Home /News /career /Agniveer recruitment: ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર તરીકે ભરતીની જાહેરાત
Agniveer recruitment: ભારતીય સેનામાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર તરીકે ભરતીની જાહેરાત
અગ્નિવીર યોજના અંતર્ગત ભરતીની જાહેરાત
Recruitment Under Agniveer Scheme: અગ્નિવીર યોજના હેઠળ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે અંગેની મહત્વની જાહેરાત કરી દેવામાં આવી છે. જે યુવાનો સેનામાં ભરતી થઈને દેશની સેવા કરવા માગે છે તેમણે આ ભરતી પ્રક્રિયા વિશે મહત્વની વિગતો અહીં જાણી લેવી.
ગાંધીનગરઃ ભારતીય સેનામાં જેઓ ભરતી થવા માંગતા હોય તે યુવાનો માટે એક ખુશ ખબર છે. ભારતીય સેનાની અમદાવાદ ખાતે આવેલી ગેડ ઓફિસ દ્વારા અગ્નિપથ યોજના અતંર્ગત ભરતી માટે ની જાહેરાત કરવામા આવી છે. આર્મી રિક્રુટિંગ ઓફીસ, અમદાવાદ દ્વારા અગ્નિપથ યોજના અન્વયે અગ્નિવીર તરીકે વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અગ્નીવીર જનરલ ડયુટી, ટેકનીકલ, ક્લાર્ક, ટ્રેડસમેન જેવી વિવિધ જગ્યાઓ માટે મોટા પ્રમાણમાં ભરતી થવાની છે. જે યુવાનો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માગતા હોય તેમના માટે લાયકાત સહિતની જરુરી વિગતો આપવામાં આવી છે.
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી જાહેરાત મુજબ નવી પદ્ધતિ પ્રમાણે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત સમગ્ર ભરતી પ્રક્રિયા બે તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ MCQ પદ્ધતિથી લેખિત કસોટી લેવામાં આવશે. ત્યારબાદ શારીરિક માપદંડો અનુસાર ભરતી રેલી કરવામાં આવશે.
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની લાયકાત
અગ્નિવીર તરીકે વિવિધ જગ્યાઓ માટે ધોરણ-8 પાસથી 12 પાસ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા 17.5થી 21 વર્ષની વય ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.
ઓનલાઈન અરજી www.joinindianarmy.nic.in ઉપર તારીખ 16 ફેબ્રુઆરી 2023થી 15 માર્ચ 2023 દરમ્યાન કરી શકાશે.
ઓનલાઈન પરીક્ષા 17 એપ્રિલ 2023ના રોજ લેવાશે. આથી ઉપરોક્ત મુજબની લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને અરજી કરવા જણાવવામાં આવે છે, વધુ માહિતી માટે આર્મી રિક્રુટીંગ ઓફીસ દ્વારા તારીખ 15/02/2023ના રોજ પ્રસિદ્ધ થયેલા સત્તાવાર નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
વધુ માહિતી માટે આર્મી રિક્રુટીંગ ઓફીસના હેલ્પલાઈન નંબર-9998553924 અને 079-22861338 તથા રોજગાર હેલ્પલાઇન નંબર-6357390390 પર ફોન કરી માહિતી મેળવી શકાશે. સામાન્ય રીતે અત્યાર સુધી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાંથી સેનામાં ભરતી થતા યુવાઓની સંખ્યા ઓછી રહેતી હોય છે, પરંતુ હવે એ ગ્રાફમાં સકારાત્મક પરિવર્તન આવશે તેવી આશા રોજગાર નિયમન અધિકારીઓ દ્વારા સેવવામાં આવી રહી છે.