ભરૂચ જિલ્લાનું એક દિવસીય પિકનિક સ્થળ એટલે ધાણીખૂંટ...
નેત્રંગથી 14 કિલોમીટર દૂર નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર ધાણીપૂર ગામે તારીહા ઉર્ફે ધારીયા ધોધ સહેલાણીઓની પહેલી પસંદ બન્યું છે.અહી રજાઓના દિવસે મોટી સંખ્યામાં પ્રકૃતિનો રમણીય નજારો માણવા લોકો આવે છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધાણીખૂંટ ખાતે આવેલો ધારીયા ધોધ પ્રવાસીયો માટે પહેલી પસંદ બની છે.રજાઓના દિવસોમાં અહી મોટી સંખ્યામાં પ્રકૃતિનો રમણીય નજારો માણવા માટે આવતા હોય છે.
નર્મદા-ભરૂચ જિલ્લાની બોર્ડર પર આવેલી કરજણ નદી પથ્થરોની વિશાળ શીલાઓમાં થઇ વહે છે. પથ્થરોની ઊંચાઇ વિશાળ હોવાથી પથ્થરો પરથી પડતા પાણીના ધોધનો અવાજ દસ કિલોમીટરની ત્રિજ્યાના ગામોમાં સાંભળાય છે.
કરજણ નદીના કિનારે થવા ગામ પાસે ઐતિહાસિક અને પૌરાણિક કર્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે.આ મંદિરમાં બે ભોંયરા આવેલા છે તેવી લોક વાયકા છે. આ મંદિરનું જો સમય સર જીર્ણોદ્ધાર કરવામાં આવે તો આ વિસ્તારના આદિવાસી યુવકોને રોજગાર મળી રહે તેવી આશા છે.
ધાણીખુંટ ગામ પાસે આવેલા ધોરીયા ધોધ ખાતે શનિવાર-રવિવારની રજાઓમાં પ્રકૃતિ પ્રેમીઓ અહી આવી દિવસ પસાર કરતા હોય છે. અહી સુરત, વડોદરા, અમદાવાદ સહિત મહારાષ્ટ્રથી પણ કુદરતી સૌંદર્યની અનુભૂતિ કરવા પ્રવાસીયો આવે છે.
ચોમાસામાં કરજણ નદીમાં વધુ પાણીનો પ્રવાહ હોવાથી ધોધ સુધી પહોંચી શકાતું નથી પરંતુ દૂરથી તેને નિહાળી શકાય છે જ્યારે શિયાળાની ઋતુમાં સહેલાણીઓ નજીકથી ધોધની મજા માણી શકે છે.
અહી આવતા શહેલાણીઓ માટે ખાણીપીણી માટે પણ વ્યવસ્થા છે. દૂરથી આવતા પ્રવાસીઓને રહેવા માટે પણ સુવિધા ઉપલબ્ધ છે.