મુંબઈ: લાંબી રાહ જોયા બાદ આજે દેશના ઇતિહાસમાં સૌથી મોટો આઈપીઓ ખુલી ગયો છે. એલઆઈસીનો 21,000 કરોડ રૂપિયાનો આઈપીઓ આજે (4 મે) ખુલ્યો છે. આઈપીઓ નવમી મે સુધી ભરી શકાશે. રિટેલ રોકાણકારો ખૂબ જ લાંબા સમયથી આઈપીઓ રાહ જોઈ રહ્યા હતા. એલઆઈસી ભારતની સૌથી મોટી વીમા કંપની છે. એલઆઈસીએ આઈપીઓ માટે 902-949 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ રાખી છે. એલઆઈસીના શેરની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. જોકે, આ આઈપીઓ પૉલિસીધારકોને 60 રૂપિયા અને રિટેલ રોકાણકારો તેમજ એલઆઈસીના કર્મચારીઓને 45 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. ઇશ્યૂ મારફતે સરકાર એલઆઈસીમાં પોતાનો 3.5 ટકા હિસ્સો વેચશે.
એન્કર રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ
એન્કર ઇન્વેસ્ટર્સ માટે આઈપીઓ બીજી મેના રોજ ખુલ્યો હતો. રિપોર્ટ પ્રમાણે એલઆઈસી એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 5000 કરોડથી વધારે રૂપિયા એકઠી કરી ચૂકી છે. એન્કર રોકાણકારો તરફથી કંપનીને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ ખુલ્યાની થોડી જ કલાકોમાં એન્કર હિસ્સો 100 ટકા ભરાઈ ગયો હતો.
કોના માટે કેટલો હિસ્સો અનામત (LIC IPO Quota)
પૉલિસીધારકોને આઈપીઓ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે આ આઈપીઓમાં 10 ટકા હિસ્સો પૉલિસીધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈપીઓમાં કર્મચારીઓ માટે પણ અમુક ટકા હિસ્સો અનામત રહેશે. આશરે 50 ટકા હિસ્સો ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે અનામત હશે. આઈપીઓનો આશરે 15 ટકા હિસ્સો નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) અને 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત હશે.
કેટલું રોકાણ કરવું પડશે?
રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓમાં લૉટમાં બીડ કરી શકશે. એક લૉટમાં 15 શેર હશે. એલ લૉટ માટે ઓછામાં ઓછું ₹14,235નું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 14 લૉટ માટે બોલી લગાવી શકશે. આ માટે 210 શેર માટે ₹199,290નું રોકાણ કરવું પડશે.
બ્રોકરેજ હાઉસનો અભિપ્રાય
ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના આઈપીઓ એટલે કે એલઆઈસી આઈપીઓ (LIC IPO)માં મૂડીરોકાણ ફાયદાકારક સાબિત થશે. તેમાં રોકાણ કરવાથી ખોટ જવાનો કોઈ ખતરો અત્યારે તો દેખાતો નથી. LICનું વર્તમાન વેલ્યુએશન (LIC valuation) આકર્ષક છે. તેવું મોતીલાલ ઓસવાલ (Motilal Oswal) એસેટ મેનેજમેન્ટ કંપનીના એસોસિએટ ડાયરેકટર અને ફંડ મેનેજર મનીષ સોંથાલિયાનું કહેવું છે. CNBC-TV 18 સાથેની મુલાકાતમાં સોંથાલિયાએ જણાવ્યું હતું કે, LIC હાલના ભાવે જોરદાર રીતે સબસ્ક્રાઇબ થવાની અપેક્ષા છે અને રોકાણકારો માટે રોકાણ કરવાની સારી તક છે. તેમણે રોકાણકારોને હાલ પૂરતું શેરબજારમાં સાવધાનીપૂર્વક રોકાણ કરવાની સલાહ પણ આપી હતી
નિર્મલ બેંગનો અભિપ્રાય
નિર્મલ બેંગ ઇન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટીઝના રિપોર્ટ અનુસાર, કંપનીની લેટેસ્ટ રિપોર્ટેડ એમ્બેડેડ વેલ્યૂ 5.4 લાખ કરોડ રૂપિયા છે. માર્ચ 2021ની સરખામણીમાં તે 4.6 ગણી વધુ છે. તેના કારણે કંપનીની સરપ્લસ ડિસ્ટ્રીબ્યૂશન પોલિસીમાં પરિવર્તન છે. ઇન્ડિયામાં પ્રોટેક્શન ગેપ 83 ટકા છે. તે APAC દેશોમાં સૌથી વધુ છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, આગામી દાયકામાં ઇન્ડિયામાં એનબીપીની CAGR 14-16 ટકા રહી શકે છે. નિર્મલ બેંગ જણાવે છે, ‘માર્કેટમાં એલઆઇસીની પોઝિશન અને નવા પ્રોડક્ટ્સ લોન્ચને જોતા કંપનીને આગળ ઘણો ફાયદો થઇ શકે છે.’ 949 રૂપિયાના અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, આ ઇશ્યૂની વેલ્યૂ કંપનીની એમ્બેડેડ વેલ્યૂના 1.1 ગણી છે. તે પ્રાઇવેટ ઇન્શ્યોરન્સ કંપનીઓની સરખામણીમાં ઘણી ડિસ્કાઉન્ટેડ છે.
નિર્મલ બેંગે આ ઇશ્યૂમાં રોકાણ કરવાની સલાહ આપી છે. એક્સપર્ટનું કહેવું છે કે સરકારના પ્રયાસોના કારણે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીની ગ્રોથ સારી છે. કંપનીઓ પ્રોડક્ટ ઇનોવેશન્સ પર ફોકસ કરી રહી છે. ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. કોવિડ-19માં હેલેથકેરને લઇને જાગૃતિ વધારી છે. તેનો લાભ આવનારા સમયમાં જોવા મળશે.
કે.આર. ચોકસીનો અભિપ્રાય
બ્રોકરેજ ફર્મ કે.આર. ચોકસીનું કહેવું છે કે એલઆઇસીનો માર્જીન સ્ટેબલ રહ્યો છે. પ્રોડક્ટ પોર્ટફોલિયો સ્ટ્રેટેજી અને ડિસ્ટ્રીબ્યૂશન મિક્સમાં ડાયવર્સિફિકેશનથી તમામ મોરચે કંપની વધુ સારું પરફોર્મન્સ કરે તેવી શક્યતા છે. આ બ્રોકરેજ ફર્મના ઇન્વેસ્ટર્સનું કહેવું છે કે તેઓ લિસ્ટિંગ ગેઈન્સની સાથે જ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે આ ઇશ્યૂમાં પૈસા લગાવી શકે છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC GMP)
આઈપીઓ વોચના જણાવ્યા પ્રમાણે મંગળવારે ગ્રે માર્કેટમાં એલઆઈસીનો એક શેર 85 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. એટલે કે અનલિસ્ટેડ માર્કેટમાં એલઆઈસીનો એક શેર 1024 (949+75) રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.