ભરૂચ જિલ્લામાં આવેલ સારસા માતાજીનું મંદિર હજારો વર્ષ પુરાણું
ભરૂચ જિલ્લામાં ડુંગર વાળી મા સારસાનું મંદિર માઈ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આ પૌરાણિક મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. ડુંગર ચઢી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લામાં અનેક મંદિરો આવેલા છે. અનેક મંદિરો પૌરાણિક છે.પાંડવોના સમયથી કેટલાક મંદિરો અસ્તિત્વ ધરાવે છે. તેમજ પુરાણોમાં અનેક મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે.
રાજપારડીથી 2 કિલોમીટર દૂર સારસા માતાજીનો ડુંગર
ઝઘડિયા તાલુકાના જંગલ વિસ્તારમાં ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમા મંદિરો આવેલા છે. આ મંદિરો પૈકી રાજપારડીથી 2 કિલોમીટરના અંતરે નેત્રંગ રોડ ઉપર આવેલ ડુંગર વાળી એટલે કે સારસા માતાજીનું મંદિર આવેલું છે.
સારસા માતાજીની મંદિર પૌરાણિક હોવાની માન્યતા છે
પૌરાણિક કથા અનુસાર આ મંદિરની સ્થાપના ભૃગુ ઋષિએ કરી કહેવાય છે. જ્યારે પાંડવો સમયથી પણ આ મંદિર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે હિંગોરીયા ગામના કાનજી વસાવાને વર્ષો પહેલા માતાજી મળ્યા હોવાની પણ લોકવાયકા છે.
માઈ ભક્તો 1 કિલોમીટરનો ડુંગર ચઢી માતાજીના કરે છે દર્શન
રાજપારડી-નેત્રંગ માર્ગ ઉપરથી ડુંગર સુધી જવા માટે 1 કિલોમીટર સુધી માઈ ભક્તોને કષ્ટ સાથે માતાજી અગ્નિ પરીક્ષા સમાન ડુંગર ચઢી દર્શનાર્થે જાય છે. ડુંગર પર જવા માટે ત્રણેય તરફ પગ દંડી છે.માઈ ભક્તો દર રવિવારે અને મંગળવારે માતાજીના દર્શને જાય છે.
મા સારસાના દર્શન માટે દૂર દૂરથી માઈ ભક્તો આવે છે
સારસા માતાજીના ડુંગરે દૂર દૂરથી માઈ ભક્તો તહેવાર અને બંને નવરાત્રીમાં નવે નવ દિવસ આવે છે. સુરત,વડોદરા અને ભરૂચ, અંકલેશ્વર, વાલિયા,નેત્રંગ સહિત આજુબાજુના ગામમાંથી માઈ ભક્તો પદયાત્રા યોજીને માતાજીનાં દર્શન માટે આવે છે.
માતાજીના પ્રાગટ્ય દિને મેળો ભરાય છે
ઋષિ પંચમીનાં માતાજીનો પ્રાગ૭ય દિવસ છે. આ દિવસે ભાતીગળ મેળો યોજવામાં આવે છે. મેળામાં સુતરફેણીનું વેચાણ વધુ થયા છે.
નિઃસંતાનને સંતાન સુખ મળતું હોવાની માન્યતા
સારસા માતા કુવારા માતાજી હોવાથી માતાજીના મંદિરે આવતા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ માતાજીના ડુંગરે નિઃસંતાન દંપતી આવે તો તેઓની માતાજી ઈચ્છા પૂર્ણ કરે છે એવી માન્યતા છે.
વૃદ્ધ કે અશક્ત ડુંગર નીચે માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે
સારસા માતાજી ડુંગર પર બિરાજે છે. વૃદ્ધ અને અશક્ત લોકો માતાજીનાં દર્શન કરી શકે તે માટે તળાવ કિનારે માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેમજ સારસા માતાજી મંદિરના મહંત લાલાભાઇ દવેએ નર્મદા નદીની પરિક્રમા કરવા આવતા યાત્રીઓ માટે હોલનું નિર્માણની માંગ કરી છે. તેમજ ચોમાસામાં ધોવાણ ન થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.