અંકલેશ્વરમાં દીકરીના લગ્ન માં સ્વ. માતા મૂર્તિમંત બની આર્શીવાદ આપ્યા
અંકલેશ્વરમાં બે દીકરીઓનાં લગ્નમાં સ્વ. માતાની પ્રતિમા રાખવામાં આવી હતી. માતાનાં આશીર્વાદ મળી રહે તે માટે આબેહુબ વેક્સ અને સિલિકોનની પ્રતિમા સ્ટેજ ઉપર બિરાજમાન કરાઈ હતી. દીકરીઓને માતાનો પ્રેમ અને આશીર્વાદ મળ્યાં હતાં.
Aarti Machhi, Bharuch: માતાનાં પ્રેમ વિના લગ્ન કેમ શક્ય બને? દીકરીનાં લગ્ન હોય અને માતાની ગેરહાજરી વીના લગ્ન અધૂરા લાગે છે. લગ્નમાં દીકરીઓને માતાનો પ્રેમ અને હેત મળી રહે તેવા પ્રયાસ અંકલેશ્વરનાં પિયુષભાઇ પટેલે કર્યો છે. પિયુષભાઇનાં પત્ની દક્ષાબેનનું બે વર્ષ પહેલા નિધન થયું હતું. બે વર્ષ બાદ તેમની બે દીકરીઓનાં લગ્ન થયા છે. પરંતુ લગ્નમાં માતાની હાજરી રહે તે માટે દક્ષાબેનની પ્રતિમા રાખવામાં આવી હતી. અહીં વેલેન્ટાઇન ડે સાચા અર્થમાં સાર્થક થયો હતો.
અંકલેશ્વરમાં પિતાએ ટેકનોલોજીના આધારે દીકરીઓને અનોખી ભેટ આપી
આજે ટેક્નોલોજી ખુબ જ આગળ વધી ગઇ છે. માણસે કલ્પના પણ ના કરી હોય એવી વસ્તુઓને શોધવામાં આવી છે. આજે લગ્ન કે ઘરના કોઈ પ્રસંગમાં ટેકનોલોજી દ્વારા મૃત વ્યક્તિને પણ હાજર રાખી શકાય છે. હાલ અંકલેશ્વરમાં પિતાએ ટેકનોલોજીના આધારે દીકરીઓને અનોખી ભેટ આપી ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.
લગ્નમાં દીકરીઓને માતાની ગેરહાજરી ન વર્તાય માટે ભેટ
અંકલેશ્વરના પિયુષ પટેલ પોતે સામાજિક કાર્યકર અને બિલ્ડર છે. પત્ની દક્ષાબેનનું 2 વર્ષ પૂર્વે નિધન થયું હતું. 2 વર્ષ બાદ બે દીકરીઓ દૃષ્ટિ અને સૃષ્ટિના લગ્નનું આયોજન કર્યું હતું. પરંતુ લગ્નમાં દીકરીઓને માતાની ગેરહાજરી ન વર્તાય તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા.
માતાની હાજરીમાં લગ્ન કરવાની દીકરીઓની ઈચ્છા પૂર્ણ કરવા વડોદરા ફાઈન આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક સંજય રાજાવર અને વિદ્યાર્થી વિભા પટેલનો કોન્ટેક્ટ કર્યો હતો. નિષ્ણાંતોની મદદથી પીયૂષભાઈએ પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોનની પ્રતિમા બનાવડાવી હતી. તેઓની પ્રતિમા બનાવવા માટે 45 દિવસની મહેનત લાગી હતી.
પ્રતિમા સ્વરૂપે માતાને જોતા લાગણીસભર દ્રશ્યો
પુત્રીઓના લગ્ન મંડપમાં સ્ટેજ ઉપર સરપ્રાઈઝ બોક્સમાં રાખેલી હતી. પુત્રીઓએ બોક્સ ખોલતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
ત્યાં આમંત્રિત મહેમાનો, મિત્ર મંડળ અને પરિવારજનો પણ ભાવુક થઇ ગયા હતા. આ પ્રતિમા સ્વરૂપે માતા જીવંત હોવાનો અને માતા ખુશીથી લગ્ન પ્રસંગ માણી રહ્યાં હોવાનો અનુભવ કરાવ્યો હતો.