રણછોડ પગીમાં અદભુત પગચિહ્ન ઓળખવાની કળા હોવાથી તેમને પગી તરીખે ઓળખતા.
બનાસકાંઠાના વીર સ્વ. રણછોડદાસ રબારી ઉર્ફે પગીને આજે પણ લોકો યાદ કરે છે. પાક સામેના યુદ્ધમાં મહત્વની ભૂમિકા રહી હતી.પગના નિશાન પરથી વ્યક્તિનો વજન,કઈ દિશામાંથી આવ્યો? કઈ દિશામાં ગયો જાણી લેતા હતા.
Nilesh Rana, Banaskantha: ભારત-પાકિસ્તાનના 1965 અને 1971 ના યુદ્ધમાં પાકિસ્તાન પર જીત મેળવી પાકનો હિસ્સો કબજે કરવામાં જેનો સિંહફાળો હતો તેવા બનાસકાંઠાના વીર સ્વ. રણછોડદાસ રબારી ઉર્ફે પગીને આજે પણ લોકો યાદ કરે છે. તેમજ તેમના જીવનચરિત્ર પર હિન્દી ફિલ્મ પણ બનાવી છે. રણછોડદાસ પગી કોણ છે અને કેમ તેમનું પગી નામ પાડવામાં આવ્યું અને ભારતીય સેનાને કઈ રીતે મદદ કરી તે રસપદ કહાની છે.
વ્યક્તિના પગલાં પરથી કુંડળી કાઢી લેતા
બે વાર આપણા દુશ્મન દેશ પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તે વીરનું નામ સ્વ. રણછોડભાઇ રબારી ઉર્ફે પગી. જી હા પગીના નામથી ઓળખાતા રણછોડ રબારીએ ભારતીય સૈન્યને અનેકવાર મદદ કરી હતી.
વાવના વાસરડા ગામે 1910 ની આસપાસ જન્મેલા રણછોડ રબારી પાસે અદભૂત કુદરતી શક્તિ હતી. તેઓ અભણ હોવા છતાં પણ પગચિહ્નન ઓળખવામાં અદભુત કૌશલ્ય ધરાવતા હતા. માત્ર પગલા પરથી જ તે વ્યક્તિ કઈ દિશામાંથી આવ્યો છે અને કઈ દિશામાં ગયો છે. કેટલું વજન લઈને ચાલી રહ્યો છે અને ક્યાં સુધી પહોંચ્યો હશે. જાણી શકતા હતા.
પાકિસ્તાનથી લીંબાળા મોસાળમાં આવ્યા
રણછોડભાઈ રબારી પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ ભારત-પાકિસ્તાનના ભાગલા સમય તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેવા લાગ્યા હતા.
પરંતું ત્યા પાકિસ્તાની લોકો દ્વારા થતી હેરાનગતિના કારણે એક દિવસ ત્રણ પાકિસ્તાની પોલીસકર્મીની બાંધીને કોઠીમાં નાખીને પોતાના પરિવાર અને પશુઓ સાથે હિન્દુસ્તાનના બનાસકાંઠાના લીંબાળા તેમના મોસાળમાં આવી ગયા હતા.અહીં આવ્યા બાદ ગામમાં ચોકીદાર તરીકેની નોકરી શરૂ કરી હતી.
1965ના યુદ્ધમાં શું મદદ કરી ?
રણછોડભાઈ રબારી પાસે અદભુત પગચિહ્ન ઓળખવાની કલા હોવાથી અહીં તેમણે અનેક ચોરીઓનો ભેદ ઉકેલી દીધો હતો.જેથી 1962 માં પોલીસમાં પગી તરીકે ભરતી કરવામાં આવી હતી.તેમની આ કલાની ખબર ભારતીય સૈન્યને પણ પડી હતી.
તે સમયે 1965ના યુદ્ધમાં પણ વિઘાકોટ સુધી પાકિસ્તાની સૈન્ય આવી જતા રણમાં થઇને જવામાં રણછોડ પગીએ ખૂબ જ મદદ કરી હતી અને ત્યાં પાકિસ્તાની સૈન્યમાં કેટલા લોકો છે? ક્યાં છુપાયેલા છે? તમામ માહિતી આપી હતી અને હિન્દુસ્તાની ફોજે વિજય મેળવ્યો હતો.
1971ના યુદ્ધમાં શું મદદ કરી ?
1971માં નડાબેટથી પાછળ સુધી હવામાન ભારતીય સૈન્યને રણછોડ રબારીએ ખૂબ જ મદદ કરી હતી. ભારતીય સૈનિકો પાસે દારૂગોળો ખૂટી જતાં અને કટોકટીના સમયમાં સતત બે દિવસ સુધી રણછોડ રબારી ઊંટ પર દારૂગોળો ખુફિયા માર્ગેથી પૂરો પાડ્યો હતો.
રણછોડ પગીએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. કામગીરીથી ખુશ થઈને અનેકવાર તેમને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાને 50 હજારનું ઇનામ જાહેર કર્યું હતું
પાકિસ્તાનમાં ત્રણ પોલીસકર્મીઓને મારીને કોઠીમાં પુરી આવ્યા બાદ વારંવાર પાકિસ્તાનને ધૂળ ચટાડવામાં અગત્યની ભૂમિકા ભજવનાર રણછોડ રબારી પર પાકિસ્તાનમાં જીવતો કે મરેલો લાવનારને 50 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
રણછોડ પગનીનું ક્યારે નિધન થયું
રણછોડભાઈ પગી 1962 થી લઈ 1993 સુધી પોલીસમાં પગી તરીકે ફરજ બજાવી. આમ 30 વર્ષના સમયગાળામાં રણછોડભાઈ પગીએ અનેક વાર પોલીસને મદદ કરી. વર્ષ 2013માં તેમનું નિધન થયું હતું. તેમની પ્રેરણા લઈ તેમનો પૌત્ર વિષ્ણુભાઈ ભલાભાઈ રબારી અત્યારે પગી તરીખે ઓળખાય છે.
2014માં પોલીસે રણછોડભાઈ પગીની સારી કામગીરીને લઈને ફરી પગીની ભરતી બહાર પાડી હતી.જેમાં વિષ્ણુભાઈ ભલાભાઇ રબારી માવસરી પોલીસ સ્ટેશન પગી તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવે છે.
તેમના જીવનચરિત્ર પર હિન્દી ફિલ્મ બની
વીર બહાદુર સપૂત પર તાજેતરમાં બોલીવુડ દ્વારા હિન્દી ફિલ્મ બનાવી છે. જથી તેમના પરિવારજનો અને ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી છે.