Home /News /bhavnagar /Bhavnagar: રસપ્રદ કથા અને નરસિંહ મહેતા, આવું છે ગોપનાથ મહાદેવ મંદિર, જુઓ તસવીરો

Bhavnagar: રસપ્રદ કથા અને નરસિંહ મહેતા, આવું છે ગોપનાથ મહાદેવ મંદિર, જુઓ તસવીરો

આ મંદિરે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે.

આ રસપ્રદ કથા અને ઇતિહાસ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં એક જગ્યા આવેલી છે, જે ગોપનાથ મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે.

Dhruvik Gondaliya, Bhavnagar: આદ્યકવિ નરસિંહ મહેતાને તેના ભાભી મેણુ મારે. નરસિંહ મહેતા ગોપનાથ મંદિરે અન્નજળનો ત્યાગ કરી ઉપાસના કરે છે. અહીં ભગવાન ભોળાનાથ તેમને દર્શન આપે છે અને શ્રી કૃષ્ણ ભગવાનની રાસલીલાનાં દર્શન કરાવ છે. આ રસપ્રદ કથા અને ઇતિહાસ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેરની નજીકમાં એક જગ્યા આવેલી છે, જે ગોપનાથ મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. આ મંદિરની રચના રાજપીપળાના ગોહિલ રાજવી શ્રી ગોપાલસિંહ ગોહિલે કરેલી. જેના નામ પરથી આગળ જતાં ગોપનાથ નામ પડ્યું હશે એવી માન્યતા છે.શરૂવાતમાં મંદિરનું નિર્માણ તો થઈ ચુકેલું હતું પણ મંદિરના તાબા હેઠળ જમીન ના હતી, જે ઇ.સ 15મી સદીમાં ઝાંઝમેરના વાજા રાઠોડ રાજવી લગધીરસિંહજી રાઠોડે 1300 વિઘા જમીન આપી.

આ મંદિરમાં જ આદ્યકવિ તથા ભક્તકવિ જેવા નામથી પ્રસિદ્ધિ પામેલા નરસિંહ મહેતાના પ્રભાતિયાં અને ભક્તિગીતોની રચના થઇ હતી.જે ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવે છે. ગોપનાથ મંદિર સાથે અનેક કથા જોડાયેલી છે, તે મુજબ નરસિંહ મહેતાને તેના ભાભી મેણું મારે છે,ત્યારે તે આ મંદિરમાં 7 દિવસ અન્ન અને જળ વગર ભગવાનની ઉપાસના કરે છે,પરિણામ સ્વરૂપ ભગવાન મહાદેવ આ ભક્તને પ્રસન્ન થાય છે અને વરદાન માંગવાનું કહે છે,ત્યારે નરસિંહ મહેતા ભગવાનને જે વ્હાલું હોય તે આપવાનું કહે છે અને ત્રિલોકનાથ ભગવાન નરસિંહ મહેતાને શ્રી કૃષ્ણની રાસલીલા બતાવે છે અને આજે પણ મંદિરની અંદર પ્રવેશતા જ ઉપર નજર કરો તો તમને સ્થાપત્ય કલાના નમૂના સ્વરૂપ રાસલીલાના દર્શન થાય છે.



16મી સદીમાં મુગલોએ હુમલા કર્યા હતા

આ મંદિરને તોડી પાડવાના ઘણા પ્રયાસો વિધાર્મીઓ દ્વારા કરાયાં પણ ઝાંઝમેર રાજ્યના તાબા હેઠળ આવતા આ મંદિરની રક્ષા માટે ઝાંઝમેરના રાઠોડો હમેશા અભૂતપૂર્વ શૌર્ય અને સાહસ સાથે પોતાનો ક્ષત્રિયધર્મ નિભાવતા હતાં. 16 સદીમાં મુગલ શાસકો દ્વારા મંદિર પર હુમલો કરવામાં આવેલો હતો,જે રાઠોડ ક્ષત્રિયોએ પોતાની વીરતા અને ધર્મરક્ષાની તત્પરતા તથા પોતાના ક્ષત્રિય નિયમોની પાલનતા, આ ત્રણ નિયમ કહો કે ત્રિવેણી સંગમ પણ આ 3 નિયમોને આધીન થઈને રાઠોડ રાજવીઓ તથા તેની સૈન્યએ આ મુગલોની પરાજિત કર્યા હતા.તેની સાબિતી સ્વરૂપ આજે પણ ઝાંઝમેર તથા ગોપનાથમાં આ રાઠોડ રાજવીઓના પાળિયા આવેલા છે.ઝાંઝમેર એ ભાવનગર રાજ્યની અંદર આવેલું પેટા રાજ્ય ગણાતું જેના પર રાઠોડ રાજવીઓનું શાશન હતું. અભૂતપૂર્વ ઇતિહાસ,અદમ્ય સાહસ,અકલ્પનિયઘટનાઓ,અવિશ્વસનીય શૂરવીરતાએ આ ઝાંઝમેરની ભૂમિમાં સમાયલ છે.



