Home /News /bharuch /બૂટલેગરો માટે પોલીસની જાસૂસી કરનારા કોન્સ્ટેબલો સામે આજીવન કેદની સજાની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો
બૂટલેગરો માટે પોલીસની જાસૂસી કરનારા કોન્સ્ટેબલો સામે આજીવન કેદની સજાની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો
ભરૂચમાં પોલીસની જાસૂસી કરનારા કોન્સ્ટેબલ સામે કાર્યવાહી
Bharuch Police: ભરૂચમાં પોલીસ બૂટલેગરો પર રેડ પાડે તે પહેલા જ બૂટલેગરોને પોલીસનું પગેરું મળી જાય તે માટે પોલીસની જાસૂસી કરનારા બે કોન્સ્ટેબલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી કોન્સ્ટેબલ સામે આજીવન કેદની સજાની કલમ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચઃ ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચ LCBના 2 કોન્સ્ટેબલોના બુટલેગરો પાસેથી રૂપિયા લઈને પોલીસની જ જાસૂસીમાં બે બુટલેગરો સહિત બન્ને અપરાધી કોન્સ્ટેબલો મળી કુલ 4ની સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે.
ભરૂચ LCBમાં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ રૂપિયા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની બુટલગરો ઉપર રેઈડ નિષ્ફળ જતા SP નિર્લિપ્ત રાયને શંકા ગઈ હતી. તેઓએ DYSP કે ટી કામરીયા સાથે તપાસ કરતા ભરૂચ LCBના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પોહચાડવામાં ભૂમિકા સામે આવી હતી.
SMCએ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન DGP આશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલે તાત્કાલિક એક્શન લઈ બન્ને રૂપિયા માટે બુટલેગરોના હાથે વેચાઈ ગયેલા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા. ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય અંગે ભરૂચ SP એ તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને પોતાની સીધી દેખરેખ હેઠળ સોંપી હતી.
DYSP દ્વારા 18 દિવસ કરતા વધુની સઘન તપાસ બાદ આજે બી ડિવિઝનમાં SOG પીઆઈ આનંદ ચૌધરીએ બન્ને કોન્સ્ટેબલ અને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવતા બંને સસ્પેન્ડ પોલીસકર્મીઓ અને બે બૂટલેગરો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી ભરૂચ એસપી ડૉ.લીના પાટીલે આપી હતી.
પોલીસમાં જ રહી પોલીસની જાસૂસી બુટલેગરો માટે કરતા બન્ને કોન્સ્ટેબલ, બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જોગવાઈની વિવિધ કલમો લગાવવામાં આવી છે. જેમાં IPC 409 આજીવન કેદ. સરકારી કર્મચારી દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત, 116 ગુનો કરવામાં મદદગારી, સરકારી કર્મચારીને લાંચ આપી સરકારી અધિકારીઓ સામે જ ગુનાહિત કામગીરી, કલમ 119 પબ્લિક સર્વન્ટ તરીકે મદદગારી, ફરજ અને માહિતીનો દુરુપયોગ, 201 પુરાવા નાશ કરવા, 166 (એ) સરકારી કર્મચારી તરીકે પોતાની ફરજ નહિ નિભાવી ગુનાહિત કામગીરી. 120 (બી) ગુનાહિત ષડયંત્ર, 114 મદદગારી, આઇટી એક્ટ તેમજ ભ્રષ્ટાચારની કલમો 13(1) (ક) અને 13 (2) પ્રજાના સેવકે લાંચ લઈ બજાવેલી ફરજમાં 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે.આ કલમો હેઠળ આરોપીઓને સ્પેશ્યલ કોર્ટમાંથી જ જામીન મળી શકે તેમ છે. હાલ આ અંગે તપાસ DYSP સી.કે.પટેલને સોપાઈ છે.