ગાંધીનગર: ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) આવશે. બીજી તરફ તાજેતરમાં જ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને બદલવામાં આવ્યા છે. એ પહેલા અધિકારીઓની બદલીઓ પણ કરી દેવામાં આવી હતી. આ તમામ વાતોને ચૂંટણીને તૈયારીના ભાગરૂપે (Election preparation) જોવામાં આવી રહી છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ક્ષત્રિય ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોર (Alpesh Thakor)ને હાલ કોઈ મહત્ત્વનું પદ કે હોદ્દો પર નથી. ભાજપમાં જોડાયા બાદ પછી પણ તેઓ સમાયંતરે સરકાર વિરુદ્ધ કે સૂચક નિવેદનો આપતા રહે છે. તાજેતરમાં તેમનું એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ આ નિવેદનને લઈને અનેક સવાલ પણ ઉઠ્યા છે.
અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું છે કે, તેઓ બે-બે વાર પડ્યા છે, પંરતુ ત્રીજી વાર નહીં પડે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. 30 સેકન્ડના આ વીડિયોમાં અલ્પેશે ઠાકોર સમાજને ઘણું સમજાવી દીધું છે. બીજી તરફ આ વીડિયોને લઈને અનેક સવાલો પણ ઉઠ્યા છે. જોકે, આ સવાલોના જવાબ ફક્ત અલ્પેશ ઠાકોર જ આપી શકે છે!
અલ્પેશ ઠાકોરે શું કહ્યું?
30 સેકન્ડના એક વીડિયોમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ ઠાકોર (BJP Leader Alpesh Thakor video) કહી રહ્યા છે કે, "દોસ્તો, મર્યાં પહેલા ઇતિહાસ રચીને જવાનું છું. નબળો નથી થયો. નબળો નથી થયો. મનથી વધું મજબૂત છું, પણ સમયની રાહ જોઈ રહ્યું છું. સમય પહેલા કંઈ નહીં કરું. એકવાર પડ્યો છું. બીજીવાર પડ્યો છું. ત્રીજીવાર ન પડીશ, ન પડવા દઈશ. દોસ્તો, મારે તમને એટલું જ કહેવું છે. ભરોસો રાખજો. દિલમાં ઇમાનદારી એની એ જ છે. ખુમારી એની એ જ છે. એ લાલાસ પણ એની એ જ છે."
વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસ પાર્ટીની ટિકિટ પરથી રાધનપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જે બાદમાં વર્ષ 2019માં રાજ્યસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના તત્કાલિન પ્રમુખ જીતુભાઈ વઘાણીએ તેમને આવકાર્યાં હતાં. જે બાદમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી જ ટિકિટ આપી હતી. જોકે, આ ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની હાર થઈ હતી. રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુનાથ દેસાઇએ અલ્પેશ ઠાકોરને હાર આપી હતી.