Home /News /anand /Gujarat election 2022: આણંદના સોજિત્રા વિધાનસભા મત વિસ્તારની કેવી છે સ્થિતિ? શું છે સ્થાનિકોની સમસ્યા?
Gujarat election 2022: આણંદના સોજિત્રા વિધાનસભા મત વિસ્તારની કેવી છે સ્થિતિ? શું છે સ્થાનિકોની સમસ્યા?
આણંદની સોજિત્રા બેઠક પરના જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર પાટીદાર, કોળી અને રાજપૂત સમાજનુ વર્ચસ્વ જોવા મળે છે.
sojitra assembly constituency : આણંદની સોજિત્રા બેઠક પરના જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર પાટીદાર, કોળી અને રાજપૂત સમાજનુ વર્ચસ્વ જોવા મળે છે. એટલે કે આ જાતિના મતો આ બેઠક પર ઉમેદવારની હારજીત માટેનુ મુખ્યય પરિબળ ગણવામાં આવે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly election 2022)ની તૈયારીઓ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા શરુ કરી દેવામાં આવી છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીની તૈયારીઓ જોવા મળે છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીનું મતદાન શરુ થાય તે પહેલાં રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી (Election) ઢંઢેરો જાહેર કરવામાં આવે છે અને આવનારા પાંચ વર્ષ દરમિયાન જો પક્ષ સત્તામાં આવશે તો કયા કામને પ્રાધાન્ય આપશે તે અંગેના મુદ્દા રજૂ કરવામાં આવે છે.
આ તમામ પ્રક્રિયા અંતર્ગત ચૂંટણીની તારીખો (Election dates) જાહેર થાય તે પહેલા જ તમામ પક્ષો દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને વિવિધ બેઠકોની મુલાકાત લઈ ત્યાંના સંભવિત ઉમેદવારો (Candidates) અને પ્રશ્નો અંગે સમીક્ષાઓ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા અમે આપની સમક્ષ વિવિધ બેઠકોનો રિપોર્ટ લઈને આવીએ છીએ. જે અંતર્ગત આજે આપણે આણંદ જીલ્લાની સોજિત્રા બેઠક (Sojitra assembly seat) વિશે વાત કરીશું.
સોજિત્રા બેઠક (sojitra assembly constituency)
સોજીત્રા આણંદ જિલ્લામાં આવેલું છે. સોજિત્રા આઝાદીના ઈતિહાસ સાથે જોડાયેલુ શહેર છે. ભાલ પંથકનો પ્રવેશ દ્વાર ગણાતી સોજિત્રા બેઠક પર 104022 પુરુષ મતદારો, 9524 સ્ત્રી મતદારો મળીને કુલ 199051 મતદારો હોવાનો અંદાજ છે. આ બેઠક અંતર્ગત સોજીત્રા તાલુકો અને તેના ગામ, તારાપુર તાલુકાના ગામ અને પેટલાદ તાલુકાના ગામોનો સામવેશ થાય છે.
સોજિત્રા બેઠકની ખાસિયત
આ બેઠક પર સવિસ્તાર નજર કરીએ તે પહેલા આ બેઠકના ઈતિહાસની ઝાંખી મેળવવી ખૂબ જરૂરી છે. કેમ કે આ એક એવુ સ્થળ છે જેનુ રાજકીય જ નહી પણ ઐતિહાસિક મહત્વ પણ ખૂબ વધારે છે. આઝાદીના લડવૈયા અને જાણીતા શિલ્પી કાંતિભાઈ પટેલનો જન્મ પણ સોજિત્રામાં જ થયો હતો. વિદ્યાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ તેમના દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. અહીં આવેલા કુંડ અને દિગંબર જૈનોના દેરાસરો બેનમૂન સ્થાપત્યોના ઉત્તમ ઉદાહરણ છે.
બેઠક પરના જાતિગત સમીકરણો
આણંદની સોજિત્રા બેઠક પરના જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર પાટીદાર, કોળી અને રાજપૂત સમાજનુ વર્ચસ્વ જોવા મળે છે. એટલે કે આ જાતિના મતો આ બેઠક પર ઉમેદવારની હારજીત માટેનુ મુખ્યય પરિબળ ગણવામાં આવે છે.
આણંદની સોજિત્રા બેઠક પર વર્ષ 2002 વિધાનસભા ચૂંટણી બાદ ભાજપનો કબજો હતો. વિધાનસભાના દંડક રહી ચૂકેલા અંબાલાલ રોહિત ધારાસભ્ય પદે રહ્યા હતા. જો કે હાલ રાજકીય ચિત્ર બદલતા છેલ્લી 2 ટર્મથી અહીં કોંગ્રેસનો કબજો જોવા મળી રહ્યો છે. આમ હાલ અહીં કોંગ્રેસનો પજા લહેરાઈ રહ્યો છે. જો રાજકીયવિદોનુ માનીએ તો વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં કાંટે કી ટક્કર જોવા મળશે.
