Home /News /business /ભારતના સૌથી મોટા ધુતારાઓ! ટોપ-50 મળીને દેશનું 92,570 કરોડનું કરી ગયા
ભારતના સૌથી મોટા ધુતારાઓ! ટોપ-50 મળીને દેશનું 92,570 કરોડનું કરી ગયા
ભારતના ટોપ-50 ધુતારાઓ
દેશના ટોચના 50 "વિલફુલ ડિફોલ્ટરો" (Wilful Defaulters) પર 31 માર્ચ, 2022 સુધીમાં ભારતીય બેંકોના 92,570 કરોડ રૂપિયાનું દેવું બાકી (wilful defaulters' owe Indian banks) હતું. વિલફુલ ડિફોલ્ટર્સ તેવા ઉધાર લેનારાઓ છે, જેમની પાસે બેંકોને પાછા ચૂકવવાનું સાધન છે, પરંતુ તે ચૂકવણી કરતા નથી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના ડેટાને આધારે સરકારે 19 ડિસેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે, દેશના ટોચના 50 "વિલફુલ ડિફોલ્ટરો" (Wilful Defaulters) પર 31 માર્ચ, 2022 સુધીમાં ભારતીય બેંકોના 92,570 કરોડ રૂપિયાનું દેવું બાકી (wilful defaulters' owe Indian banks) હતું. વિલફુલ ડિફોલ્ટર્સ તેવા ઉધાર લેનારાઓ છે, જેમની પાસે બેંકોને પાછા ચૂકવવાનું સાધન છે, પરંતુ તે ચૂકવણી કરતા નથી. બેંકો આવા ડિફોલ્ટરોને નાણાંકીય પ્રણાલીમાંથી બાકાત રાખે છે અને આ ડિફોલ્ટર્સ બેંકો પાસેથી લોન મેળવી શકતા નથી અથવા નવા વ્યવસાયો શરૂ કરી શકતા નથી.
ગીતાંજલિ જેમ્સ લિમિટેડ યાદીમાં ટોચ પર
રાજ્યકક્ષાના પ્રધાન ભાગવત કરાડે (Bhagwat Karade) એક લેખિત જવાબમાં સંસદમાં જણાવ્યું હતું કે, 7,848 કરોડ રૂપિયાની લોન પર ડિફોલ્ટ કરનાર ગીતાંજલિ જેમ્સ લિમિટેડ (Gitanjali Gems Limited) આ યાદીમાં ટોચ પર છે. ત્યાર બાદ ઇરા ઇન્ફ્રા (5,879 કરોડ રૂપિયાના એક્સપોઝર સાથે) અને રેઇ એગ્રો છે, જેણે 4,803 કરોડ રૂપિયાની લોન પર ડિફોલ્ટ જાહેર કર્યું છે. ગીતાંજલિ જેમ્સને ભાગેડુ ડાયમેંટેર મેહુલ ચોક્સી દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. અહેવાલોમાં જણાવાયું છે કે, ગત અઠવાડિયે CBIએ ચોક્સી સામે બેંકોના એક જૂથ સાથે 6,746 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ત્રણ ન્યૂઝ કેસ દાખલ કર્યા હતા. એક કિસ્સામાં ચોક્સી, ગીતાંજલિ જેમ્સ અને તેના વરિષ્ઠ અધિકારીઓ પર 2010થી 2018ની વચ્ચે 28 બેંકોના કન્સોર્ટિયમ સાથે 5,564 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ યાદીમાં સામેલ અન્ય લોકોમાં કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર, એબીજી શિપયાર્ડ, ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ અને વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરીનો સમાવેશ થાય છે.
RBIના જણાવ્યા અનુસાર, વિલફુલ ડિફોલ્ટર્સને બેંકો અથવા નાણાંકીય સંસ્થાઓ દ્વારા કોઈ વધારાની સુવિધા મંજૂર કરવામાં આવતી નથી અને તેમના યુનિટને પાંચ વર્ષ માટે નવા સાહસો શરૂ કરવાથી રોકવામાં આવે છે. વિલફુલ ડિફોલ્ટર્સ અને પ્રમોટર્સ અથવા ડિરેક્ટર્સ તરીકે વિલફુલ ડિફોલ્ટર્સ ધરાવતી કંપનીઓને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (શેર્સ અને ટેકઓવર્સના નોંધપાત્ર હસ્તાંતરણ) રેગ્યુલેશન્સ, 2016 દ્વારા ભંડોળ ઊભું કરવા માટે મૂડી બજારોમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. RBIના ડેટા અનુસાર, કેન્દ્રીય બેંક દ્વારા હાથ ધરવામાં આવેલી એસેટ ક્વોલિટી રિવ્યૂ બાદ જાહેર ક્ષેત્રની બેંકો (પીએસબી)ની ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) જે 8.9 લાખ કરોડ રૂપિયાની ટોચ પર પહોંચી હતી, તે 31 માર્ચ, 2022ના રોજ ઘટીને લગભગ 5.41 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
બૅન્કો ખરાબ લોનની વસૂલાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે રિકવરી માટે કોઈ અવકાશ ન હોય ત્યારે ધિરાણકર્તાઓ સામાન્ય રીતે લોન માફ કરી દે છે. RBIના આંકડા મુજબ બેંકોએ છેલ્લા પાંચ નાણાંકીય વર્ષમાં 10.09 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કરી દીધા છે. દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષમાં રૂ. 2 લાખ કરોડ, પંજાબ નેશનલ બેન્કે રૂ. 67,214 કરોડ અને ત્યાર બાદ આઇડીબીઆઇ બેન્કે રૂ. 45,650 કરોડ રાઇટ ઓફ કર્યા હતા. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં આઇસીઆઇસીઆઇ બેન્કે રૂ. 50,514 કરોડની લોન અને એચડીએફસી બેન્કે રૂ. 34,782 કરોડની લોન માફ કરી હતી.
છેલ્લાં થોડાં વર્ષોમાં બેન્ક એનપીએમાં ઘટાડામાં રાઇટ-ઓફનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. જૂન 2022 માટે આરબીઆઈના નાણાંકીય સ્થિરતા અહેવાલ અનુસાર, માર્ચ 2022માં બેંકોનો ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને છ વર્ષના નીચલા સ્તર 5.9 ટકા પર આવી ગયો છે. માર્ચ 2022માં નેટ નોન પરફોર્મિંગ એસેટ્સ રેશિયો ઘટીને 1.7 ટકા થયો હતો. કુલ એનપીએ રેશિયો એ બેંકની કુલ લોનની ખરાબ લોનની ટકાવારીનો દર્શાવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર