આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોનાકાળમાં લોકડાઉન સમયે અકસ્માત(Accident)ની ઘટનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉન(Lockdown)માં છૂટછાટ બાદ ફરી એકવાર અકસ્માતની ઘટનાઓની જાણે રમઝટ બોલી છે. રોજે-રોજ રોડ અકસ્માત(Road Accident)માં લોકોના કમોતે મોત થઈ રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લામાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે પિતરાઈ ભાઈના સ્થળ પર જ મોત નિપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાંતીવાડા પાસે મોડીરાત્રે હિટ એન્ડ રન(Hit & Run)ની ઘટના સામે આવી છે. જેમાં બાઈકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
દાંતીવાડા પાસે મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સર્જાતાં બાઇક સવાર બે યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. દાંતીવાડા ખાતે રહેતા જેતાજી વેડંચીયા તથા મંગળજી વેડંચીયા તેમના પિતરાઈ ભાઈ પિન્ટુજી રોઢાતર ને રામપુરા ખાતે મુકવા જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈકના બે ટુકડા થઈ ગયા હતા અને એક બાઈકનો એક ટુકડો ગાડી નીચે ત્રણ કિલોમીટર સુધી ઘસેડાયો હતો. આ અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે મૃતકના પરિવારજનો અને દાંતીવાડા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને યુવકોની લાશને પીએમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.