નીતિન ગોહિલ, ભાનગર : ભાવનગર જિલ્લાના સિહોર ગામે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સગી જનેતાએ તેના બન્ને બાળકો પાણીમાં ડુબાડી જનેતાએ મોતને ઘાટ ઉતાર્યા છે. પતિએ પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પતિની ફરિયાદ નોંધી પોલીસે કાયદોસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં સિહોર ગામ પાસે આવેલા ખોડીયાર તળાવમાં જનેતાએ બાળકો પાણીમાં ડુબાડ્યા, ઘરે થી માતા બાળકોને મંદિરે દર્શન કરવાનું કહીને લઇ ગઇ હતી. ભાવનગર નજીકનાં સિહોર પાસે આવેલા પ્રસિદ્ધ ખોડીયાર માતાજીના મંદિર પાસેના ખોડીયાર તળાવમાં એક માતાએ પોતાના જ બંન્ને કુમળી વયના સંતાનોને પાણીમાં ડૂબાડી મોતે ઘાટ ઉતારી દેતાં ચક્યાર મચી છે. જોકે, ખુદ જનેતાએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેને લઈ સિહોર પોલીસે તજવીજ હાથ ધરી છે.
સિહોર પોલીસમાં પતિ અજયભાઈ જેન્તીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું ભાડાના મકાનમાં પોપટભાઈની વાડી રેલ્વે હોસ્પિટલ પાછળ મકાન ભાડે રાખી રહું છું અને હીરાના કારખાનામાં કામ કરું છું, મારા લગ્ન બાર વર્ષ પહેલા બોટાદ ખાતે થયા હતા, મારે દીકરી દ્રષ્ટિ (ઉ.વ.નવ વર્ષ) અને ધાર્મિક (ઉ.વ. છ વર્ષ) છે. હું જ્યારે સવારે કામે જાવા નીકળી ગયો હતો. ત્યારે મારી પત્ની અને બાળકો ઘરે જ હતા. સાંજનાં સાડા ચાર વાગે મારી પત્નીએ મને ફોન કરીને કહ્યું કે, હું બન્ને બાળકો ને લઈ રાજપરા ખોડિયાર મંદિર દર્શન આવ્યા છીએ. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો, ત્યારે બાદ સાંજનાં સાડા સાતેક વાગે અરસામાં મારા પત્નિના મોબાઈલમાંથી મને મિસ્કોલ આવતા મેં તેમાં ફોન કરતા કોઈ ભાઈએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તમે જલ્દી રાજપરા ખોડિયાર મંદિરના તળાવ પાસે આવો તમારી પત્નીએ તમારા બંને બાળકોને ડુબાડી દીધા છે.
આ બનાવને લઇ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જયારે માતા સુનિતા તળાવની ધારે બેઠી હતી. પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ કરી નવ વર્ષની બાળકી અને સાત વર્ષના બાળકને પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિહોર ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસની બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા. તો બનાવના પગલે બન્ને મૃતક બાળકોના પિતા અજયભાઈ પણ સિહોર દોડી આવ્યા હતા.
અજયભાઈએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે, છેલ્લા સાતેક માસથી મારે અને મારી પત્નીને નાની વાતમાં ઘર કંકાસ થતો હોય જેના કારણે મારી પત્નીએ બન્ને બાળકોને તળાવમાં ડુબાડીને મારી નાખ્યા છે. આ મારી પત્ની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. સિહોર પોલીસે ગુનો નોંધી આઈ.પી.સી.302 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.