મુંબઈઃ બોલિવૂડના જાણીતા એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor)ની અચાનક તબીયત બગડતાં તેમને મુંબઈની એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલ સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, ઋષિ કપૂરને કેન્સર સંબંધિત સમસ્યાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમને આઈસીયૂમાં રાખવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ, ઋષિ કપૂરની કન્ડીશન ક્રિટિકલ છે પરંતુ હજુ સ્ટેબલ છે. ઋષિ કપૂર તબીયત બગડવાના કારણે લગભગ એક સપ્તાહથી હૉસ્પિટલમાં છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ ઋષિ કપૂરની તબીયણ ઘણી ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને દિલ્હી (Delhi)ની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઋષિ કપૂરના ભાઈ રણધીર કપૂરે ઈન્ડિયન એક્સપ્રસ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ હતી, જેને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની પત્ની નીતૂ કપૂર તેમની સાથે છે.
નોંધનીય છે કે, 2018માં ઋષિ કપૂરને કેન્સરની બીમારી હોવાની પષ્ુટિ થઈ હતી. ત્યારબાદ ન્યૂયોર્કમાં લગભગ 8 મહિના સુધી તેમની સારવાર ચાલી હતી. પહેલા તો ન તો ઋષિ કપૂરે કે તેમના પરિવારે આ અંગે કોઈ ખુલાસો કર્યો હતો. પરંતુ બાદમાં ઋષિ કપૂરે લોકોને જાતે આ વાતની જાણકારી આપી હતી કે તેમને કેન્સર છે અને હવે તેમની તબીયતમાં સુધારો છે.
ઋષિ કપૂરે 2019માં સારવાર બાદ પોતાના પ્રશંસકોને આ વાતની જાણકારી આપી હતી કે તેઓ કેન્સરથી પીડિત છે. ઋષિ કપૂરના આ મુશ્કેલ દિવસોમાં તેમની પત્ની નીતૂ કપૂર તેમની સાથે ન્યૂયોર્કમાં હતી, જે તેમની દેખભાળ રાખી રહી હતી. ઋષિ કપૂરના ઠીક થયા બાદ નીતૂ કપૂરે પણ એક ઇન્ટરવ્યૂમાં ઋષિ કપૂરની તબીયતને લઈ અનેક ખુલાસા કર્યા હતા.