અંકલેશ્વરમાં અંતરનાથ મહાદેવનું મંદિર આવેલું છે. વાયુપુરાણ મુજબ કુંભકર્ણનાં પૌત્ર અંકુરે અહીં ભગવાન ભોળાનાથની સાધના કરી હતી. બાદ શિવજીની સ્થાપના કરી હતી. અંકુરેશ્વર મહાદેવ તરીકે પુજાવા લાગ્યાં હતાં.
Aarti Machhi, Bharuch: લોકોના મનની ઇચ્છા પૂરી કરનારા દેવોના દેવ શ્રી અંતરનાથ મહાદેવનું મંદિર અંકલેશ્વર શહેરમાં આવેલું છે. અંક્લેશ્વર શહેરનું નામ અંતરનાથ મહાદેવના નામથી જ રાખવામાં આવ્યું હોવાની લોકવાયકા છે. અંતરનાથ શિવાલયની જમીન દિવ્ય અને પવિત્ર માનવામા છે. મંદિરમાં મહાદેવનું શિવલિંગ દોઢ હાથ ઊચું અને જાડું છે.
અંતરનાથ મહાદેવ મંદિરનો પૌરાણિક ઇતિહાસ
અંતરનાથ મહાદેવ સાથે પૌરાણિક ઇતિહાસ સંકળાયેલો છે. પૌરાણિક કથા અનુસાર શિવભકત રાવણે માતા સીતાજીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ સીતા માતાજીને લંકામાં લઇ ગયા હતાં. તે દરમિયાન રાવણના ભાઇ કુંભકર્ણના પૌત્ર અંકુરે રાવણને ઠપકો આપ્યો હતો. ઠપકો રાવણથી સહન થયો નહીં.
અભિમાની તથા ક્રોધિત બનેલા રાવણે અંકુરને દેશનિકાલ આપ્યો હતો. દેશનિકાલ બાદ અંકુરે પોતાના પુરોહિતને મહાદેવજીની ભકિત કરવા માટે યોગ્ય પવિત્ર સ્થળની પસંદગી અંગે પુછ્યુ હતું. પુરોહિતે ઘણો વિચાર કર્યા બાદ નર્મદા તટના દક્ષિણ કિનારે આવેલા સ્થળને પવિત્ર ગણાવ્યો હતો.
કુંભકર્ણના પૌત્ર અંકુરના નામથી અંકુરેશ્વર મહાદેવ તરીકે નામના મેળવી
અંકુરે પુરોહિતની આજ્ઞા માની નર્મદા તટના દક્ષિણ કિનારે આવી ભગવાન શિવજીનું તપ કર્યું. પરિણામે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને અંકુરને વરદાન માંગવા કહ્યુ હતું. અંકુરે અમરત્વનું વરદાન માંગ્યુ હતું.
મહાદેવજીએ કહ્યુ કે, અમરત્વનું વરદાન મૃત્યુ લોકમાં કોઈને મળતુ નથી. પરંતુ હું તારા નામની સંજ્ઞાથી અહીં અમર રહીશ અને તું અમરત્વ પામીશ. એવું વરદાન આપી શિવજી અંતધ્ર્યાન થઇ ગયા હતાં.
અંકુરે પોતાના ઇષ્ટદેવ શિવજીની સ્થાપના કરી હતી. અંકુર દ્વારા પૂજિત શિવલિંગ પર કાળક્રમે નગરજનોએ ભકિતથી પ્રેરિત થઇ સરસ મંદિર બાંધ્યું છે. અંકુરના નામથી અંકુરેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. પ્રથમ ત્રેતાયુગમાં શિવજીની આરાધનામાં તત્પર એવા કુંભકર્ણનો પૌત્ર અંકુર નામે રાક્ષસ તપોસિદ્ધ થયો. આ અંગેનો વાયુપુરાણ રેવાખંડ અધ્યાય 168માં ઉલ્લેખ કરાયો છે.
મુગલોના સમયે મંદિર પર હુમલો કરાયો
મુગલોના સમયે અહીં મહંમદ ગઝની અને મહંમદ બેગડાએ હુમલો કર્યો હતો. ભમરાના રૂપે ભગવાન પ્રસન્ન થયા અને અહીંથી ભાગવું પડયુ હતુ. તેના નિશાન આજે પણ છે. અંતરનાથ મહાદેવ મંદિર ભકતોની આસ્થાનું અનેરું કેન્દ્ર છે. અહીં લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. શ્રાવણ મહિનો, મહાશિવરાત્રી, સોમવારે અહીં ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.