2012માં આ બેઠક સામાન્ય બની હતી અને કોંગ્રેસના પૂનમ પરમાર વિજેતા થયા હતા. તેમને 65210 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર વિપુલ પટેલને 65048 મત મળ્યા હતા. એટલે કે કોંગ્રેસના ઉમેદવાર માત્ર 162 મતોના ઓછા માર્જીનથી ચૂંટણી જીતી શક્યા હતા. આ જ કારણ છે કે, ભાજપે વિપુલ પટેલ પર વિશ્વાસ મૂકીને ફરીથી ચૂંટણી લડી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારબદ વર્ષ 2017 માં ગુજરાતના આણંદ જિલ્લાની સોજિત્રા બેઠક પર કોંગ્રેસે જીતના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને કોંગ્રેસના ઉમેદવાર પૂનમ પરમારનો વિજય થયો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સમગ્ર ગુજરાત સાથે ચરોતર પણ તૈયાર બેઠું છે, આણંદ જિલ્લાની 7 બેઠકો પૈકી આ વખતની ચર્ચા માત્ર કઈ બેઠક ભાજપ મેળવશે અને કઈ બેઠક કોંગ્રેસને મળશે એ વાત પૂરતી મર્યાદિત નથી, આમ આદમી પાર્ટી પણ 2022માં કેટલી સીટો કબજે કરશે તેવી પણ નાગરિકો ચર્ચા કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટી કોના અને કેટલા વોટ કાપશે? તે અંગે વિચારી રહ્યા છે. તેની સ્પષ્ટતા આવતા હજી સમય લાગશે પણ સત્તા પક્ષ ભાજપ માટે આ બેઠક કપરા ચઢાણ બનતી જાય છે
સોજીત્રા બેઠક પર હાર-જીતના સમીકરણ
વર્ષ
વિજેતા ઉમેદવારનુ નામ
પક્ષ
2017
પુનમભાઈ પરમાર
INC
2012
પુનમભાઈ પરમાર
INC
2007
રોહિત અંબાલાલ
BJP
2002
રોહિત અંબાલાલ
BJP
1998
મકવાણા ભરતકુમાર
INC
1995
પરમાર ઈન્દ્રનાથ
BJP
1990
પરમાર જનાદનભાઈ
BJP
1985
મકવાણા શાંતાબેન
INC
1980
મકવાણા શાંતાબેન
INC
1972
વાધેલા દાદુભાઈ
INC
1967
આઈ સી પટેલ
INC
સોજીત્રા બેઠકની સમસ્યાઓ
આ બેઠક પર મુખ્ય સમસ્યાઓની વાત કરીએ તો સોજીત્રામાં મોટી જીઆઈડીસી તો સ્થાપવામાં આવી છે, પણ અહીંના સ્થાનિક યુવાનોને તેનાથી રોજગારીના કોઈ લાભ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક ઉદ્યોગોમાં બહારના લોકોને રોજગારી અપાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આવા અન્યાયને કારણે અહીંના યુવાનો બોરસદ, આણંદ અને છેક અમદાવાદ સુધી રોજગારી મેળવવા માટે લાંબા થાય છે. આ સિવાય સોજિત્રા અને તારાપુરમાં પણ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની ખૂબ અછત જોવા મળે છે.
લોકોનુ કહેવું છે કે પીવાના પાણી મુદ્દે જે વચનો આપવામાં આવ્યા હતા તે પૂર્ણ કરવામાં આવ્યા નથી. વરસાદી કાંસને લઈને ઉદ્ભવતા પ્રશ્નોનો પણ નિકાલ કરવામાં આવ્યો નથી. પ્રાથમિક સુવિધાઓ અંગે વાયદા પૂર્ણ ન કરવામાં આવતા અહીંના લોકોમાં હાલ કચવાટની લાગણી અનુભવાઈ રહી છે. ફેક્ટરીઓ દ્વારા છોડવામાં આવતા દૂષિચ પાણીને લઈને હજારો હેક્ટર કૃષિ લાયક જમીન બંજર બની ગઈ હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે.
આ સાથે જ તારાપુર અને આસપાસના વિસ્તારો અને ગામોમાં ચોમાસા દરમ્યાન પૂરના પાણી ફરી વળે છે. જેનો નિકાલ કરવાની માંગ કરવા છતા આ અંગે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત આરોગ્ય તંત્રની સુવિધા વધારવાની વાત પણ લાંબા સમયથી પેન્ડિંગ પડી રહી છે, જેના લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.