Home /News /banaskantha /Gujarat Election 2022: દિયોદર વિધાનસભા બેઠકનો ચિતાર: અહીં સમજો કેવુ છે ચૂંટણીનુ ગણિત?
Gujarat Election 2022: દિયોદર વિધાનસભા બેઠકનો ચિતાર: અહીં સમજો કેવુ છે ચૂંટણીનુ ગણિત?
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપની વોટબેંક ગણાય છે
Deodar assembly constituency : દિયોદર વિધાનસભા બેઠક પર 1998 થી ભાજપનો દબદબો રહ્યો છે. જોકે પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનોની અસર 2017 ની ચૂંટણીમાં જોવા મળી હતી. જેમાં 6 બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી.
Gujarat Assembly election 2022 : ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનુ શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્ત્વનું પરિબળ બની જાય છે ત્યારે આ વખતે જંગ ફક્ત ભાજપ-કૉંગ્રેસ પૂરતો સીમિત નથી પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે. આ તમામ પરિસ્થિતી વચ્ચે ગુજરાતમાં હવે ચૂંટણીની મોસમ જોશભેર ખીલી રહી છે. છેલ્લા બે દશકાથી ગુજરાતમાં ભલે ભાજપનું શાસન હોય પરંતુ આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ચિત્ર બદલી શકે છે. આ તમામની વચ્ચે આજે આપણે ચર્ચા કરીશું બનાસકાંઠાની દિયોદર વિધાનસભા બેઠક (Deodar assembly seat) વિશે.
દિયોદર બેઠક (deodar assembly constituency)
દિયોદર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. દિયોદર શહેર પાલનપુર થી 80 કિમી દૂર ભાભર-સુઈગામ હાઈવે ૫ર આવેલ છે.
દિયોદર બેઠક પર દિયોદર તાલુકો અને ડીસા તાલુકા ગામો જેવા કે જડીયાળી, ભાદરા, નાંદલા, ઉના સહિત કુલ 50 જેટલા ગામોનો સમાવેશ થાય છે. નવા સિમાંકનમાં વિધાનસભાના દિયોદર બેઠકમાં 31 ગામોનો ઘટાડો થવા પામ્યો છે.
અહીંયા 1998 થી ભાજપનો દબદબો રહ્યો છે. જોકે પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનોની અસર 2017 ની ચૂંટણીમાં જોવા મળી હતી. જેમાં 6 બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયત અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે. તો સહકારી ક્ષેત્રે ભાજપ વર્ચસ્વ ધરાવે છે.
બનાસકાંઠા જિલ્લો 2017 ના વિનાશક પુરમાં તબાહ થયો હતો. આ જળ પ્રલયમાં ગામે ગામ તણાઈ ગયા હતા. જેમાં દિયોદરમાં પણ તારાજી સર્જાઈ હતી. અનેક લોકો અને પશુઓ મોતને ભેટયા હતા, તેમજ અનેક પરિવારો બેઘર બન્યા હતા.
જાતિગત સમીકરણ
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપની વોટબેંક ગણાય છે. જ્યારે ઠાકોર વોટબેંક ઉપર કોંગ્રેસ પક્કડ ધરાવે છે.
અહીં બનાસકાંઠા જિલ્લામાં લોકસભા અને વિધાનસભાના પરિણામ સાવ અલગ આવે છે. વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દે લડાય છે અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જોઈ લોકો વોટ આપતા હોય પરિણામ જુદું જ આવતું હોય છે.
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ખેડૂત વર્ગનું પ્રભુત્વ રહેલું છે. તેમજ ઠાકોર અને ચૌધરી સમાજની મોટી વોટબેન્ક ધરાવે છે. અહીંના મતદારો ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપતા હોય છે.
