આજથી બરાબર એક અઠવાડિયા પછી એટલે કે આવતા મંગળવારે, 3 મેના દિવસે અક્ષય તૃતીયા (Akshay Trutiya) એટલે કે અખા ત્રીજનો (Akhatrij)તહેવાર આવી રહ્યો છે. આ દિવસે સોના (Gold) ના ઘરેણા ખરીદવા અથવા સોનામાં રોકાણ (Gold investment)કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હાલમાં બજારમાં સોનાની કિંમતમાં (Gold price)મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું હાલમાં સોનામાં પૈસા રોકવાનો આ યોગ્ય સમય છે.
મલ્ટિકોમોડિટી એક્સચેન્જ પર છેલ્લા 6 ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત 10 ગ્રામ દીઠ લગભગ 1,800 રૂપિયા સુધી નીચે આવી ગઈ છે. વૈશ્વિક બજારમાં પણ સોનાની કિંમત એક મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં રોકાણકારોમાં એ અસમંજસ છે કે હવે ખરીદેલું સોનું નજીકના ભવિષ્યમાં ખરેખર નફો આપશે કે કેમ.
શું કહે છે એક્સપર્ટ
કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયા કહે છે કે જો તમારે સોનામાં રોકાણ કરવું હોય તો તમે કોઈપણ ખચકાટ વિના કરી શકો છો. આગામી કેટલાક મહિનાઓ સુધી સોનાની કિંમતમાં વધારો ચાલુ રહેશે, જેનું સૌથી મોટું કારણ છે મોંઘવારી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સોનું પહેલેથી જ ઘણું મોંઘું થઈ ગયું છે. જો કે તેમાં થોડા સમય માટે ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ફરીથી તેમાં તેજીની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આ વર્ષે 60 હજાર સુધી જશે સોનાની કિંમત
તેમણે કહ્યું કે, વર્ષ 2022માં સોનાની કિંમત 58થી 60 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આના ઘણા કારણો છે. તેનું સૌથી મોટું કારણ સમગ્ર વિશ્વમાં વધતી જઈ રહી મોંઘવારી છે. ભારત હોય કે અમેરિકા, તમામ દેશો મોંઘવારીથી પરેશાન છે. રિઝર્વ બેંકે પણ આખા વર્ષ માટે રિટેઈલ ઈન્ફ્લેશનના અંદાજમાં લગભગ 1 ટકાનો વધારો કર્યો છે. મોંઘવારી વધવાની સાથે સોનાની કિંમત પણ ચોક્કસપણે વધે છે. જો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થાય તો પણ સોનાની કિંમત 50 હજાર રૂપિયાથી નીચે નહીં જાય.
કેડિયાએ જણાવ્યું હતું કે સોનું વધુને વધુ મોંઘું થઈ રહ્યું છે, પરંતુ યુએસ ફેડ રિઝર્વ અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતોને કારણે વચ્ચે વચ્ચે થોડી નરમાઈ પણ જોવા મળી રહી છે. એકંદરે હાલ કહી શકાય કે સોનાના ભાવમાં થોડો ઘટાડો થશે, પરંતુ જો આપણે આખા વર્ષનો માહોલ જોઈએ તો તેના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
IMF ની આગાહીએ ભાવમાં કર્યો વધારો
અજય કેડિયાનું કહેવું છે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની આગાહી બાદ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. આઈએમફે કહ્યું છે કે ચાલું નાણાંકીય વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા 3.8 ટકાના બદલે 3.6 ટકાના દરે વૃદ્ધિ કરશે. આ સિવાય ડોલર સામે રૂપિયામાં સતત નબળાઈને કારણે ભારતીય બજારમાં પણ સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.
મોંઘવારી છતાં વપરાશમાં ઘટાડો નહીં
ભારતમાં સોનાની માંગ સતત વધી રહી છે. વર્ષ 2021માં કોવિડ-19 મહામારી અને વધતી જતી મોંધવારી છતાં સોનાની રેકોર્ડ આયાત થઈ હતી. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનાનો વપરાશ કરતો દેશ છે. આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે જેમ જેમ માંગ વધશે તેમ સોનાની કિંમત પણ વધશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર