Home /News /business /વાઇઝેગના બી.ટેક પાણીપુરીવાળાએ લખી નવી સક્સેસ સ્ટોરી, દરરોજ કરે છે હજારોની કમાણી
વાઇઝેગના બી.ટેક પાણીપુરીવાળાએ લખી નવી સક્સેસ સ્ટોરી, દરરોજ કરે છે હજારોની કમાણી
એન્જીનિયરિંગ કર્યા પછી પણ ન મળી નોકરી તો ખોલી નાખ્યો પાણીપુરીનો સ્ટોલ, આજે દર મહિને લાખોમાં આવક છે.
MBA ચાવાળો, BBA મેગીવાળા અને ગ્રેજ્યુએટ ચાવાળી પછી હવે માર્કેટમાં B.Tech પાણીપૂરીવાળાની પણ એન્ટ્રી થઈ છે. એન્જીનિયરિંગ કર્યા પછી પણ નોકરી ન મળી તો વિશાખાપટ્ટનમના કે. આર. રામાકૃષ્ણને 'B.Tech wala Panipuri' નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરું કર્યું છે.
નવી દિલ્હીઃ આજકાલ ડિગ્રી મેળવ્યા બાદ પણ દેશના યુવાનો માટે રોજગારી (Jobs in India) મેળવવી સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. પરંતુ બીજી તરફ હવે યુવાનો પણ અવનવા સ્ટાર્ટ અપ આઇડિયા (Start Up Idea) અપનાવી પોતાની કારકીર્દી બનાવી રહ્યા છે. ત્યારે વિશાખાપટ્ટનમના એક B.Tech ગ્રેજ્યુએટ યુવક રસ્તા પર પાણી પુરી (Vizag's B.Tech Wala PANI PURI) વેચવા લાગ્યો છે. તેની દુકાન પર ફૂડીઝ આકર્ષિત કરવા માટે તેના નવીન વિચારોથી ઘણા લોકોને પ્રેરણા મળી રહી છે અને યુવાનો તેના આ નવીનતમ વિચારની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેનો સંપર્ક કરી રહ્યા છે.
આર. રામકૃષ્ણ આંધ્રપ્રદેશના અનકપલ્લે જિલ્લાના રવિકામથમ મંડળના ગુડીવાડા ગામના મધ્યમ વર્ગીય પરીવારમાંથી આવે છે. તેણે 2016માં વિશાખાપટ્ટનમના દુવવાડાની વિગ્નાન કોલેજમાં B.Tech (કમ્પ્યુટર સાયન્સ) કોર્સમાં એડમિશન લીધું હતું. તેની માતા બીજાના ઘરકામ કરીને પૈસા કમાય છે અને તેઓ રોજિંદા ખર્ચને પહોંચી વળવા રામકૃષ્ણને પૈસા મોકલવાનું શરૂ કર્યું હતું. જોકે તેણે 2020માં સફળતાપૂર્વક તેનું સ્નાતક પૂર્ણ કરવાનું હતું. પરંતુ કોવિડ -19 રોગચાળાને કારણે તેને વધુ એક વર્ષ લાગ્યું અને 2021માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. 2020માં યોજાયેલા કેમ્પસ ઇન્ટરવ્યુ દરમિયાન રૂ. 18,000ના માસિક પગાર સાથે IT કંપનીમાં નોકરી માટે તેની પસંદગી થઇ હતી. પરંતુ તેને એક વર્ષ સુધી કંપની તરફથી કોઈ કોલ લેટર મળ્યો ન હતો. કેમ્પસ ઈન્ટરવ્યુમાં પસંદગી પામેલા અન્ય ઈજનેરી સ્નાતકો સાથે પણ આવું જ થયું હતું. કોલેજ મેનેજમેન્ટે આ માટે મહામારીને આઇટી કંપની દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારોને કોલ લેટર જારી ન કરવાનું કારણભૂત ગણાવી હતી. જ્યારે તે બી.ટેકનો અભ્યાસ કરતો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું.
