કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમીક્રોને (Omicron Variant) વિશ્વભરના દેશો પર ફરી સકંજો કસવાનું શરૂ કર્યુ છે. સતત વધી રહેલા ઓમીક્રોન સંક્રમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ની ચિંતામાં પણ વધારો કર્યો છે. એવામાં સૌથી પહેલા આ વેરીએન્ટની શોધ કરનાર ડો. એજેલિક કોએત્ઝી (Dr. Angelique Coetzee)એ ઈન્ડિયા ટૂડે સાથે વાતચીત કરી હતી અને લોકોને ઓમીક્રોન વિશે સચોટ જાણકારી (Things to know About Omicron) આપી સાવચેત કર્યા હતા.
ઈન્ડિયા ટૂડે સાથેની વાતચીતમાં ડો. એંજેલિક કોએત્ઝીએ જણાવ્યું કે, વાયરસ દરેક જગ્યાએ છે અને માત્ર બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. તેમણે ઓમીક્રોન વેરીએન્ટ વિશે સૌથી મહત્વના અને સૌથી વધુ પૂછવામાં આવતા 10 સવાલોના જવાબ આપ્યા હતા.
જો પરિવારમાં એક વ્યક્તિ સંક્રમિત હોય, તો શું અન્ય લોકો સુરક્ષિત છે?
ડો. એંજેલિકે જણાવ્યું કે, ઓમીક્રોનથી ઘરેલું સંક્રમણ દર વધુ છે. જો સાત લોકોના પરીવારમાં એક વ્યક્તિ ઓમીક્રોન પોઝીટીવ થાય છે તો માની લો કે તે અન્ય લોકોને પણ સંક્રમિત કરશે.
શું સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા જોઇએ?
ડો. એંજેલિકે જણાવ્યું કે, હળવા લક્ષણો વાળા દર્દીઓને પણ સારવારની જરૂરિયાત હોય છે, પછી ભલે તે હોસ્પિટલમાં દાખલ ન થાય. તેમણે કહ્યું કે, વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આઇસીયુમાં દાખલ મોટા ભાગના સંક્રમિત દર્દીઓએ કોરોનાની વેક્સિન લીધી નથી. જ્યારે કે જે લોકોએ વેક્સિન લીધી છે તેમનામાં હળવા લક્ષણો છે.
શું ઓમિક્રોન લોકો માટે મોટો ખતરો છે?
ડો. એંજેલિકે જણાવ્યું કે, વાયરલ સંક્રમણને નબળું સમજવું ન જોઇએ. જો તમારું વજન વધુ હોય અને તમે કોરાનાની વેક્સિન ન લીધી હોય તો ઓમીક્રોનનો ખતરો તમને સૌથી વધુ રહે છે.
ઓમિક્રોનના સામાન્ય લક્ષણો શું છે?
ડોક્ટરે જવાબ આપ્યો કે, “ઓમિક્રોનની શરૂઆત સ્નાયુઓના દુખાવા સાથે થાય છે. તેના શરૂઆતી લક્ષણ ખાંસી અને તાવ નથી. પીઠના નીચેના ભાગમાં દુખાવો તેના નવા લક્ષણો પૈકી એક છે, સ્નાયુઓમાં દુખાવો થવો તેનું મુખ્ય લક્ષણ છે. આ સિવાય શરીરમાં દુખાવો, થાક, માથામાં દુખાવો વગેરે સામેલ છે.”
ડો. એંજેલિકે જણાવ્યું કે, બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. વેક્સિન આપણને સુરક્ષા આપે છે. વાયરસથી બચવાની જરૂર છે. જો હોસ્પિટલમાં વધુ દર્દીઓ દેખાય તો ફરી કડક પગલાઓ લેવાની જરૂર પડશે.
કોવિડ અને ન્યુમોનિયા વચ્ચે કોઇ સંબંધ છે?
આ સવાલનો જવાબ આપતા ડોક્ટરે જણાવ્યું કે, ઓમીક્રોન વેરીએન્ટ ઉપલા શ્વસન માર્ગ પર હુમલો કરે છે. તમને ન્યુમોનિયા પણ થઇ શકે છે, જોકે મોટા ભાગના કેસો સામાન્ય મળ્યા છે.
શું બૂસ્ટર ડોઝ જરૂરી છે?
ડો. કોએત્ઝીએ લોકોને કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી છે. ભારતમાં પણ લોકોને બૂસ્ટર ડોઝ આપવો જોઇએ.
ડો.એંજેલિક કોએત્ઝીએ જણાવ્યું કે, તહેવારો બાદ કેસોમાં વધારો થવાની શક્યતા છે. લોકડાઉન કામ નહીં કરે. વાયરસ દરેક જગ્યાએ છે. સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરો, બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. વાયરસથી બચીને રહેવાની જરૂર છે.
પ્રતિબંધો ક્યારે વધારવા જોઇએ?
ડો. કોએત્ઝી જણાવ્યું કે, જ્યારે હોસ્પિટલોમાં વધુ દર્દીઓને દાખલ કરવાની જરૂરિયાતો ઊભી થાય તો આપણે કડક પગલા લેવાની જરૂર પડશે.
શું નવા વર્ષની ઉજવણી કરવી સુરક્ષિત?
ડો. એંજેલિક કોએત્ઝીએ કહ્યું કે, હાલ ઓમીક્રોનની હળવી અસરો લોકો પર દેખાઇ રહી છે, પરંતુ સમય જતા સ્થિતિ બદલી શકે છે. દક્ષિણ આફ્રીકામાં સિરોપોસિટિવિટી દર વધુ છે. ભારતમાં પણ આ પ્રકારને ટ્રેન્ડને ધ્યાનમાં રાખતા કેસો ઝડપથી વધી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર