મુંબઈઃ હજુ અભિનેતા ઈરફાન ખાનના મોતના આઘાતમાંથી લોકો બહાર પણ નથી આવ્યા કે વધુ એક આંચકો લાગ્યો છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધનના સમાચારથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે. 67 વર્ષીય ઋષિ કપૂર ઘણા સમયથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા અને વિદેશમાં ટ્રીટમેન્ટ કરાવીને પરત આવ્યા હતા. તેઓ લગભગ સાજા થઈ ગયા હતા પરંતુ કાલ રાત્રે અચાનક તેમની તબીયત બગડી હતી અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેમના નિધનના સમાચાર આવ્યા છે.
ઋષિ કપૂર આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ અનેક દશકો સુધી ફિલ્મોમાં આપેલા પોતાના અમૂલ્ય યોગદાનથી તેઓ હંમેશા અમર થઈ ગયા છે. ઋષિ કપૂર ગયા વર્ષે જ કેન્સરની ટ્રીટમેન્ટ કરાવીને લંડનથી પરત ફર્યા હતા. તેઓ એવા અભિનેતા હતા જેમને કેન્સર ટ્રીટમેન્ટ દરમિયાન પણ પોતાના કામની ચિંતા હતી. આ વાતનો ખુલાસો તેમના દીકરા રણબીર કપૂરે કર્યો હતો. ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, રણબીરે જણાવ્યું હતું કે તેઓ લંડનમાં ટ્રીટમેન્ટ દરમિયાન અનેકવાર પૂછતા હતા કે સાજો થઈને ઘરે જઈશ તો તેમને કોઈ કામ આપશે કે તેઓ હવે કામ કરી શકશે?
રણબીરે જણાવ્યું હતું કે, તેઓ અનેકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે પૂછતા હતા. તેઓ બોલિવૂડ અને ભારતમાં પોતાના જીવનને ખૂબ મિસ કરતા હતા. રણબીર આ વિશે વાત કરતાં ઘણો ઇમોશનલ થઈ ગયો હતો. બીજી તરફ ઋષિ કપૂરના કેન્સર ટ્રીટમેન્ટ દરમિયાન તેમનો સમગ્ર પરિવાર હંમેશા તેમની સાથે ઊભો રહ્યો હતો. આ દરમિયાન અનેક બોલિવૂડ સ્ટાર્સ પણ તેમને મળવા ગયા હતા.
આજે જ્યારે ઋષિ કપૂરના નિધનના સમાચાર આવ્યો તો કોઈને વિશ્વાસ જ ન થયો. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ એવું અનુભવી રહ્યા છે જેમ કે તેઓ બરબાદ થઈ ગયા હોય.