કેતન પટેલ, ડાંગ : ગુજરાતીઓ ફરવાનાં શોખીન હોય છે તેમાં પણ વરસાદી માહોલ હોય તો વાત જ કંઇ ઔર છે. તો ગુજરાતીઓ માટે ખુશીનાં સમાચાર છે કે આગામી 11મી ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજન માટે બેઠક યોજાઇ હતી
સાપુતારામાં સમગ્ર વર્ષ દરમિયાન સહેલાણીઓના આકર્ષણ માટે રાજયના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સહિયારા પ્રયાસથી જુદા જુદા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેકટર એન.કે.ડામોરે તમામ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યુ હતુ કે, મોન્સુન ફેસ્ટીવલ દરમિયાન નાનામાં નાની બાબતોની કાળજી લેવાય અને તકેદારીના ભાગરૂપે કોઇપણ જાતની નિષ્કાળજી ચલાવી લેવામાં આવશે નહી, સહેલાણીઓને પુરતી સુવિધા મળે તે માટે વહીવટી તંત્ર કટીબધ્ધ છે. સાપુતારાના ફરવાલાયક સ્થળોએ સંબંધિત અધિકારીઓ મુલાકાત લઇ ચોકસાઇ પૂર્વક કામગીરી ચકાસવાની રહેશે ,મેડિકલ ટીમ ઉપસ્થિત રહે અને માર્ગ મકાન સ્ટેટ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે સુચારૂ આયોજન કરે એ જરૂરી છે.
ડાંગ જિલ્લો ગુજરાતનું અપ્રતિમ સૌંદર્ય સાચવીને બેઠો છે. ધાર્મિક ગ્રંથોમાં પણ જેમાં ખાસ કરીને રામાયણના સમયમાં ‘દંડકારણ્ય અથવા દંડક’ના નામે ઓળખવામાં આવતા જેનો વિસ્તાર પુર્વક ઉલ્લેખ કર્યો છે. રામ ભક્ત શબરીની ભક્તિ સાથે સંકળાયેલા આ ડાંગનો નજારો તન-મનને શાંતિનો અનુભવ કરાવે છે.