Gujarat Election Result: ભાવનગર જીલ્લાની ગારીયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને પછાડીને જીત દાખલ કરી છે. જણાવી દઈએ કે, આપના સુધીર વાઘાણીએ 60463 મેળવીને જીત મેળવી છે, જોકે ભાજપના કેશુ નાકરાણીને 55773 મળ્યા છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવી રહ્યું છે. જેમાં ભાજપને જંગી બહુમતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, ભાજપને 182 બેઠકોમાંથી 150 આસપાસ બેઠકો મળી શકે છે. ત્યારે આ સમાચાર વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં એન્ટ્રી કરી લીધી છે.
ભાવનગર જીલ્લાની ગારીયાધાર બેઠક પર આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને પછાડીને જીત દાખલ કરી છે. જણાવી દઈએ કે, આપના સુધીર વાઘાણીએ 60463 મેળવીને જીત મેળવી છે, જોકે ભાજપના કેશુ નાકરાણીને 55773 મળ્યા છે. તેની સાથે જ, કોંગ્રેસના દિવ્યેશ ચાવડાને 14967 મત મળ્યા હતા. આપે ભાવનગરમાં ખાતું ખોલીને ભાજપ કોંગ્રેસનો વિકલ્પ બન્યું છે.
ગારીયાધાર વિધાનસભા બેઠક
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો (gariadhar assembly constituency) આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં ગારીયાધાર વિધાનસભા બેઠક 101માં ક્રમાંકે છે. વર્ષ 2008માં નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી હતી.
આ નવા સીમાંકન અનુસાર સિહોર ગારીયાધારની બેઠક હવે ગારીયાધાર જેસર થઈ જતા ગારીયાધાર બેઠકમાં જેસર મહુવા પટ્ટીના અનેક ગામોનો સમાવેશ થઈ ગયો છે.
ગારીયાધાર વિધાનસભા અમરેલી લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. અમરેલી લોકસભા હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકમાંથી પાંચ બેઠક કોંગ્રેસના કબ્જે છે અને બે બેઠક ભાજપ પાસે છે.
ગારીયાધાર વિધાનસભા બેઠક પરથી વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ 50,635 મતો મેળવીને કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ખેનીને 1,876 મતોથી પરાજય આપ્યો હતો.
તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીએ જ જીતનો પરચમ લહેરાવ્યો હતો અને કોંગ્રેસ ઉમેદવાર બાબુભાઈ માંગુકીયાને હરાવીને જીત મેળવી હતી.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
કેશુભાઈ નાકરાણી
ભાજપ
2012
કેશુભાઈ નાકરાણી
ભાજપ
ગારીયાધારમાં સમાવિષ્ટ થતા ગામ
આણંદપુર, ખારડી, ખોડવદરી, ગણેશગઢ, ગારીયાધાર, ગુજરડા, ચોમલ, જાલવદર, જાળીયા, ટીંબા, ઠાંસા, ડમરાળા, નવાગામ, નાના ચારોડીયા, નાની વાવડી, પચ્છેગામ, પરવડી, પાનસડા, પાલડી, પાંચ ટોબરા, પીપરવા, ફાચરીયા, બેલા, ભમરીયા, ભંડારીયા, માનગઢ, માનપુર, માનવિલાસ, માંગુકા, માંડવી, મેસણકા, મોટા ચારોડીયા, મોટી વાવડી, મોરબા, રતનવાવ, રુપાવટી, લુવારા, વેળાવદર, શિવેન્દ્રનગર, સમઢીયાળા, સરંભડા, સાતપડા, સારીંગપુર, સાંઢખાખરા, સીતાપુર, સુખપર, સુરનગર, સુરનિવાસ, સુરવિલાસ સહિતના ગામોનો ગારીયાધાર સમાવેશ થાય છે.
ગારીયાધાર મતદારોનું ગણિત
ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,03,546 મતદારો છે. જેમાં 1,06,940 પુરુષ મતદારો છે અને 96,606 મહિલા મતદારો છે. ગારીયાધાર વિધાનસભા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલ ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ભાવેશ સોનાણીએ હાર્દિક પટેલ પર આરોપ મુક્યો છે કે, હાર્દિક પટેલે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ગારીયાધાર બેઠકની ટિકિટ માટે 23 લાખ રૂપિયા પડાવ્યા હતા.
આ મામલે હાર્દિકના જ પૂર્વ સાથી ભાવેશ સોનાણીએ વધુમાં કહ્યું છે કે, તેમણે પોતે હાર્દિકના ઘરે જઇને 10 લાખ રૂપિયા આપ્યા હતા અને ટીકીટ મળ્યા બાદ આંગડિયાથી 13 લાખ રૂપિયા મોકલ્યા હતા.
ભાવેશ સોનાણીએ હાર્દિક પર નિશાન સાધતા કહ્યું છે કે, હિંમત હોય તો હાર્દિક ભાવનગરમાં આવે અને 100 માણસોને ભેગા કરીને બતાવે. પાટીદાર અનામત આંદોલન સમયે ભાવેશ સોનાણીએ મનસુખ માંડવિયા પર જોડું ફેંકતા તે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો.
આમ આદમી પાર્ટી ગારીયાધાર પર ઓળઘોળ
ગારીયાધાર શહેરમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તા પર પડેલા ખાડા તંત્ર દ્વારા રિપેર કરવામાં આવ્યા ન હતા. જેથી આદમી પાર્ટીના કાર્યકરોએ રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ રોડ રસ્તાઓ તંત્રની બેદરકારીની ચાડી ખાય છે. આવારોડ રસ્તાઓને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓ અવાર નવાર તેનો ભોગ બને છે.
ગારીયાધાર સમસ્યા
ગારીયાધાર તાલુકામાં અનેક ગામોમાં પીવાના મીઠા પાણીનો કકળાટ શરૂ થયો છે. છેલ્લા ઘણા સમયથી પીવાના મીઠા પાણીના પ્રશ્ને ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે. શેત્રુંજી નદીના કાંઠા પર આવેલ ગામમાં પીવાલાયક પાણી નથી.
પીવાલાયક મીઠા પાણી માટે અવાર નવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા ગ્રામજનોએ આંદોલનની ચીમકી આપી હતી. ભૂગર્ભ ગટરોની સમસ્યાનો ઉકેલ ના આવવાને કારણે ચોમાસામાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા રહે છે.
ગારીયાધારમાં હજુ પણ પાણી, બેરોજગારી અને રસ્તાઓના પ્રશ્નો યથાવત્ છે. પાક વીમો, પાણી ખેતરોમાં 24 કલાક વીજળીનો અભાવ જેવા પ્રશ્નોના કારણે ચૂંટણી પર તેની અસર જોવા મળી શકે છે.
મોટા ઉદ્યોગો ના હોવાને કારણે યુવાનોએ રોજગારી મેળવવા માટે મોટા શહેરો તરફ દોટ મુકવી પડે છે. મંત્રીઓની સભા માટે સ્પેશ્યલ બસો દોડાવવામાં આવે છે, પરંતુ ગામડામાંથી શહેરમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે બસની સુવિધાનો અભાવ છે.
ગારીયાધારને મળી ભેટ
ગારીયાધાર વિધાનસભા મતવિસ્તાર અમરેલી લોકસભા હેઠળ આવે છે. ગારીયાધાર તાલુકાના મેણસકા ગામે 67.14 કરોડના ખર્ચે 220 કે. વી. સબસ્ટેશનનું સાંસદ નારણભાઈ કાછડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મેણસકા સબસ્ટેશન કાર્યાન્વિત થતા ગારીયાધાર, જેસર, પાલીતાણા અને શિહોર તાલુકાના ગામોને પૂરતા દબાણથી વીજળી મળશે અને ખેતીક્ષેત્રે તેનો લાભ પ્રાપ્ત થશે.
અમરેલી લોકસભા ચૂંટણી
અમરેલી લોકસભા મતવિસ્તાર હેઠળ કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ સાત વિધાનસભા બેઠકમાં અમરેલી, લાઠી, સાવરકુંડલા, ધારી, રાજુલા, મહુવા અને ગારીયાધાર વિધાનસભા બેઠક શામેલ છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણભાઈ કાછડીયાએ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને જંગી લીડથી હરાવ્યા હતા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ નારણભાઈ કાછડિયાએ કોંગ્રેસ ઉમેદવાર વીરજીભાઈ કેશવભાઈ ઠુમ્મરને હરાવ્યા હતા.
નારણભાઈ કાછડીયા વર્ષ 2014થી 2019 સુધી લોકસભામાં ગવર્નમેન્ટ એશ્યોરન્સીઝ કમિટી તથા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય રહી ચૂક્યા છે. ઊર્જા મંત્રાલય તથા નૂતન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયની કન્સલ્ટેટિવ કમિટીના પણ સભ્ય રહી ચૂક્યા છે.