ઉત્તમ સ્થાપત્ય કલાનો નમૂનો

ગોપનાથમાં પ્રવેશતાની સાથે જ અજોડ સ્થાપત્ય કલા દેખાય અને તે જોવાથી વ્યક્તિ આશ્ચર્ય પામે જ કે આ મંદિરથી લોકો કઈ રીતે અજાણ છે. અદભુત સ્થાપત્ય કલા તેના માટે કોઈ જ શબ્દ નથી મળતો.ભગવાન શિવજીને ભગવાન કૃષ્ણની રાસલીલા પસંદ હોય તેથી અહીં રાધા-કૃષ્ણનું મંદિર છે.તેમજ ગોપનાથ મહાદેવના મંદિરની સાથેજ અહીં નરસિંહ મહેતાનું મંદિર છે.જે દર્શાવે છેકે અહીં નરસિંહ મહેતા એ શિવજીની ભક્તિ કરેલ. એ ઉપરાંત અહીં રાધેકૃષ્ણનુ મંદિર છે.

૧૩૦૦ વિઘા જમીન દાનમાં આપી હતી

ગોપનાથ મહાદેવ બ્રહ્મચારી જગ્યાના ટ્રસ્ટી સુજાનસિંહ વાજાએ જણાવ્યું હતુ કે , 1458ની સાલમાં ઝાંઝમેરના રાજવી તરીકે લખધીરસિંહ વાજા રાઠોડ રાજવી હતા. તેમણે ચાર ધામની યાત્રાએ સમયે કરેલી.યાત્રા બાદ દાન કરવાનો રિવાજ હોય ગોપનાથ મહાદેવ મંદિરના નિભાવ માટે 1300 વિઘા જમીનનું પોતાના રાજમાંથી દાન કરેલ.તેનો શીલા લેખ મળી આવેલ છે. આજે વાજા રાઠોડ રાજવીની સ્ટેચ્યુ અહીં દર્શનાર્થે અને જાજરમાન ઇતિહાસને લોકો જાણે તેમાટે મુકવામાં આવેલ છે.



પહેલી દીવાદાંડી

પહેલી દીવાદાંડીની સ્થાપના 1879 મા થઈ હતી.1975થી તે કામ કરતી બંધ થઈ ગયી છે..સફેદ રંગે રંગાયેલી બેવડો વરંડો ધરાવતી લગભગ 12 મીટર ઊંચો ઈંટોનો મિનારો ધરાવે છે.દીવો હવે હટાવી લેવાયો છે, આ ઐતિહાસિક દીવાદાંડી ભાવનગર રાજ્ય દ્વારા બનાવાઈ હતી,હાલમાં ખસ્તાહાલ હાલતને લીધે સ્થળ જવા માટે ખુલ્લું છે પણ મિનારો બંધ કરી દેવાયો છે.

બીજી દીવાદાંડી: ઇ.સ.1975માં પહેલી દીવાદાંડી બંધ થઈ તેની સાથે જ બીજી દિવાદાંડીનું કામ શરૂ થયું હતું,તે દીવાદાંડી હાલમાં પણ કાર્યરત છે,દર 20 સેકન્ડે પ્રકાશનો ઝબકારો કરતી જે મારા ગામ ખંઢેરામાં પણ દેખાય છે ,44 મીટરની ઊંચાઈએ,30 મીટર ઊંચાઈના લાલ અને સફેદ રંગે રંગાયેલા નળાકાર ટાવર પર લાલટેન મુકાયેલી છે,આ નવી દીવાદાંડી જૂની દિવાદાંડીથી લગભગ 500 મીટરના અંતરે ઉત્તર દિશામાં છે.

ગોપનાથ બંગલો

નવી બનેલી દિવાદાંડીની નજીક ભાવનગરના રાજવીઓ એ બનાવેલ ગોપનાથ બંગલો પણ આવેલો છે ,જે હાલમાં વિજયવિલાસ પેલેસ હોટેલ તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.



અત્યંત રમણીય દરિયાકિનારો

ભાવનગર આવો અને ગોપનાથની મુલાકત લીધા વગર જતા રહો તો તમે વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્રકૃતિ અને અદભુત ઇતિહાસનું રસપાન કરવાથી વંચિત રહી જશો. ખૂબ જ આકર્ષિત દરિયા કિનારો ગોપનાથની શાનમાં ચાર ચાંદ પુરે છે.

અહીં સફેદ રંગની ધજા ફરકે છે

સામાન્ય રીતે હિન્દૂ ધાર્મિકસ્થળ હોય ત્યાં ભગવા રંગની ધજા હોય છે પણ આ ઇતિહાસનું પહેલું એવું મંદિર છે કે જ્યાં ધોળા રંગની ધજા ચડે છે,કારણ કે હરિ અને હર આ બંને થઈ ને હરિહર નામ ઉપસી આવે છે અને બંનેના સ્વરૂપની પૂજા થાય છે,માટે ધોળી ધજા ચડે છે. પણ આના કારણે સ્થાનિકો તેને ધોળીધજાવાળા દેવ તરીકે ઓળખે છે મંદિરની બહાર પગથિયાં ઉતરો એટલે એકદમ સામે જ નરસિંહ મહેતાની મૂર્તિ આવેલી છે તળાજાના વિસ્તારમાં આવો તો આ સ્થળ પર્યટક સ્થળ,આધ્યાત્મિક સ્થળ તેમ જ,મનોરંજન માટે ખૂબ જ ઉત્તમ સ્થળ છે માટે જોવાનું ચૂકશો નહીં જ.
First published: