ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ બાળકો માટે કલરવ શાળા કાર્યરત છે. આ શાળાને ગુજરાત સરકારે શ્રેષ્ઠ સંસ્થાઓ એવોર્ડ એનાયત કર્યો છે. તેમજ સંસ્થાનાં અનેક બાળકો નેશનલ અને સ્ટેટ લેવલની સ્પર્ધામાં વિજેતા બન્યાં છે.
Aarti Machhi, Bharuch: દિવ્યાંગ વ્યક્તિ પ્રત્યે લોકોની સહાનુભૂતિ હોય છે. પરંતુ સહાનુભૂતિ પૂરતી નથી તે દિશામાં કાર્ય કરવું ખૂબ જરૂરી છે. ભરૂચમાં દ્રઢ નિશ્ચય અને દ્રઢ મનોબળથી દિવ્યાંગ બાળકોની સમસ્યાને વાચા આપવાની ભગીરથ કાર્ય કલરવ ટ્રસ્ટે વર્ષ 1992થી શરૂ કર્યુ છે. તે દરમિયાન પાંચ બાળકથી શરૂ કરેલ સંસ્થામાં આજે 70 જેટલા બાળકો નિયમિત રીતે તાલીમ આપવામાં આવે છે.
લોકડાઉન પહેલા તાલીમ લેવા 100 લોકો આવતા હતા. લોકડાઉન બાદ સંખ્યામાં ઘટાડો થયો છે. શાળામાં તાલીમ લેતા બાળકોનું સ્પેશીયલ તાલીમ પામેલ શિક્ષકો, સાયકિયાટ્રીસ્ટ ડોક્ટર, ક્લિનિક સાયકિયાટ્રીસ્ટ ડોક્ટર,
એકયુપ્રેસર થેરાપીસ્ટ ફીઝીયોથેરાપીસ્ટ અને સામાજીક કાર્યકરની ટીમ દ્વારા તેના વાલી સાથે મીટીંગ કરી તેમની સાથે ચર્ચા કરી અને એસેસમેન્ટ કરવામાં આવે છે અને જરૂર પડે કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવે છે.
બાળકોને રમત ગમત સાથે શિક્ષણ આપવામાં આવે છે
કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળાનું લક્ષ્ય બાળકોને તાલીમ આપી સામાન્યજન પ્રવાહમાં ક્ષમતા પૂર્વક કાર્ય કરી સન્માન ભર્યું જીવન સાથે બીજાને મદદરૂપ થાય તેવું છે. નિયમિત શિક્ષણ સાથે સંગીત, નૃત્ય, ચિત્રકામ, યોગા, રમત-ગમતની તાલીમ આપવામાં આવે છે. બાળકોને ક્રિકેટ, વોલીબોલ, કેરમ સહિતની રમતો રમાડવામાં આવે છે.
કોમ્પ્યુટર શીખવાડી ડેટા એન્ટ્રીની તાલીમ આપવામાં આવે છે. તેમજ બેંગ્લોરની સંસ્થા સાથે જોડાઈને તેના માર્ગદર્શન મુજબ બાળકોને લેપટોપ પર તાલીમ આપવામાં આવે છે. કલરવની મહેનતના પરિણામ સ્વરૂપ ગુજરાત સરકાર દ્વારા કલરવને ગુજરાતની 2012ની શ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સંસ્થાના મંત્રી નીલાબેન મોદીને શ્રેષ્ઠ કાર્યકર તરીકે જાહેર કરી સન્માનિત કરાયા છે.
બાળકોને સવારથી 11 કલાકથી 4 કલાક દરમિયાન તાલીમ અપાય
કલરવ શાળામાં 6 થી 10 વર્ષની ઉંમરના બાળકોને એડમિશન આપવામાં આવે છે. સવારે 11 કલાકથી 4 કલાક સુધી બાળકોને તાલીમ આપવામાં આવે છે. મહિનાની માત્ર 500 રૂપિયા ફી લેવામાં આવે છે. બાળકો માટે બપોરનું જમવાનું અહીંથી આપવામાં આવે છે.
દિવ્યાંગ બાળકો માટે પેન્સિલ, રબર, યુનિફોર્મ ટ્રસ્ટ દ્વારા જ આપવામાં આવે છે. બાળકને વોકેશનલ ટ્રેનિંગ(ફાઈલ- અગરબત્તી બનાવવી) પણ આપવામાં આવે છે. કલરવ શાળામાં હાલ 9 ટીચર અને 3 આયા કાર્યરત છે. પ્રમુખ તરીકે પ્રવિણ સી. મોદી, ઉપપ્રમુખ પુષ્પા પટેલ, મંત્રી નીલાબહેન પી. મોદી, ખજાનચી ડો. સુનિલ ક્ષોત્રિય, સભ્ય તરીકે મહેશ પટેલ, કંદર્પ ઝવેરી સેવા આપી રહ્યાં છે.
સ્ટેટ અને નેશનલ લેવલે કલરવ શાળાના મનો દિવ્યાંગ બાળકો ઝળક્યા
કલરવ શાળામાં કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બધા તહેવારો ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પર બાળકો પાસે રાખડીઓ, દિવાળીમાં દિવડાઓ બનાવવામાં આવે છે. તહેવારનું મહત્વ અંગે બાળકોને 2-4 લાઈન કહેવા માટે તૈયાર કરવામાં આવે છે. 1 વર્ષમાં 1 વાર દિવ્યાંગ બાળકો માટે પીકનીકનું આયોજન કરવામાં આવે છે. ઓલમ્પિક સહિત સ્ટેટ, નેશનલ લેવલની સ્પર્ધાઓ માટે બાળકોને તૈયાર કરી મોકલવામાં આવે છે.
ગુજરાત લેવલ ચેમ્પિયનશીપમાં હેન્ડબોલ સ્પર્ધામાં સુહેલ પટેલનું ગુજરાતની ટીમમાં સિલેક્શન થયું છે. અંકિત બોમ્બેવાલાનું ટેબલ ટેનિસમાં પ્રથમ નેશનલ રમત માટે સિલેક્શન થયું હતુ. નેશનલ લેવલ ચેમ્પિયન એચીવમેન્ટની વાત કરીએ તો ટેબલ ટેનિસ સ્પર્ધામાં આકિત બોમ્બેવાલાએ ગોલ્ડ મેડલ, સ્કેટિંગમાં રાજેશ વસાવાએ ગોલ્ડ મેડલ, મિશ્વા પટેલ, પલક દરજી, આંશી ભાવસાર, ભાવિ મિસ્ત્રીએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.