જિગ્નેશ મેવાણીએ ભાજપના તમામ સમીકરણો ફેરવી નાંખી જીત મેળવી
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ત્યારે વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણીની જીત થઈ છે. ત્યારે તેણે ભાજપના તમામ સમીકરણો ફેરવી નાંખ્યા છે. આવો જાણીએ સમગ્ર માહિતી...
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણીનો વિજયી થયો છે. ત્યારે મેવાણીએ ભાજપના તમામ સમીકરણો પર પાણી ફેરવી નાંખ્યું છે. ગત 2017માં અપક્ષ તરીકે ચૂંટણી લડનારા જિગ્નેશ મેવાણી જીત્યા હતા અને આ વખતે તેઓ કોંગ્રેસમાંથી ઊભા રહ્યા હતા અને ફરી એકવાર જીતી ગયા છે. તેમના મતવિસ્તારમાં જિગ્નેશની લોકપ્રિયતાએ ભાજપ અને આપને પાછળ પાડી દીધાં છે.
2017માં અપક્ષ જીત્યા હતા
અનેક આંદોલનમાં તેઓ મુખ્ય ચહેરો બન્યા હતા અને લોકોમાં લોકપ્રિય બન્યા હતા. આ વખતે કોંગ્રેસે તેમને ટિકિટ આપી હતી તો ભાજપે મણિલાલ વાઘેલાને ટિકિટ આપી હતી. ઉલ્લેખનીય છે કે, મણિલાલ પહેલાં પણ આ સીટ પરથી કોંગ્રેસમાંથી જીતીને ધારાસભ્ય રહી ચૂક્યાં છે. 2017માં આ સીટ પરથી ભાજપે વિજય ચક્રવર્તીને ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીને ટેકો જાહેર કર્યો હતો. ત્યારે જિજ્ઞેશ મેવાણી ભાજપના ઉમેદવાર સામે 19 હજાર મતથી જીત્યા હતા.
મુસ્લિમ-દલિત સમાજનું વર્ચસ્વ
જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો વડગામ વિધાનસભા વિસ્તારમાં 25.9 ટકા વસતી મુસ્લિમોની છે. જ્યારે 15.5 ટકા વસતી દલિતની છે. અન્યમાં 9.5 ઠાકોર, 16.4 ચૌધરી, 5.6 ટકા રાજપૂત, 25.9 અન્ય જાતિનું આ બેઠક પર પ્રભુત્વ છે. ઉલ્લેખનીય છે કે, જિજ્ઞેશ મેવાણી દલિત નેતા તરીકે રાષ્ટ્રીય ચહેરા તરીકે ઉભરી આવ્યો હતો. ત્યારે આ વખતે ભાજપ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થશે.
કોણ છે જિજ્ઞેશ મેવાણી?
જિજ્ઞેશ મેવાણી વડગામના અપક્ષ ધારાસભ્ય, દલિત અને સામાજિક કાર્યકર છે. તેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી તેઓ પાર્ટીમાં જોડાયા નથી. જિજ્ઞેશ ગુજરાતના રાજકારણમાં મોટા દલિત નેતા છે. જિજ્ઞેશે આઝાદી કૂચ આંદોલન ચલાવી હતી. જેમાં તેમણે 20 હજાર જેટલા દલિતોને મૃત પશુઓ ન ઉપાડવા અને હાથથી સફાઈ ન કરવાના શપથ લેવડાવ્યા હતા. 11 ડિસેમ્બર,1980ના રોજ ગુજરાતના મહેસાણામાં જન્મેલા મેવાણી હવે અમદાવાદના દલિત વર્ચસ્વવાળા વિસ્તાર મેઘાણીનગરમાં રહે છે. તેમના પિતા મ્યુનિસિપલ કર્મચારી હતા.
આ વિધાનસભા સીટમાં કયા ગામોનો સમાવેશ થાય છે?
વડગામ વિધાનસભા બેઠકમાં વડગામ તાલુકા ઉપરાંત પાલનપુર તાલુકાના ૩૨ ગામોનો સમાવેશ થાય છે. તેમાં વડગામ તાલુકો, પાલનપુર તાલુકાના હાથીદ્રા, કુમ્પર, ગોઢ, ધાંધા, ખાસા, હોડા, ગલવાડા, સગ્રોસણા, ભાગલ (જગાણા), માણકા, ગોલા, મેરવાડા (રતનપુર), વાગદા, જગાણા, વાસણા (જગાણા), બદરપુરા (કાલુસણા), સરીપાડા, પટોસણ, સલ્લા, સાસમ, તાકરવાડા, ટોકરીયા, સેદરાસણા, અસ્માપુરા (ગોદા), ખામોડિયા, જાસલેની, બદરગઢ, કાણોદરનું પ્રતિનિધિત્વ કરે છે.