Motilal Nehru Death Anniversary: મોતીલાલ નહેરુનો ‘બંધારણ’ સાથે શું સંબંધ હતો? જાણો તેમના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો
Motilal Nehru Death Anniversary: મોતીલાલ નહેરુનો ‘બંધારણ’ સાથે શું સંબંધ હતો? જાણો તેમના જીવન સાથે જોડાયેલી મહત્વની વાતો
મોતીલાલ નહેરુનું સૌથી મોટું યોગદાન 1928માં બનાવવામાં આવેલી પ્રખ્યાત નહેરુ રિપોર્ટ છે. (Image- Wikimedia Commons)
Motilal Nehru Death Anniversary: મોતીલાલ નહેરુ ભારતના સ્વાતંત્ર્ય ચળવળ (Freedom movement of India)ના પ્રમુખ નેતાઓમાંના એક હતા. દુનિયા તેમને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પિતા તરીકે વધુ ઓળખે છે. પરંતુ, તેમનું સૌથી મોટું યોગદાન 1928માં બનાવવામાં આવેલી પ્રખ્યાત નહેરુ રિપોર્ટ છે, જેમાં અંગ્રેજોથી દેશમાં સ્વરાજની માંગ કરવામાં આવી હતી.
ભારતનું બંધારણ (Constitution of India) આખી દુનિયામાં એક મોટી મિસાલ છે. 1940ના દાયકામાં જ્યારે દેશની આઝાદીની તૈયારીઓ થઈ રહી હતી ત્યારે દેશના બંધારણને બનાવવાની તૈયારીઓ પણ થઈ રહી હતી. આ માટે એક નિશ્ચિત બંધારણ સભા માટે ચૂંટણી પણ થઈ હતી. પરંતુ બંધારણના મૂળભૂત તત્વોનો ખ્યાલ સ્વતંત્રતા ચળવળ દરમિયાન ઘણા સમય પહેલા આવ્યો હતો. 1920ના દાયકામાં કોંગ્રેસમાં જારી કરવામાં આવેલી નહેરુ રિપોર્ટ (Nehru Report)માં સ્વરાજની માંગ કરવામાં આવી હતી. તેને તે સમયે દેશના પ્રથમ બંધારણ તરીકે પણ જોવામાં આવતું હતું. આજે આ રિપોર્ટ બનાવનારા મોતીલાલ નહેરુની પુણ્યતિથિ (Motilal Nehru Death Anniversary) છે.
પરિવારના સંઘર્ષ સમયે જન્મ
મોતીલાલ નહેરુનો જન્મ 6 મે 1861ના રોજ અલાહાબાદ (હવે પ્રયાગરાજ)માં થયો હતો. તેમના જન્મના ત્રણ મહિનામાં જ તેમના પિતા ગંગાધર નહેરુનું અવસાન થઈ ગયું, જેઓ દિલ્હીમાં કોટવાલ હતા. તેમનો ઉછેર, બાળપણ રાજસ્થાનના ખેત્રીમાં વીત્યું જ્યાં તેમના મોટા ભાઈ નંદલાલ નહેરુ ક્લર્ક હતા. તેમના જન્મ પહેલા જ 1857ની ક્રાંતિમાં તેમના પિતાએ દિલ્હી છોડવું પડ્યું હતું.
વકીલાતમાં ખ્યાતિ મેળવી
ભાઈ નંદલાલ સમયની સાથે આગળ વધ્યા અને મોતીલાલને કાયદાના અભ્યાસ માટે કેમ્બ્રિજ મોકલ્યા. મોતીલાલે પાછા આવીને પહેલા કાનપુરમાં પ્રેક્ટિસ કરી અને પછી અલાહાબાદ હાઈકોર્ટમાં સિવિલ કેસ લડવાનું શરૂ કર્યું. તેમણે અલાહાબાદમાં ખૂબ નામના મેળવી. તેઓ તેમના સમયના સૌથી મોટા અને અમીર વકીલ ગણવામાં આવતા હતા. તેમની ખ્યાતિ ધીમે ધીમે તેમને રાજકારણમાં ખેંચી ગઈ.
મોતીલાલ નહેરુના જીવનમાં પરિવર્તન 1918માં આવ્યું જ્યારે તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા. તેઓ પહેલેથી જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. ગાંધીજીને મળ્યા બાદ તેમણે વૈભવી જીવન છોડીને સાદું જીવન અપનાવ્યું. આ પછી તેઓ વર્ષ 1919માં કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા.
મોતીલાલ નહેરુને ભારતના સૌથી અમીર વકીલ માનવામાં આવતા હતા. (Image- Wikimedia Commons)
અસહકાર આંદોલન અને કોંગ્રેસથી અલગ થવું
1922માં અસહકાર આંદોલનમાં મોતીલાલની ધરપકડ થઈ અને તેઓ જેલમાં પણ ગયા, પરંતુ જ્યારે ગાંધીજીએ આંદોલન રદ કર્યું તો તેમણે ગાંધીજીની ટીકા પણ કરી. આંદોલન બાદ તેમણે સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી અને યુનાઇટેડ પ્રોવિન્સ લેજિસ્લેટિવ કાઉન્સિલના વિપક્ષના નેતા પણ બન્યા.
મોતીલાલ નહેરુએ 1926માં જ ભારતને સ્વરાજ અથવા ડોમિનિયન સ્ટેટસનો દરજ્જો આપવા માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક પ્રતિનિધિ પરિષદની માગણી કરી. આ પછી નહેરુ અને તેમના સાથીઓએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને કોંગ્રેસમાં પાછા ફર્યા. આ પછી 1928માં નહેરુને ફરી એકવાર કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
નહેરુ રિપોર્ટનો વિરોધ ખુદ જવાહરલાલ નહેરુએ પણ કર્યો હતો. (Image- Wikimedia Commons)
ભારતીયોનું પ્રથમ બંધારણ
મોતીલાલ નહેરુના પ્રમુખપદ દરમિયાન તેઓ પ્રખ્યાત નહેરુ કમિશનના અધ્યક્ષ બન્યા જે સાયમન કમિશનની વિરુદ્ધ બનાવવામાં આવ્યું હતું. નહેરુ રિપોર્ટને ભારતીયો દ્વારા લખાયેલું પ્રથમ બંધારણ માનવામાં આવે છે. આ રિપોર્ટમાં નહેરુએ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડાની જેમ ભારત માટે ડોમિનિયન સ્ટેટસની માંગણી કરી હતી.
રસપ્રદ વાત એ છે કે, આ રિપોર્ટ કોંગ્રેસે તો સ્વીકારી લીધો હતો, પરંતુ ઘણા રાષ્ટ્રવાદી નેતાઓએ તેને નકારી કાઢ્યો હતો અને માગણી કરી હતી કે ભારતીયોએ પૂર્ણ સ્વરાજની માંગ કરવી જોઈએ. આ નેતાઓમાં મોતીલાલ નહેરુના પુત્ર જવાહરલાલ નહેરુ પણ સામેલ હતા. ગાંધીજીએ પણ આ રિપોર્ટને એ શરતે મંજૂરી આપી હતી કે જો એક વર્ષમાં તેનો અમલ નહીં થાય તો દેશ સંપૂર્ણ આઝાદીની માંગ કરશે અને એવું જ થયું. આ પછી મોતીલાલ નહેરુએ ગાંધીજીના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલમાં પણ ગયા. પરંતુ સ્વાસ્થ્ય કારણોથી તેમને છોડી દેવામાં આવ્યા. 6 જાન્યુઆરી 1931ના રોજ તેમનું અવસાન થયું.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર