મુંબઇ: એલઆઈસીનો આઈપીઓ (LIC IPO) આજે (9 મે) બંધ થશે. સવારે 11:45 વાગ્યા સુધી એલઆઈસીનો આઈપીઓ બે ગણો ભરાઈ ચૂક્યો છે. રિટેલ રોકાણકારોનો હિસ્સો 1.7 ગણો ભરાયો છે, બીજી તરફ શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો છે. આજે (9 મે) ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ (Sensex crash) એક સમયે 54,000 પોઇન્ટની નીચે ચાલ્યો ગયો હતો. નિફ્ટી 50 પણ 16,150 અંક સુધી નીચે આવી ગયો હતો. જોકે, બાદમાં થોડી રિકવરી જોવા મળી હતી. બપોરે 2:30 વાગ્યે સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટીને 54,335 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 (Nifty 50) 156 પોઈન્ટ તૂટીને 16,255 આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. શેર બજારમાં કડાકાની સીધી જ અસર એલઆઈસીના આઈપીઓ પર પડી રહી છે.
શેર બજારના ઘટાડાની અસર એલઆઈસીના ગ્રે માર્કેટ પ્રીમિયમ (LIC grey market premium) પર પણ પડી છે. ઇશ્યૂના અંતિમ દિવસે એટલે કે 9મી મેના રોજ એલઆઈસીના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઘટીને 24 રૂપિયા થઈ ગયું છે. એક દિવસ પહેલા તે 60 રૂપિયા હતું. એક સમયે પ્રીમિયમ 125 રૂપિયા આસપાસ પહોંચી ગયું હતું. જે બાદમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ સતત ઘટી રહ્યું છે.
પૉલિસીધારકો સૌથી મોટા રોકાણકાર
ખાસ વાત એ છે કે આ આઈપીઓમાં રિટેલ રોકાણકારો અને પૉલિસીધારકોએ ખૂબ રોકાણ કર્યું છે. આ લોકોએ લિસ્ટિંગ ગેન અથવા ફટાફટ પૈસા બનાવવા માટે દાવ લગાવ્યો છે. આ વાતનો સંકેત છેલ્લા ચાર મહિનામાં ખુલેલા ડીમેટ એકાઉન્ટ પરથી લગાવી શકાય છે. જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન એક કરોડથી વધારે નવા ડીમેટ ખાતા ખુલ્યા છે. ફક્ત એપ્રિલ મહિનામાં જ 40 લાખથી વધારે ડીમેટ ખાતા ખુલ્યા છે. આ એવા રોકાણકારો છે જેઓ પ્રથમ વખત આઈપીઓમાં પૈસા લગાવી રહ્યા છે.
માર્કેટ વિશ્લેષકોએ બદલ્યા સૂર
શેર બજારની ખરાબ હાલત જોઈને માર્કેટ નિષ્ણાતોએ પણ પોતાના સૂર બદલ્યા છે. આ મહિનાની શરૂઆતમાં સેન્સેક્સ 57,060 પોઇન્ટ પર હતો. સોમવારે બપોરે 12 વાગ્યે સેન્સેક્સ 54,452 પોઇન્ટ પર આવી ગયો છે. મતલબ કે છેલ્લા આઠથી નવ દિવસમાં સેન્સેક્સ 4.57 ટકા તૂટ્યો છે. આ ઘટાડા બાદ એલઆઈસીના આઈપીઓને લઈને બજાર નિષ્ણાતોએ પણ પોતાનો અભિપ્રાય બદલ્યો છે.
હવે બજાર નિષ્ણાતો ઇશ્યૂને લાંબા સમય માટે રોકાણની તક માની રહ્યા છે. તેમનું કહેવું છે કે રોકાણકારોએ આ ઇશ્યૂમાં લિસ્ટિંગ ગેન માટે રોકાણ કરવું જોઈએ નહીં. જોકે, સરકારે આઈપીઓ માટે એલાઆઈસીનું વેલ્યૂએશન ખૂબ ઓછું રાખ્યું છે. આ માટે ઇશ્યૂ ખૂબ જ આકર્ષક લાગે છે. માર્કેટની ખરાબ હાલત છતાં લોંગ ટર્મ માટે કંપની સારું પ્રદર્શન કરશે તેમાં કોઈ શંકા નથી.
બજાર નિષ્ણાતોનો અભિપ્રાય
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટના હેડ ઑફ રિસર્ચ સંતોષ મીણાનું કહેવું છે કે બીજી ઇન્શ્યોરન્સ કંપનીઓની સરખામણીમાં એલઆઈસીનું વેલ્યૂએશન ખૂબ ઓછું છે. રોકાણકારોએ એક વાત સમજી લેવી જોઈએ કે રોકાણ એ લાંબાગાળાનો વેપાર છે. આથી તેમણે લાંબાગાળાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું જોઈએ. તેમનું કહેવું છે કે જો આઠથી 10 દિવસ સુધી માર્કેટના સેન્ટિમેન્ટ્સ ખરાબ રહે છે તો તેની અસર એલઆઈસીના લિસ્ટિંગ પર પણ પડી શકે છે.