મહારાણા પ્રતાપની શૌર્યગાથા ભારતીયો માટે દેશભક્તિની મિસાલ છે. (Image- Wikimedia Commons)
Maharana Pratap Jayanti: મહારાણા પ્રતાપ (Maharana Pratap) એવા રાજપૂત રાજા હતા જેમણે જીવતેજીવ મુઘલ સમ્રાટ અકબર (Akbar)ને મેવાડ અને તેની આસપાસ શાંતિથી રહેવા દીધા નહોતા. તેમણે ન ફક્ત પોતાનું રાજ્ય હાંસલ કર્યું, પણ તેમના કારણે અકબરનું મેવાડ (Mewar) જીતવાનું સપનું એક સપનું બનીને જ રહી ગયું.
Maharana Pratap Jayanti 2022: ભારતીય ઇતિહાસ (Indian History)માં મુઘલોને બહુ શક્તિશાળી દર્શાવાયા છે, પરંતુ કેટલાક પ્રસંગો એવા છે જ્યારે કોઈ ભારતીય રાજાએ અકબર (Akbar) જેવા શક્તિશાળી મુઘલ સમ્રાટને પણ હેરાનપરેશાન કરી નાખ્યો હતો. આપણે વાત કરી રહ્યા છીએ મેવાડની શાન કહેવાતા મહારાણા પ્રતાપની. મહારાણા પ્રતાપે શક્તિશાળી અકબરને માત આપીને અન્ય રાજપૂત રાજાઓ માટે પણ એક ઉદાહરણ સ્થાપિત કર્યું કે પોતાના ગૌરવ અને સ્વતંત્રતા માટે કેવી રીતે લડી શકાય છે. સોમવારે આખો દેશ તેમની જન્મજયંતિ મનાવી રહ્યો છે.
યુદ્ધનીતિમાં માહેર હતા રાણા પ્રતાપ
મેવાડના રાજા પ્રતાપ સિંહ પ્રથમ અથવા મહારાણા પ્રતાપનો જન્મ અંગ્રેજી કેલેન્ડર મુજબ 9 મે 1540ના રોજ મેવાડના કુંભલગઢમાં સિસોદિયા વંશમાં થયો હતો. તેમના પિતાનું નામ ઉદય સિંહ દ્વિતીય અને માતાનું નામ મહારાણી જયવંતા બાઈ હતું. તેમના ભાઈ-બહેનોમાં મહારાણા પ્રતાપ યુદ્ધનીતિમાં સૌથી વધુ પારંગત હતા. તેમનું આખું જીવન માતૃભૂમિની રક્ષા માટેના સંઘર્ષમાં વીત્યું જેમાં તેઓ મોટાભાગે વિજયી રહ્યા હતા.
પિતા ઉદય સિંહના મૃત્યુ બાદ 1572માં મહારાણા પ્રતાપ મેવાડના સિસોદિયા રાજપૂત વંશના 54મા શાસક બન્યા. પરંતુ તેમનો સાવકો ભાઈ જયમલ જ તેમના વિરુદ્ધ મુઘલો સાથે જોડાઈ ગયો હતો. અકબર યુદ્ધ કર્યા વગર જ મેવાડને આધીન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ માટે અકબરે ચાર વખત મહારાણા પ્રતાપને સંદેશો મોકલ્યો. 1572માં જલાલ ખાં, 1573માં માનસિંહ, ભગવાનદાસ અને ટોડરમલના માધ્યમથી સમજૂતીનો પ્રયત્ન કર્યો જેથી યુદ્ધની જરૂર ન પડે.
મહારાણા પ્રતાપે આ તમામ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યા અને મુઘલોને તાબે થવાનો ઇનકાર કરી નાખ્યો. આ કારણે યુદ્ધ થવું નિશ્ચિત થઈ ગયું હતું. અને આ જ કારણસર મહારાણા પ્રતાપને ઘણી વખત અલગ-અલગ સ્થળોએ મુઘલો સાથે યુદ્ધ કરવું પડ્યું અને તેની શરૂઆત હલ્દી ઘાટી (Haldi Ghati)ના ઐતિહાસિક યુદ્ધથી થઈ હતી.