હારજીતના સમીકરણો
વર્ષ
વિજેતા ઉમેદવારોના નામ
પક્ષ
1962
તારક કાળુભાઈ
INC
1972
વાધેલા લીલાધર
INC
1975
વાધેલા ગુલાબસિંહજી
INC
1980
વાધેલા ગુમાનસિંહજી
INC
1985
વાધેલા માનસિંહજી
INC
1990
પટેલ ભીમાભાઈ
JD
1995
વાધેલા ગુમાનસિંહજી
BJP
1998
વાધેલા લીલાધર
BJP
2002
પટેલ ભીમાભાઈ
IND
2007
માળી અનિલકુમાર
BJP
2012
ચૌહાણ કેશવજી
BJP
2017
ભૂરિયા શિવાભાઈ
INC
2012ની ચૂંટણીમાં ભાજપના કેશાજી ચૌહાણનો વિજય થયો હતો. ગત ચૂંટણીમાં અહીં 198558 મતદારો હતા. ભાજપે તેમને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. INCના ભુરિયા શિવાભાઈ અમરાભાઈ 80432 મતોથી જીત્યા. તેમણે ભાજપના ચૌહાણ કેશાજી શિવાજીને 972 મતોના નાના અંતરથી હરાવ્યા હતા. જનતાએ ભાજપના ઉમેદવારને 79460 મત આપ્યા હતા.
નોંધનીય છે કે, અહીંથી ભાજપ સતત બે વખત જીતી રહી હતી. ગત વખતે કોંગ્રેસે ત્રણ દાયકા બાદ અહીં જીતનો સ્વાદ ચાખ્યો છે. 1985માં છેલ્લી વખત અહીં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા.
2012માં ભાજપને 115 બેઠકો મળી હતી, ભાજપને 47.9% વોટ મળ્યા હતા. 2012માં કોંગ્રેસે 61 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 38.9% મત મળ્યા હતા.
લોકસભામાં સ્થિતી
2014ની ચૂંટણી દરમિયાન આ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીએ (507856 મત) કૉંગ્રેસના ઉમેદવાર જોઇતાભાઈ પટેલને (305522) લગભગ બે લાખ મતે પરાજય આપ્યો હતો. છતાં 16મી લોકસભા દરમિયાન મોદી સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હરિભાઈને પડતા મૂકીને પરબત પટેલને ટિકિટ આપી હતી,
જેમણે ત્રણ લાખ 68 હજાર 296 મતે કૉંગ્રેસના પરથીભાઈ ભટોળને પરાજય આપ્યો હતો. તે સમયે 1096938 મતો સાથે 64.67 ટકા મતદાન નોંધાયું હતું. વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા તથા દિયોદર વિધાનસભા ક્ષેત્ર આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
2009ની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઉમેદવાર મુકેશભાઈ ગઢવીને (44.78 %) મત અને ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીને (43.78 %) મત મળ્યા હતા. હરિભાઈનો લગભગ 10,301 મતથી પરાજય થયો હતો. વર્ષ 2008માં લોકસભા અને વિધાનસભાની બેઠકોનું પુનઃસીમાંકન કરવામાં આવ્યું હોવાથી 'જ્ઞાતિ-જાતિ અને વિસ્તાર'ની દૃષ્ટિએ ત્યારપછી યોજાયેલી ચૂંટણીનો અભ્યાસ આદર્શ ગણવામાં આવે છે.
મતદારોની સંખ્યા
કુલ મતદારો 2217913
પુરુષ મતદાર 1760691
સ્ત્રી મતદાર 1057274
ગત ચૂંટણીમાં દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં થયેલા પહેલા તબક્કાના મતદાનમાં 68.78 ટકા મતદાન થયું હતું, જેમાં 70 ટકા પુરૂષ અને 67.49 મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બેઠકની વિશેષતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રિ દિવસીય ગુજરાત પ્રવાસમાં તેમણે બનાસકાંઠાના દિયોદરમાં 151 વિઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસિસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.
વિવાદ
સિંચાઇ અને પીવાના પાણીની માંગ સાથે નર્મદા કમાન્ડ એરિયા બહારના 97 ગામોને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવેશની માંગને લઇને ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને બાઈક રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાન ખેડૂતો જોડાયા હતા.
પાણીની અછતના પગલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર,પાલનપુર અને વડગામમાં પણ જળ આંદોલનના એંધાણ જોવા મળ્યા હતા. ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પોકાર ઉઠવા પામેલ છે, ત્યારે ચાલુ વર્ષે અગાઉ પણ ખેડૂતો પાણીની માંગને લઈને આંદોલન છેડાયું હતું. પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને પાણી છોડવાની માંગ સ્વીકારી અને 10 દિવસ માટે પાણી આપવાની વાત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં 10 દિવસ માટે પાણી છોડવાની વાત કરાઈ હતી અને માત્ર 8 દિવસ માટે જ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું હતું અને પછી બંધ થઈ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.