રાજા બલીએ આ સ્થળે 10 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હોવાની લોકવાયકા
ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા દશાશ્વમેઘ ઘાટ પૌરાણિક છે . બલિરાજાએ અહીં 10 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા હોવાની માન્યતા છે.ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે આવી 3 પગલાં ભૂમિનું દાન માગ્યું હતું. પૌરાણિક ઘાટ વિકાસથી વંચિત છે.
Aarti Machhi, Bharuch: ભરૂચ અતિ પ્રાચીન અને પૌરાણિક નગરી છે. ભરુચ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા દશાશ્વમેઘ ઘાટ કે જે બલિરાજાની પવિત્ર ભૂમિ માનવામાં આવે છે. ભરૂચને લક્ષ્મી માતાજીનું પિયર ગણવામાં આવે છે.
દશાશ્વમેઘ ઘાટ સાથે સંકળાયેલ લોકવાયકા
દશાશ્વમેઘ સાથે પૌરાણિક કથા સંકળાયેલી છે. અહીં રાજા બલિએ 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. સતયુગમાં ભક્ત શ્રેષ્ઠ પ્રહલાદના પુત્ર વિરોચન અને તેમની પત્ની સુરોચનાના પૌત્ર દૈત્યરાજ બલિ હતાં. સમગ્ર વિશ્વમાં એમનું રાજ પ્રસ્થાપિત થઈ જાય તે માટે તે પ્રકારની રાજા બલિની ઈચ્છા હતી.
અને જો એ ઈચ્છા પૂર્ણ થાય તો રાક્ષસી રાજની સ્થાપના થઈ જાય. માટે આ જગ્યાએ ભગવાન વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ કર્યું. અને બલિરાજા પાસે સાડા ત્રણ ડગલા જમીન માંગી હતી.
એમાં ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી આકાશ, પાતાળ અને પૃથ્વીલોક માપી લીધા હતા અને અડધું ડગલુ બાકી હતુ,એ ક્યાં મુકુ એમ કહેતા બલિરાજાના મસ્તક ઉપર મૂકી એમને પાતાળમાં રાજ્ય આપ્યું.
ભગવાન પ્રસન્ન થયા અને રાજા બલિને વરદાન માંગવા માટે કહ્યું. બલિ રાજાએ ભગવાન વિષ્ણુને કહ્યું,આપ પ્રભુ મારા દ્વારપાળ બનો. ભગવાન વિષ્ણુ રાજા બલિના દ્વારપાળ બની ગયા.
ભરૂચને લક્ષ્મી માતાજીનું પિયર ગણવામાં આવે
પૌરાણિક માન્યતા છે કે, સમયાંતરે શ્રાવણ માસમાં પૂનમ નિમિત્તે ભગવાન વિષ્ણુને મુકત કરવા માટે માતા લક્ષ્મીજીએ બલિરાજાને ભાઈ બનાવી રક્ષાસુત્ર- રાખડી બાંધી હતી અને ભાઈ તરફથી ઉપકારરૂપે પોતાના પતિ વિષ્ણુને છોડાવ્યા હતા.
આ રીતે રક્ષાબંધનની પર્વની પણ શરૂઆત થઈ હતી. ત્યારથી જ ભરૂચને લક્ષ્મી માતાજીનું પિયર ગણવામાં આવે છે. નર્મદા પુરાણમાં પણ આનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દશાશ્વમેઘ ઘાટ વિકાસથી વંચિત
નર્મદા ક્ષેત્રનો વિકાસ અધૂરો છે. દશાશ્વમેઘ ઘાટ ઉપર ભૂતકાળમાં હજારો લોકો આવતા હતા અને દેશ વિદેશમાંથી ઘણા પર્યટકો જોવા માટે આવે છે. કેટલાક રાજ્યમાંથી લોકો વિધિ કરવા માટે પણ આવે છે. અહી તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તો આ એક મહાન તીર્થ છે, તેનો વિકાસ થઈ શકશે.