ઘરમાં આર્થિક સ્થિતિ કથળતા રામકૃષ્ણએ જોબની જગ્યાએ કંઇક અલગ રીતે પૈસા કમાવાનું નક્કી કર્યું. પુણેમાં તેના મિત્રો સાથે તેણે વિવિધ ફ્લેવર વાળી પાણીપુરી ટેસ્ટ કરી. જે બાદ તેણે પણ આ બિઝનેસ શરૂ કરવાનું વિચારી લીધું. તેમની માતા અને પિતરાઈ ભાઈ તેને રોડ સાઈડ બિઝનેસમાં ટેકો આપવા આગળ આવ્યા. જ્યારે તેણે અન્ય મિત્રો અને સંબંધીઓ સાથે આ વિચાર શેર કર્યો, ત્યારે તેઓએ એમ કહીને અપમાન કર્યું કે શું બી.ટેક પૂર્ણ કર્યા પછી વ્યક્તિને પાણીપુરી વેચવી જોઇએ. આવા નિરાશા ભર્યા પ્રતિસાદના કારણે તેને આ બિઝનેસ શરૂ કરવામાં થોડું મોડું થયું.
પહેલા દિવસે થયો 150 રૂપિયાનો નફો
પરંતુ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેણે B.Tech Wala PANI PURI નામ સાથે બિઝનેસ શરૂ કર્યો. રામકૃષ્ણે ન્યૂ કોલોનીમાં એક લોજની સામે તેમનો રોડ સાઈડ બિઝનેસ શરૂ કર્યો. જ્યાં તેમણે તેમની શરૂઆતના પહેલા જ દિવસે રૂ. 800ની કમાણી કરી. આમ તેને રૂ. 650ના રોકાણ સાથે રૂ. 150નો નફો મળ્યો હતો. વિશાખાપટ્ટનમમાં પણ તેણે પુણેના પાણીપુરી વેચનારાઓનું જ અનુકરણ કર્યું.
વાઇઝેગના લોકોને આ ફ્લેવર્સવાળી પાણી પુરી ખૂબ પસંદ આવી. રામકૃષ્ણને સફળતા મળતા તેણે વિશાખાપટ્ટનમમાં અન્ય જગ્યાએ NAD જંકશન, શ્રી રામા ટોકીઝ સેન્ટર, મદિલાપાલેમ અને MVP કોલોની સહિત અન્ય સ્થળોએ સ્ટોલ શરૂ કર્યા. જ્યાં દરેક સ્ટોલ રૂ. 10,000થી રૂ. 15,000 સુધીનો દૈનિક બિઝનેસ કરે છે.
શરૂ કરી ચાટની 50 વેરાઇટી
પાણી પુરી સાથે સફળતાનો સ્વાદ ચાખ્યા પછી રામકૃષ્ણે પાંવભાજી અને હોટ ચાટની વિવિધ વેરાઇટી શરૂ કરી. જ્યાં તેમના ગ્રાહકો ચાટની 50 વેરાઇટી ખાઇ શકે છે. જ્યારે ખાદ્ય ચીજવસ્તુઓ બનાવવાની વાત આવે છે, ત્યારે તે ગ્રાહકોના સ્વાસ્થ્યનું પુરૂ ધ્યાન રાખે છે અને તેમના ગ્રાહકોનું સારું સ્વાસ્થ્ય જાળવવા માટે નાસ્તો બનાવતી વખતે તેલને બદલે ઘીનો ઉપયોગ કરતો હતો.
ન્યૂઝ18 સાથે વાતચીતમાં રામકૃષ્ણએ કહ્યું કે પાંચ મહિનામાં વિશાખાપટ્ટનમમાં નવા સ્ટોલ શરૂ કરવા ઉપરાંત કાકીનાડા, રાજમહેન્દ્રવરમ, વિજયવાડા, હૈદરાબાદ અને બેંગ્લોર સહિતના મોટા શહેરોમાં નવી શાખાઓ શરૂ કરવાની યોજના છે. પોતાની સફળતા પાછળનું રહસ્ય જણાવતાં તેણે કહ્યું હતું કે ઇન્ટરનેટમાં સર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે ગ્રાહકોને રોજબરોજ અલગ અલગ ફૂડ આઇટમ ખવડાવવી ઉત્તમ વિચાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર