Home /News /explained /Sigmund Freud Birthday: મનોવિશ્લેષણના પિતા શા માટે માનવામાં આવે છે સિગ્મંડ ફ્રોઈડ
Sigmund Freud Birthday: મનોવિશ્લેષણના પિતા શા માટે માનવામાં આવે છે સિગ્મંડ ફ્રોઈડ
સિગ્મંડ ફ્રોઇડ (Sigmund Freud)ના સિદ્ધાંત અને ધારણાઓ આજે પણ મનોવિજ્ઞાનને પ્રભાવિત કરે છે. (Image- shutterstock)
Sigmund Freud Birthday: સિગ્મંડ ફ્રોઇડ (Sigmund Freud) ને મનોવિશ્લેષણના જનક અથવા પિતા (Father of Psychoanalysis) કહેવામાં આવે છે. તેમના મનોવિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્યની થિયરીએ વ્યક્તિત્વને સમજવાની રીત જ બદલી નાખી હતી. 166 વર્ષ પહેલા જન્મેલા ફ્રોઇડને 20મી સદીના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી એક માનવામાં આવે છે. મનોવિજ્ઞાનમાં તેમનું યોગદાન વિવાદિત રહ્યું છતાં પણ સાઇકોથેરાપીમાં તેમનો પ્રભાવ આજે પણ જોઈ શકાય છે.
Sigmund Freud Birth anniversary: મનોવિજ્ઞાન (Psychology) દુનિયાના સૌથી મુશ્કેલ અને પડકારરૂપ વિષયોમાંથી એક છે. 20મી સદીમાં સિગ્મંડ ફ્રોઇડ (Sigmund Freud) મનોવિજ્ઞાનમાં એક તબીબી ટેકનિક વિક્સાવી જેને મનોવિશ્લેષણ કહેવામાં આવે છે. ફ્રોઇડે માનવ મનોવિજ્ઞાનમાં અર્ધજાગ્રત મન, લૈંગિકતા, સ્વપ્ન અર્થઘટન જેવા વિષયો સમજાવવામાં મોટું યોગદાન આપ્યું. 6 મેએ તેમનો જન્મદિવસ (Sigmund Freud Birth anniversary) છે. તો આ નિમિત્તે જાણીએ તેમને મનોવિશ્લેષણના પિતા શા માટે કહેવાય છે અને મનોવિજ્ઞાનમાં તેમનું યોગદાન શા માટે મહાન ગણવામાં આવે છે.
મુખ્ય મૂળભૂત યોગદાન
ફ્રોઇડના કેટલાક મત, અવલોકન કે સિદ્ધાંત વિવાદોમાં રહ્યા, પરંતુ ઓસ્ટ્રિયામાં જન્મેલા ફ્રોઇડે કેટલીક એવી બાબતો જણાવી કે જેને મનોવિજ્ઞાનનો આધાર માનવામાં આવે છે. તેમાં સૌથી મહત્વનું અર્ધજાગ્રત મન અને અહમ એટલે ઈગોની માન્યતા સામેલ છે. ફ્રોઇડે જ બાળપણમાં થયેલા ભાવનાત્મક ઘટનાઓના મહત્વને સૌથી પહેલા ઓળખ્યા હતા, જેને આજે પણ મનોવિજ્ઞાન અને મનોચિકિત્સાનો આધાર માનવામાં આવે છે.
ફ્રોઈડનો જન્મ 6 મે 1856ના રોજ વર્તમાન ચેક રિપબ્લિક, ત્યારના ઓસ્ટ્રિયાના ફ્રેઈબર્ગ, મોરાવિયામાં એક યહૂદી પરિવારમાં થયો હતો. તેમના પિતા વેપારી હતા. બાદમાં તેમનો પરિવાર વિયેના ગયો જ્યાં તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું અને તેમણે વિયેના યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ પણ કર્યો. તેઓ 1885માં પેરિસ ગયા અને પછીના વર્ષે વિયેના પાછા ફરીને મસ્તિષ્ક અને નર્વસ ડિસઓર્ડરના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.
