Banaskantha news: બનાસકાંઠામાં પાલનપુર ડીસા નેશનલ હાઈવે પર 4 દિવસ અગાઉ મોડી રાત્રે સ્કોર્પિયો ગાડીને ઇકો ગાડીથી ટક્કર મારી લૂંટ આચર્યાની ઘટના સામે આવી હતી. જો કે સમગ્ર ઘટનાની જાણ LCB સહિત સ્થાનિક પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટને અંજામ આપનાર ટોળકીને ઝડપી પાડી હતી.
કિશોર તુવર, બનાસકાંઠા: પાલનપુર ડીસા નેશનલ હાઈવે પર 4 દિવસ અગાઉ મોડી રાત્રે સ્કોર્પિયો ગાડીને ઇકો ગાડીથી ટક્કર મારી લૂંટારૂ ટોળકી લૂંટ આચરી ફરાર થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. જો કે સમગ્ર ઘટનાની જાણ LCB સહિત સ્થાનિક પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટને અંજામ આપનાર ટોળકીને ઝડપી પાડી હતી. આ સાથે જ આપોરીઓ પાસેથી મુદ્દામાલ પરત મેળવી આરોપીઓને જેલના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
લૂંટારૂઓ 6 લાખ રૂપિયાની લૂંટ આચરી ફરાર થઈ ગયા
પાલનપુરમાં મહાવીર ટ્રેડર્સ નામની દુકાનના માલિક રિતિક જૈન પોતાની સ્કોર્પિયો ગાડી લઈને 4 દિવસ અગાઉ મોડી સાંજે ડીસાથી પાલનપુર તરફ જઈ રહ્યા હતા. તે સમયે કુશકલ ગામના પાટિયા પાસે અચાનક ઇકો ગાડીએ ટક્કર મારતા અકસ્માત સજાયો હતો. ઘટનાને પગલે સ્કોર્પિયો ચાલક ગાડીમાંથી બહાર આવે તે પહેલા જ ઇકો ગાડીમાંથી ઉતરેલી ટોળકીએ સ્કોર્પિયો ગાડીના ચાલકની આંખોમાં મરચાની ભૂકી નાખી અને લાકડી વડે માર માર્યો અને બાજુમાં પડેલા 6 લાખ રૂપિયાની લૂંટ આચરી ફરાર થઈ ગયા હતા. આ સાથે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત જિલ્લા એલસીબીની ટીમો બનાવ સ્થળે આવી પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, ઈજાગ્રસ્ત રિતિક જૈનને સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સીસની મદદથી તપાસ કરતા આખરે આ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. મળતી મહિતી પ્રમાણે મહાવીર ટ્રેડર્સ દુકાનમાં નોકરી કરતા કર્મચારીએ જ આ આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે લૂંટનું આયોજન કરનાર કર્મચારી સહિત છ લોકોની અટકાયત કરી છે.
છ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ
નોંધનીય છે કે, આ ટોળકીની મોડેસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી. કારણ કે, આ ઘટનામાં લૂંટને અંજામ આપનાર બીજું કોઈ નહીં પરંતુ પેઢીમાં નોકરી કરનાર કર્મચારી જ હતો. જેતુભા ડાભી નામનો વ્યક્તિ રિતિક જૈનની મહાવીર ટ્રેડર્સમાં નોકરી કરે છે અને તેને જ તેના અન્ય સાગરીતોને ટીપ આપી લૂંટ આચરી હતી. આ મામલે પોલીસે અત્યારે છ આરોપીઓ સહિત લૂંટમાં વપરાયેલ ઈકો ગાડી અને રોકડ સહિત 5.72 લાખ નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પગલે સુરેન્દ્રસિહ ઉર્ફે બીટુ તખતસિહ શાંખલા (રાજપૂત ), જબબરસિહ સોનસિંહ વાઘેલા, પંકેસજી ચંદુજી ઠાકોર, જેતુભા જેણુભા ડાભી, મનુભાઈ ધારજીજી પરમાર, અને લાલજી ઉર્ફે પિન્ટુ દશરથજી વાઘેલા એમ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.