હલ્દીઘાટીનું યુદ્ધ
યુદ્ધ નિશ્ચિત થવા પર 18 જૂન 1576ના રોજ બંને પક્ષોની સેના રાજસ્થાનના ગોગુંદા પાસે હલ્દી ઘાટીમાં સામસામે થઈ. મહારાણા પ્રતાપ તરફથી ત્રણ હજાર ઘોડેસવારો, 400 ભીલ તીરંદાજો મેદાનમાં ઉતર્યા, જ્યારે મુઘલોની પાંચથી દસ હજાર સૈનિકોની કમાન આમેરના રાજા માનસિંહે સંભાળી હતી. ત્રણ કલાકના આ યુદ્ધમાં ભારે રક્તપાત થયો અને બંને સેનાઓને ભારે નુકસાન થયું હતું.
ઈતિહાસમાં હલ્દી ઘાટીના યુદ્ધને ઘણું મહત્વ આપવામાં આવે છે. આ યુદ્ધમાં શૌર્યની એવી ગાથા છે, જેણે મજબૂત મુઘલોની તાકાત પર સવાલો ઊભા કર્યા અને રાજસ્થાનના ઈતિહાસમાં વીરતાની મહાન ગાથા લખી. આ યુદ્ધમાં મેવાડના 1600 સૈનિકો શહીદ થયા, જ્યારે મુઘલ સેનાએ પણ તેના 3500 થી 7800 સૈનિકો ગુમાવ્યા હતા. મુઘલ મહારાણા અને તેમના પરિવારના કોઈપણ સભ્યને પકડી શક્યા ન હતા.
મુઘલોના હાથમાં ન આવી શક્યા મહારાણા
હલ્દી ઘાટીનું પરિણામ મુઘલો માટે પણ નકામું રહ્યું. ત્યાર બાદ એક અઠવાડિયામાં માનસિંહે ગોગુંદા પર કબજો કરી લીધો, તો ઘાયલ મહારાણા પ્રતાપને થોડા વર્ષો સુધી જંગલોમાં ભટકવું પડ્યું. આ પછી અકબરે પોતે કમાન હાથમાં લીધી અને સપ્ટેમ્બર 1576માં ગોગુંદા, ઉદયપુર અને કુંભલગઢ મુઘલોએ જીતી તો લીધા, પરંતુ તેઓ મહારાણા પ્રતાપનો વાળ પણ વાંકો ન કરી શક્યા.
લાખ પ્રયત્નો કરવા છતાં પણ અકબર મહારાણા પ્રતાપને પકડી શક્યો ન હતો. (ફાઇલ ફોટો)
જો કે, મુઘલો માટે આ મોટી મુશ્કેલી હતી. મહારાણાએ તેમને શાંતિથી રહેવા ન દીધા અને તેમની છાપામાર યુદ્ધનીતિથી મુઘલોને પરેશાન કરતા રહ્યા. 1579માં બંગાળ અને બિહારમાં બળવાને કારણે મુઘલોને તેમની સેના પૂર્વમાં મૂકવી પડી, જેનો મહારાણા પ્રતાપે પૂરો લાભ લીધો અને એક પછી એક પોતાના પ્રદેશો મેળવવાનું શરૂ કર્યું. 1582માં દિવેરના યુદ્ધ પછી મહારાણા પ્રતાપનું પલડું ભારે થઈ ગયું અને મેવાડ પર મુઘલોની પકડ ઢીલી થઈ ગઈ. 1584માં અકબરે ફરીથી મેવાડ પર કબજો કરવા માટે લશ્કર મોકલ્યું, પરંતુ આ વખતે તેને હારનો સામનો કરવો પડ્યો. 1585માં અકબર લાહોર ચાલ્યો ગયો, ત્યાર બાદ મેવાડને મહારાણાના રહેતાં મુઘલોનો સામનો ન કરવો પડ્યો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર