કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરીને પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે
ભરૂચ શહેરમાંથી સૌપ્રથમ વખત અંગદાન એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલીટી અને ટ્રોમા સેન્ટરથી ડોનેટ લાઈફના માધ્યમથી પિયુષભાઈ જશુભાઈ પટેલના પરિવારે તેમના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતુ.
Aarti Machhi, Bharuch : અંગદાન એજ મહાદાનની ઉકિતને ખરા અર્થમાં પિયુષ પટેલના પરિવારે સાર્થક કરી બતાવી છે.ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં નર્મદા કોલેજ એરિયા ખાતે રહેતા પિયુષભાઈને છેલ્લા ૧૫ દિવસથી વારંવાર માથામાં સખત દુ:ખાવાની ફરિયાદ હતી. તા. 26 ઓકટોબરના રોજ માથામાં ખુબ જ દુ:ખાવો થવાથી તેઓ સૂઈ ગયા હતા ત્યાર બાદ તેમની તબિયત બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક નજીકમાં આવેલ ઝુલેલાલ હોસ્પીટલમાં દાખલ કર્યા હતા.
ઝુલેલાલ હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી અને ટ્રોમા સેન્ટરમાં ફિજીશયન ડો. કેતન દોશીની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તા.30 ઓક્ટોબરના રોજ ન્યુરોસર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલ, ફિજીશયન ડો.કેતન દોશી, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ઇરફાન પટેલ અને જનરલ સર્જન ડૉ.મેહુલ ગામીતે પિયુષભાઈને બ્રેનડેડ જાહેર કર્યા હતા.
ડોનેટ લાઈફ ભરુચના કન્વીનર ગૌતમ મહેતાએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પિયુષભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપતા ટીમે હોસ્પિટલ પહોંચી પિયુષભાઈના પિતા જશુભાઈ, પત્ની અંકિતાબેન, પુત્ર જેનીશ, બનેવી દિનેશભાઇ તથા પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યુ હતુ.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા State Organ and Tissue Transplant Organization (SOTTO) નો સંપર્ક કરવામાં કરી લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યુ હતુ. બંને કિડની અમદાવાદની હોસ્પીટલોને ફાળવવામાં આવી હતી. લિવર અને કિડનીનું દાન ડો. ધર્મેશ ધનાણી, ડો.પ્રશાંત રાવ, ડો.આનંદ પસ્તાગીયા, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓડીનેટર ચંદ્રેશ ડોબરિયા, સંજય ટાંચક અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. ચક્ષુઓનું દાન નાહર આઈ બેન્ક જયાબેન મોદી હોસ્પીટલે સ્વીકાર્યું હતું.
દાનમાં મેળવવામાં આવેલ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૪૫ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.લિવરને સમયસર ભરૂચની એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી અને ટ્રોમા સેન્ટરથી સુરતની કિરણ હોસ્પિટલ પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ અને સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલનો સહકાર સાંપડ્યો હતો.
અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં પિયુષભાઈના પિતાશ્રી જશુભાઈ, માતા બકુલાબેન, પત્ની અંકિતાબેન, પુત્ર જેનીશ, બનેવી દિનેશભાઇ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.જયપાલસિંહ ગોહિલ, ફિજીશયન ડો.કેતન દોશી અને ડૉ.વસીમ રાજ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.ઇરફાન પટેલ, જનરલ સર્જન ડૉ.મેહુલ ગામીત, કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ધીરજ સાઠે, મેડીકલ ઓફિસર ડો.હાર્દિક પટેલ, મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ.અસ્માહ કુરની, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ દેવી સિંગ ગુર્જર, યુનિટ હેડ ઈલ્ફાઝ પટેલ, ફ્લોર કૉડીનેટર નયના ચૌહાણ, એપેક્ષ મલ્ટી સ્પેશ્યાલિટી અને ટ્રોમા સેન્ટરના સંચાલકો અને સ્ટાફ, મુક્તાનંદ સ્વામી, ભરૂચ નગરપાલિકાના નગરસેવક ગણેશ કાયસ્થ, ડોનેટ લાઈફ ભરુચના કન્વીનર ગૌતમ મહેતા, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી અને ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1048 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં 440 કિડની, 187લિવર, 8 પેન્ક્રીઆસ, 41 હૃદય, 26 ફેફસાં, 4 હાથ અને 342 ચક્ષુઓના દાનથી કુલ 961 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.ડોનેટ લાઈફની વધુ માહિતી મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો- https://www.donatelife.org.in/