અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જતી હોય છે ત્યારે આજે મંગળવારે આણંદ અને દાહોદમાં રોડ અકસ્માતની બે ઘટનાઓ બની છે. જેમાં એક આણંદના વાસદ બોરસદ રોડ ઉપર ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી જેના પગલે બે લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે દાહોદમાં બાઇક ચાલકે પોલીસ કોન્સ્ટેબલે અડફેટે લેતા કોન્સ્ટેબલને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. આ બંને ઘટનાઓ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે સોમવારે મોડી રાત્રે આંદણના વાસદ બોરસદ રોડ ઉપર આસોદર ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી. જેના પગલે બાઇક ઉપર સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકની હાલત ગંભીર હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે આંકલાવ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે.
આ ઉપરાંત દોહાદ જિલ્લામાં પણ સોમવારે રાત્રે વાહન ચેકિંગ દરમિયાન બાઇક ચાલકે પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લીધો હતો. આમ પોલીસ કોન્સ્ટેબલને માથાના ભાગે ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં બાઇક ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં અકસ્માતમાં ચાલુ ફરજ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું મોત થયાની ઘટના બની છે. વાહન ચેકિંગ દરમિયાન સ્પિડમાં આવેલી કાર બેરીગેટને અથડાતા બેરીગેટ પીએસઆઇના માથાના ભાગે અથડાતા ગંભીર ઇજાગ્રસ્ત PSIનું ચાલુ ફરજે મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી.