ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ((Gujarat Assembly election 2022)) ભાજપ 150 પ્લસના ટાર્ગેટ સાથે કામ કરી રહ્યું છે. તમામ 182 બેઠકોની સ્થિતિનો ક્યાસ કાઢવા માટે તાજેતરમાં જ પાર્ટીએ વરિષ્ઠ નેતાઓને અલગ અલગ જિલ્લાઓમાં મોકલ્યા હતા. પાર્ટીએ અત્યારથી મહેનત શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ કેટલાક ગામના સરપંચોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હાલ ગડમથલ કરી રહી છે પણ કોંગ્રેસ માટે હજી દિલ્લી દૂર હોય તેમ લાગે છે. તો બીજી તરફ આપ પણ આ વખતે મેદાન-એ-જંગમાં સામેલ થયું છે. એવામાં સત્તાપક્ષ પોતાની ગુમાવેલી બેઠકો પરત મેળવવાનો અને જીતેલી બેઠક જાળવી રાખવા માટેના પ્રયત્નો કરી રહી છે. ત્યારે ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે આજે આપણે ચર્ચા કરીશું ગઢડા બેઠકની (gadhada assembly Seat).
1967થી ગઢડા બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 1980માં અનામતમાં ફેરવાઈ હતી. ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. મૂળ ભાવનગર જિલ્લાની ગઢડા વિધાનસભા બેઠકનો મત વિસ્તાર બોટાદ અને ભાવનગર એ બે મત વિસ્તારમાં પથરાયેલો છે. ગઢડા તાલુકો બોટાદ જિલ્લામાં છે, ત્યારે આ મત વિસ્તારના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. ગુજરાત રાજયના વિભાજન બાદ આ મત વિસ્તારના સીમાંકન બદલાતા રહ્યા છે.
2017ની ચૂંટણી વખતે ગઢડા તાલુકાના 50થી વધુ ગામો બોટાદ મત વિસ્તારમાં ભળ્યા અને વલ્લભીપુર બોટાદમાંથી ગઢડામાં ઉમેરાયુ. 1962થી 1975 સુધી સામાન્ય બેઠક રહેલી ગઢડાની બેઠક 1980થી અનામત બેઠક બની઼ જે આજ સુધી યથાવત છે. 1980થી 2020 સુધીની 10 ચૂંટણી અને 1992ની પેટા ચૂંટણી અનામત બેઠક તરીકે હતી અને 2020 ની પેટા ચૂંટણીમાં પણ આજ સ્થિતિ રહી. ગઢડા વિધાનસભા મત વિસ્તાર ધંધુકા સંસદીય મત વિસ્તારમાં હતો તો 2009થી ગઢડા વિધાનસભા મત વિસ્તાર ભાવનગર સંસદીય મત વિસ્તારમાં ગણાય છે. કૉંગ્રેસ અને ભાજપ બંને આ સીટ પોતાના ખાતામાં લાવવા માટે મથે છે.
મતદારો
ગઢડા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2 લાખ 50 હજાર 989 છે. જેમાંથી પુરૂષ મતદાતા 1 લાખ 30 હજાર 662 અને મહિલા મતદાતા - 1 લાખ 20 હજાર 326 છે. જેના માટે કુલ 382 મતદાન મથક બનાવવામાં આવ્યા છે.
જાતિગત સમીકરણ
ગઢડા બેઠક પર કોળી, દલિત અને પાટીદાર સમુદાયના મતદારો સૌથી વધુ છે. આ બેઠક પર પટેલ મતદાતા 53,650, કોળી 45,680, ક્ષત્રિય 9,954, બ્રાહ્મણ 5,295, ભરવાડ 11,063, રાજપુત 10,936, આહિર 7,574, લઘુમતી 17,938, લુહાર-સુથાર 5,395, પ્રજાપતિ 4,950, દલિત 11,250, અન્ય 4,507 મતદારોનો દબદબો છે.
રાજકીય સમીકરણ
અહીં ભાજપના કમિટેડ મતદારો છે અને ભાજપની સંગઠનશક્તિ પણ સારી છે. એટલે બધાં સમીકરણ જોતાં ભાજપને ફાયદો થાય એવું લાગી રહ્યું છે. ગઢડા નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. જેના લીધે ગઢડા આમ તો ભાજપ માટે વોટબેન્ક કહેવાય છે. પરંતુ આ બેઠક અનુસૂચિત જનજાતિના લોકો માટે હોઈ, આ બેઠક ઉપર હંમેશા બહારથી જ ઉમેદવારને ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવે છે. પાટીદાર અનામત આંદોલનના ઓછાયા હેઠળ યોજાયેલી 2017ની ચૂંટણીમાં ગઢડાની બેઠક ફરી કાંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી હતી.
આ બેઠક પર 2007 અને 2012માં હારેલા કોંગ્રેસેના પ્રવિણભાઇ મારૂ ફરી ધારાસભ્ય બન્યા હતા. 2020માં રાજયસભાની ચૂંટણી પહેલા પ્રવિણભાઇ મારૂએ વિધાનસભાની બેઠક પરથી રાજીનામુ આપતા આ બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જણાવી દઈએ કે ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારુ ભાજપ કાર્યાલય કમલમમ ખાતે વિધિવત ભાજપમાં સામેલ થયા હતા. પ્રવિણ મારુએ 2020-21 દરમિયાન યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલા ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.
હાર-જીતના સમીકરણ
વર્ષ
વિજેતા ઉમેદવારના નામ
પક્ષ
2020
આત્મારામ પરમાર
BJP
2017
પ્રવિણ મારૂ
INC
2012
આત્મારામ પરમાર
BJP
2007
આત્મારામ પરમાર
BJP
2002
પ્રવિણ મારૂ
INC
1998
આત્મારામ પરમાર
BJP
1995
આત્મારામ પરમાર
BJP
1990
રાણવા મંગળલાલ
BJP
1985
ગોહિલ કાંતિભાઈ
INC
1980
ગોહેલ બચુભાઈ
INC
1975
શાહ પ્રતાપભાઈ
INC
1972
ગોટી લખમણભાઈ
INC
1967
આર બી ગોહિલ
SWA
ગઢડા બેઠક પર છેલ્લી 5 ચૂંટણીના પરિણામો
આ બેઠકના છેલ્લા 5 ચૂંટણી પરિણામ જોઈએ તો 3 વખત ભાજપના આત્મારામ પરમાર વિજેતા બન્યા છે અને 2 વખત કોંગ્રેસના પ્રવીણ મારૂ વિજેતા થયા છે. 2107ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસે આંચકી લીધી હતી. જેમાં કોંગ્રેસના પ્રવીણ મારૂ 10 હજાર મતથી વિજેતા બન્યા હતા. પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યએ રાજીનામું આપી દેતા ગઢડા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગઢડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે આત્મારામ પરમારની જીત થઇ હતી. ગઢડામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે 23,047 મત સાથે જીત હાંસલ કરી, જ્યારે ગઢડાના કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકીની હાર થઇ હતી.
સ્થાનિક મુદ્દા
નેતાઓના પક્ષપલટાના કારણે અહીંના લોકોને પેટા ચૂંટણીનો સામનો કરવો પડ્યો હતો. આમ પણ છેલ્લા ઘણા સમયથી અહીંના લોકોને પાયાની જરૂરિયાતના મુદ્દે પણ અસંતોષ રહ્યો છે.
ગઢડા મતવિસ્તાર મૂળે તો ખેડૂતો અને ગ્રામીણ વિસ્તાર છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો નથી. મોટા ઉદ્યોગો ન હોવાને કારણે અહીંના લોકોને સ્થાનિક રોજગારીની પણ સમસ્યા છે. જેના કારણે તેમને મોટા શહેરો તરફ પ્રયાણ કરવું પડે છે.
અહીં મોટા ભાગના લોકો ખેતીવાડી પર નભે છે, હીરાનું થોડું ઘણું કામ ચાલે છે. તો વર્ષો પહેલાં અહીં નૅરોગેજ લાઇન હતી એ ઘણા સમયથી બંધ પડેલી છે એટલે લોકોને ટ્રાન્સપૉર્ટેશનની પણ સમસ્યા વેઠવી પડે છે.
ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ એવું ગઢડા શહેર 'સ્વામીના ગઢડા' તરીકે પણ ઓળખાય છે. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા ગામ આમ તો પ્રવાસીઓના લીધે તેનો રોજિંદો વ્યવહાર અને આર્થિક આવક મેળવે છે. પરંતુ અહીં કહી શકાય તેવો એક પણ ઉદ્યોગ નથી. માત્ર યાત્રાધામ તરીકે ગઢડા ઓળખાતું હોઈ અહીં આવતા પ્રવાસીઓના કારણે બજારોમાં રોનક જોવા મળે છે. તેથી સ્થામિક રોજગારી માટેની તકો વિકસાવવા માટે લોકો માંગ કરી રહ્યાં છે.