સિગ્મંડ ફ્રોઇડ (Sigmund Freud)ને સૌથી પહેલા પ્રસિદ્ધિ તેમના પુસ્તક ‘ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ’થી મળી. (Image- shutterstock)
અર્ધજાગ્રત મન અને સ્વપ્ન
તે ફ્રોઈડ જ હતા જેમણે અર્ધજાગ્રત મનની આધુનિક વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી હતી, જેમાં તેમણે આંતરિક મનના સંઘર્ષમાં સેક્સ અને આક્રમક આવેગની ભૂમિકાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. આ પછી તેમણે પોતાના પર ઊંડું વિશ્લેષણ કર્યું. પરંતુ તેમને સૌપ્રથમ પ્રસિદ્ધિ તેમના પુસ્તક ધ ઈન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સથી મળી. આ પુસ્તકમાં તેમણે અચેતન ઈચ્છાઓ અને અનુભવોના આધારે સપનાનું વિશ્લેષણ કર્યું છે.
ભારે વિરોધનો સામનો કરવો પડ્યો
ફ્રોઈડ 1902થી 1938 સુધી વિયેના યુનિવર્સિટીમાં ન્યુરોપેથોલોજીના પ્રોફેસર હતા, પરંતુ ફ્રોઈડને પણ તેના સિદ્ધાંતો અને ધારણાઓ સામે ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો. તબીબી જગત તેમના મોટાભાગના વિચારો સાથે અસંમત છે. કાર્લ જુંગ જેવા ઘણા મનોવૈજ્ઞાનિકો તેમના સમય દરમિયાન તેમની સાથે જોડાયા હતા પરંતુ પછીથી તેમની સાથે થયેલા મતભેદના કારણે અલગ થઈ ગયા હતા.
ફ્રોઈડ સામેનો સૌથી મોટો અને લોકપ્રિય આરોપ એ લાગતો રહ્યો છે કે તેમણે તેમના વિશ્લેષણમાં સેક્સ પર ઘણો ભાર મૂક્યો હતો. 1923માં તેમણે ધ ઈગો એન્ડ ધ આઈડી પ્રકાશિત કર્યું, જેમાં મગજના ત્રણ ભાગોના આધારે કામ કરવાનું વર્ણન કર્યું. આઈડી, ઈગો અને સુપરઈગો. આ દ્વારા ફ્રોઈડે સમજાવવાનો પ્રયાસ કર્યો કે કેવી રીતે કોઈના મનમાં હિન ભાવના અને અને ખરાબ વિચારો હાવી થઈને તેને ખરાબ વર્તન કરવા પ્રેરે છે.
સિગ્મંડ ફ્રોઇડ (Sigmund Freud) પર આરોપ લાગતો રહ્યો કે તેમણે પોતાના અભ્યાસમાં સેક્સ પર જરૂરિયાતથી વધુ ભાર મૂક્યો હતો. (Image- shutterstock)
ઈદિપસના મનોગ્રંથિનો વિરોધ
ફ્રોઈડના સેક્સ પર વધુ ભાર આપવાના મામલે તેમના ઈદિપસ મનોગ્રંથિના સિદ્ધાંતની સૌથી વધુ ચર્ચા થાય છે. આ માન્યતા અનુસાર તેમણે સેક્સને બાળકો અને માતા-પિતા વચ્ચેના સંબંધમાં પ્રેરણા તરીકે જણાવ્યું હતું, તેમના મતે છોકરો તેની માતા તરફ અને બાળકી તેના પિતા તરફ વધુ આકર્ષિત થાય છે. તો બીજી બાજુ બાળકને તેના વિજાતીય માતાપિતા પ્રત્યે ગુસ્સો અને અણગમો હોય છે.
જીવનના છેલ્લા વર્ષોમાં ફ્રોઈડને નાઝીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. નાઝીઓએ તેના પુસ્તકો બાળી નાખ્યા. 1938 માં નાઝીઓએ જેવો ઓસ્ટ્રિયા પર કબજો મેળવ્યો કે તરત જ ફ્રોઈડ વિયેના છોડીને તેની પત્ની અને પુત્રી એના સાથે લંડન ચાલ્યા ગયા. 1923 માં તેમને મોઢાના કેન્સરનું નિદાન થયું હતું અને 30 વધુ ઓપરેશન પછી 23 સપ્ટેમ્બર 1939 ના રોજ તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. પરંતુ મનોવિશ્લેષણ પરનું તેમનું સંશોધન હજુ પણ વૈજ્ઞાનિકો દ્વારા અનુસરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર