AAP Gujarat Workers Joined BJP : વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022)ને હજુ આઠ મહિના જેટલો સમય બાકી છે પરંતુ રાજ્યમાં રાજકીય પારો ગરમ થઈ ગયો છે. ગુજરાતમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના 3,000 કાર્યકરો જોડાયા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ખેંસ પહેરાવી અને આ કાર્યકરોનું ભાજપમાં સ્વાગત કર્યુ હતું. ગુજરાતમાં એક સમય હતો જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં ભરતી થતી હતી. હવે આપમાંથી ભાજપમાં ભરતી થઈ રહી છે. આ સ્થિતિમાં સવાલ એ સર્જાઈ રહ્યો છે કે આ પક્ષ પલટાનો કોને થશે ફાયદો.
શિસ્ત ભંગમાં સસ્પેન્ડ કરાયેલા છે
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રવક્તા મિહીર પટેલનું કહેવું છે કે જે કાર્યકર્તાઓને ભાજપમાં જોડાયા છે એ આપના કાર્યકર્તા નહોતા. આમ આદમી પાર્ટીએ શિસ્ત ભંગમાં સસ્પેન્ડ કરેલા આ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી BJP vs AAP થશે?
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપને લેવાની જરૂર શા માટે પડી? શું ગુજરાતમાં 2022નો જંગ ભાજપ વર્સિસ આપ થવાનો છે. અથવા તો ભાજપ કોંગ્રેસને રેસમાંથી બહાર કરી દેવા માટે આ રમત રમી રહી છે. આ તમામ સવાલો રાજકીય ગલિયારામાં થઈ રહ્યા છે. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ કોઈ જોખમ લેવા માંગતી નથી.
સમગ્ર ઘટનાક્રમ અંગે રાજકીય વિશ્લલેષક મહેશ પંડ્યાએ જણાવ્યું કે 'આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડે અને ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થાય. જોકે, આપ ભાજપની B ટીમ નથી એવો મેસેજ પ્રજામાં જાય એના માટે આ ભરતી થઈ હોય એવું લાગે છે. જેથી લોકોને એવું લાગે કે ભાજપ માટે જેવી રીતે કોંગ્રેસ છે એવી રીતે જ આપ છે.
ભાજપ સતત ચૂંટણીઓ જીતી રહી છે રાષ્ટ્રવાદ અને નેતૃત્વના કારણે લોકો જોડાઈ રહ્યા છે
ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ડૉ. ભરત ડાંગરે જણાવ્યું કે આમ આદમી પાર્ટીના જે કાર્યકરો આજે જોડાયા તે ભાજપના રાષ્ટ્રવાદની વિચારધારા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરતી સરકારની વિકાસની રાજનીતિથી પ્રેરાઈની જોડાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, વિધાસભાની પેટા ચૂંટણીથી લઈને અન્ય તમામ ચૂંટણીઓ જીતી રહી છે. દિનપ્રતિદિન લોકોનો ભાજપમાં વિશ્વાસ સંપાદિત થઈ રહ્યો છે. ગુજરામાં કોંગ્રેસ સાથે આપ પણ ચેલેન્જર
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પ્રદેશ પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ જાહેરમાં અનેકવાર કહ્યું હતું કે જે કોંગ્રેસના મિત્રો ભાજપમાં આવી ગયા તે નસીબદાર છે. હવે ભરતી પ્રક્રિયા બંધ કરવામાં આવે છે. ભાજપ કોઈ બીજા પક્ષના નેતાઓને પાર્ટીમાં નહીં લે. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપનો ઉદય થયો, ઈસુદાન ગઢવી, મહેશ સવાણી જેવા મોટા ચહેરા આપમાં જોડાઈ રહ્યા હતા તે સમયે ભાજપે પોતાની રણનીતિ બદલી. સાઈકોલોજિકલ પ્રેશર ઊભું કરવા માટે ભાજપ સતત કોંગ્રેસ અને આપના કાર્યકરોને પોતાના પક્ષમાં જોડી રહ્યો છે.
એડવાન્ટેજ BJP
રાજકીય સમીક્ષા મુજબ હાલ ગુજરાતમાં વિપક્ષ નબળો છે, આ સ્થિતિમાં AAP જેટલી મજબૂત થશે તેટલો ફાયદો BJPને થશે. આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મજબૂત લડાઈ લડી જેનું પરિણામ એ આવ્યું કે આપની એક સીટ આવી અને સામે ભાજપનો ઐતિહાસિક વિજય થયો. હાલમાં પ્રજા આપને કોંગ્રેસના વિકલ્પની જગ્યાએ જોઈ રહી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એડવાન્ટેજ BJP છે.