નવી દિલ્હી : પ્રથમ ફેબ્રુઆરી, 2020ના રોજ રજૂ થનારા બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં (Income Tax Slab Changes)માં રાહત મળવાની આશા છે. આ અંગેનો સંકેત શુક્રવારે રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે આપ્યો હતો. નાણા મંત્રીએ (Finance Minister Nirmala Sitharaman) શુક્રવારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2019-20 (Economic Survey 2020 રજૂ કર્યો હતો.
આર્થિક સર્વેક્ષણ 2020માં આશા વ્યક્ત કરવામાં આવી છે કે સરકાર બજેટ 2020માં વ્યક્તિગત કરદાતાઓને ઇન્કમ ટેક્સમાં રાહત આપી શકે છે. સાથે જ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર સેક્ટરમાં રોકાણ વધારતી જાહેરાતો કરી શકે છે. નોંધનીય છે કે કોર્પોરેટ ટેક્સમાં કપાત બાદ વ્યક્તિગત કરમાં છૂટ આપવાની માંગ તેજ બની છે. અર્થતંત્રમાં માંગ અને ખપત વધારવા માટે વ્યક્તિગત કરમાં છૂટ ખૂબ જરૂરી માનવામાં આવે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આમ આદમીને છૂટ આપીને અર્થતંત્રમાં માંગને વધારી શકાય છે. છેલ્લા ઘણા વર્ષોથી ઇન્કમ ટેક્સના સેક્શન 80સી હેઠળ છૂટની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી રહી છે.
ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફારની આશા :
>> સામાન્ય બજેટ અંગે આ વખતે મધ્યમ વર્ગ અને પગારદાર કર્મચારીઓની સૌથી મોટી આશા ઇન્કમ ટેક્સમાં છૂટને લઈને છે.
>> વર્તમાન ટેક્સ સ્લેબમાં 2.5 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. જ્યારે અઢીથી પાંચ લાખની આવક પર પાંચ ટકા ટેક્સ લાગે છે.
>> પાંચથી દશ લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગે છે. તેનાથી ઉપરની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.
>> નાણાકીય સલાહકારોનું માનવામાં આવે તો પાંચ લાખ સુધી ઝીરો ટેક્સ થઈ શકે છે. જે બાદમાં પાંચથી દશ લાખ સુધીની આવક પર 20 ટકાના બદલે 10 ટકા, દશ લાખથી 20 લાખની કમાણી પર 20 ટકા અને 20 લાખથી વધારે આવક પર 30 ટકા ટેક્સ થવો જોઈએ.
છ વર્ષથી 80C અંતર્ગત ટેક્સ છૂટ નથી વધી
નોકરી કરતા લોકો માટે ઇન્કમ ટેક્સ સેક્શન 80C હેઠળ મળતી છૂટ ટેક્સમાં મોટી છૂટ છે. પરંતુ છેલ્લા છ વર્ષથી આ છૂટની મહત્તમ મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
હાલના સમયમાં આ મર્યાદા 1.5 લાખ રૂપિયા છે. લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ, પીએફમાં ફાળો, બાળકોની ટ્યુશન ફી, હાઉસિંગ લોનની ચૂકવણી અને પીપીએફમાં ફાળો આ બધું 80C હેઠળ આવે છે. આટલી બધી વસ્તુઓને 80C હેઠળ લાવતા આ છૂટ ઓછી લાગે છે.
NPSમાં મળી શકે છે રાહત
સામાન્ય બજેટ 2020માં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાં છૂટની મર્યાદા વધવાની આશા છે. હાલ 50 હજાર રૂપિયા સુધી રોકાણની ટેક્સ છૂટ મળે છે. આ છૂટ એક લાખ કરવાની માંગ છે.
નિષ્ણાતોને કહેવા પ્રમાણે જે રીતે મોંઘવારી વધી રહી છે અને કૉસ્ટ ઑફ લિવિંગ વધી રહી છે, તેમાં નિવૃત્તિ પછી લોકો પાસે મોટું ફંડ હોવું જોઈએ. જેનાથી નિવૃત્તિ ફંડમાં બચત કરવામાં પ્રોત્સાહન મળશે. નેશનલ પેન્શન સ્કીમમાં વધારે ફંડ આવવું સરકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ યોજનામાં વધુ મદદગાર સાબિત થશે.
જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૉન્ડમાં રોકાણને બીજી વખત ટેક્સ ફ્રી કરવું હોય તો અલગ સેક્શન અંતર્ગત ન નાખતા તેને 80C હેઠળ લાવી શકાય છે. જેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ટરમાં રોકાણને પ્રોત્સાહન મળશે અને ઓછા ફંડનો સામનો કરી રહેલી સરકારને ફાયદો થશે. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધશે તો રોજગારી પણ વધશે.