ભરૂચનાં સ્વદેશી ઘાણીના તેલની શાખ આજે પણ અકબંધ
રીફાઈન, ડબલ રીફાઈન કેમિકલ અને ભેળસેળિયા તેલ કરતા ઘાણીનું શુદ્ધ તેમજ આરોગ્યવર્ધક તેલ ઉત્તમ હોય છે. ભરૂચના સ્વદેશી ઘાણીના તેલની શાખ આજે પણ અમેરિકા, લંડન અને દુબઈ સહિત સમગ્ર ગુજરાતમાં અકબંધ છે. આજની પેઢીએ બળદથી તેલ કાઢતી ઘાણીઓ જોઈ કે તેના વિશે સાંભળ્યુ પણ નથી.
93 વર્ષ પહેલા 305 તેલની ઘાણીઓ હતી
વર્ષ 1930નાં સમયમાં ઘાણીનું તેલ જ લોકો આરોગતા હતા. ભરૂચમાં શાસન કરતા અંગ્રેજો સહિત ફિરંગીઓ પણ સ્વાસ્થ્ય વર્ધક અને ગુણકારી તેલ આરોગવામાંથી બાકાત રહ્યા નથી. ભરૂચ અને અંકલેશ્વરમાં 93 વર્ષ પહેલા 305 તેલની ઘાણીઓ ધમધમતી હતી.
આધુનિક યુગના મંડાણ સાથે લોકો રીફાઈનરીના તેલ તરફ વળ્યા
સીંગતેલ, તલ, કોપરેલ, સરસવ, દીવેલ, બદામ, અળસી, લીમડા, સફેદ - કાળા તલનું તેલ પીલવામાં આવતુ હતુ. ઘાણીનું તેલ કાઢવા બળદોને જોતરવામાં આવતા હતા. કાળક્રમે ભરૂચની વેપારી તેમજ બંદરની છાપ અને અસ્મિતા ભુસાવા સાથે ઘાણીનું તેલ સહિત ઉદ્યોગ પણ ભૂતકાળ બની ગયો હતો. આધુનિક યુગના મંડાણ સાથે ઓઈલ મિલો શરૂ થઈ જતા આરોગ્યવર્ધક ઘાણીના તેલથી વિમુખ થતા લોકો રીફાઈનરીના તેલ તરફ વળ્યા હતા.
ભરૂચમાં કોરલવાલા પરીવારની માત્ર એક જ તેલની ઘાણી ધમધમે
ભરૂચ અને અંકલેશ્વરની 305 તેલની ઘાણીઓ પણ સમયાંતરે બંધ થવા સાથે તેનો વ્યવસાય કરતા મોદી, મહેતા, ગાંધી,ઘાંચી સમાજનાં લોકો અન્ય વ્યવસાય તરફ વળી ગયા હતા. આજે જુના ભરૂચમાં કોરલવાલા પરીવારની માત્ર એક જ તેલની ઘાણી ધમધમી રહી છે. આ પરિવારે તેઓના પૂર્વજોની પરંપરાને જાળવી રાખી છે. જેઓએ પોતાની બીજી શાખા વડદલા પાસે ઓસારા જતા માર્ગ ઉપર ખોલી છે.
ઘાણીના તેલની કિંમત બમણી
બળદથી ઘાણીનું તેલ પીલવાની પરંપરા પણ આધુનિક યુગમાં ખતમ થતા હાલ ઈલેકટ્રીક મોટરથી ઘાણીનું તેલ પીલવામાં આવે છે. બજારમાં મળતા ફેકટરીઓના તેલ કરતા ઘાણીના તેલની કિંમત બમણી છે. પરંતુ લોક આરોગ્ય માટે તે સ્વાસ્થ્ય વર્ધક અને 100 ટકા ફાયદાકારક છે. જેનાથી જુજ લોકો જ વાકેફ છે.
અમેરિકા, ઈંગ્લેન્ડ અને દુબઈના લોકો તેલ મગાવે
આપણા સ્વદેશી આ વ્યવસાય અને તેની કિંમત આજે પણ વિદેશીઓ વધુ સમજે છે. એટલે જ ભરૂચની સ્વદેશી ઘાણીના તેલનો વપરાશ અમેરિકા, ઈંગ્લેન્ડ અને દુબઈના લોકો અહીંથી લઈ જઈ કે મંગાવી કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર