેનેટિક કોડ સામે આવે છે.
ક્યાં થયો છે ફેરફાર?
સિક્વન્સીંગ મદદથી વાયરસમાં ક્યાં પરિવર્તન આવ્યું છે તે વિજ્ઞાનિકો સમજી શકે છે. જો પરિવર્તન કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનમાં થયું હોય તો તે વધુ ચેપી છે. અત્યારે આવું જ થઈ રહ્યું છે. સ્પાઇક પ્રોટીન એ કોરોના વાયરસની કાંટાવાળી રચના છે. જેના માધ્યમથી તે માનવ શરીરમાં પ્રવેશ કરે છે.
ભારતમાં જીનોમ સિક્વન્સીંગ દ્વારા કોરોના વાયરસને સમજવાનો પ્રારંભ ઘણા સમય પહેલા જ થઈ ચૂક્યો હતો. જીનોમ એવોલ્યુશન એનાલિસિસ રિસોર્સ ફોર કોવિડ 19 (GEAR-19)ના મત મુજબ અત્યાર સુધીમાં ભારતમાં 5898 જીનોમ સિક્વન્સીંગ એકઠા કરાયા છે. જોકે આ આંકડો કુલ કેસનો માત્ર 0.05 ટકા જ છે. હજુ ઘણું કરવાનું બાકી છે. ભારતમાં ક્યાં ક્યાં જીનોમ સિક્વન્સીંગ?
દેશમાં જીનોમ સિક્વેન્સિંગ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજી (નવી દિલ્હી), સીએસઆરઆઈ આર્કિયોલોજી ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (હૈદરાબાદ), ડીબીટી - ઇન્સ્ટિટ્યૂટ ઓફ લાઇફ સાયન્સ (ભુવનેશ્વર), ડીબીટી-ઇન સ્ટેમ-એનસીબીએસ (બેંગ્લુરુ), ડીબીટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોમેડિકલ જિનોમિક્સ (NIBMG), આઈસીએમઆર- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી (પુણે) જેવા ઘણી લેબોરેટરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર