Aarti Machhi, Bharuch: મગફળીનું ઉત્પાદન સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં વધુ થાય છે. પરંતુ એમાંથી બનતી ખારીસીંગ સમગ્ર વિશ્વમાં ભરૂચની પ્રખ્યાત છે અને તેનું કારણ ભરૂચના ભાગોળમાંથી વહેતી નર્મદા કિનારેથી મળતી માટી છે. આ માટીમાં સીંગને પકાવવાથી સામાન્ય સીંગ ભરૂચની ખારીસીંગ એટલે કે ભરૂચની બદામ બની જાય છે.
ભરૂચની ખારીસીંગ વિશ્વભરમાં પ્રખ્યાત
ખારીસીંગનું નામ આવે એટલે ભરૂચનું નામ લેવાય. ભરૂચની ખારીસીંગ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ભરૂચ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન કરવામાં આવતું નથી. મગફળીને સૌરાષ્ટ્રથી આયાત કરીને લાવવામાં આવે છે. તેમ છતા સીંગ તો ભરૂચની જ કહેવાય છે. ભરૂચના કારીગરોની કલાએ ખારીસીંગને પ્રખ્યાત બનાવી છે. ભરૂચના કારીગરો દ્વારા સીંગદાણાને લાલમાંથી સફેદ બનાવવામાં આવે છે. સૌરાષ્ટ્રથી આવેલ સીંગને નદીની પીળી માટીમાં શેકવામાં આવે છે. વર્ષ 1932થી જય ખારીસીંગ સેન્ટર ખાતે ખારીસીંગનું વેચાણ
ભરૂચના ફાટાતળાવ વિસ્તારમાં આવેલા જય ખારીસિંગ સેન્ટર ખાતે વર્ષ 1932થી ખારીસીંગનું વેચાણ કરવામાં આવે છે. રાજેન્દ્ર ઠાકોરભાઈ ચણાવાલા વર્ષોથી ખારીસીંગને ભઠ્ઠીમાં શેકી તેને પેક કરી તેનું વેચાણ કરે છે. તેઓએ અભ્યાસમાં પાંચ ચોપડી ભણ્યા છે. રાજેન્દ્રભાઈ તેઓના બાપદાદાનો ધંધો સંભાળી રહ્યા છે.
ખારીસીંગની દેશ-વિદેશમાં નિકાસ
ભરૂચની ખારીસીંગ મોટી મોટી દુકાનોમાં દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. હાલ તો ખારીસીંગમાં પણ અલગ અલગ પ્રકારની વેરાઈટી આવી છે. જેમાં નારિયેળવાળી સીંગ, ચોકલેટ સીંગ, હાજમા સીંગ સહિતની સીંગનો સમાવેશ કરવામાં આવે છે. આ અંગે રાજેન્દ્ર ઠાકોરભાઈ ચણાવાલાએ જણાવ્યું હતું કે, એમ કહેવાય છે કે, ભરૂચની નર્મદા નદી કિનારાની માટીથી સીંગ બને છે. તેઓ હાલ અલગ અલગ પ્રકારની ચીકીનું પણ વેચાણ કરી રહ્યા છે.
નેશનલ હાઇવે પર મોટા પાયે ખારીસીંગનું વેચાણ કરવામાં આવે
ભરૂચ જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે ઉપર પણ ખારીસીંગનું મોટા પાયે વેચાણ કરવામાં આવે છે જ્યારે ભરૂચ રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં પણ ખારીસીંગનું વેચાણ કરવામાં આવે છે.જ્યારે મુસાફરો અને વાહન ચાલકો પણ ખારીસીંગનો સ્વાદ માણતા હોય છે.દુનિયા ભરમાં ફક્ત ખારીસીંગનું ઉત્પાદન ભરૂચમાં જ થાય છે.