Home /News /anand /Anand: અહીં 200 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે; સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ નહીં થાય

Anand: અહીં 200 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે; સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ નહીં થાય

વડતાલમાં ભગવાન સ્વામિનારાયણનું 200 કરોડના ખર્ચે 1014 પિલર પર મ્યુઝિયમ બનશે

વડતાલમાં ભગવાન સ્વામિનારાયણનું 200 કરોડના ખર્ચે 1014 પિલર પર મ્યુઝિયમ બનશે અને 52 ફૂટની મૂર્તિ સ્થપાશે.ગોમતી તળાવ પાસે 24,594 ઘનફૂટ વિસ્તારમાં 5.5 ફૂટ ઊંડા પાયાનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે.

Salim Chauhan,Anand: ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે સ્થળ પર શિક્ષાપત્રીનું સર્જન કરાયું હતું, તે વડતાલધામમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે. અહીં આવતા ભક્તો ભગવાનની પ્રસાદીની ચીજવસ્તુઓના દર્શન કરવામાં વિશેષ રુચિ દાખવતા હોય છે. જેનું ધ્યાન રાખતા હવે મંદિર પ્રશાસન દ્વારા રૂપિયા .200 કરોડના ખર્ચે પ્રસાદીની ચીજવસ્તુઓનું મ્યુઝિયમ તૈયાર કરાઈ રહ્યું છે. 4.07 લાખ ચોરસ ફૂટમાં બનનારું આ મ્યુઝિયમ વિશ્વના સૌથી મોટા ચૂના અને પથ્થરના સિંગલ ફાઉન્ડેશન પર બનશે.

12 લાખ ઘનફૂટ પથ્થર અને 4,480 મેટ્રિક ટન ચૂનાનો ઉપયોગ

ગોમતી તળાવ પાસે વિશાળ 24,594 ઘનફૂટ વિસ્તારમાં 5.5 ફૂટ ઊંડા પાયાનું કામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે. મ્યુઝિયમની વિશેષતા એ છે કે, આ દુનિયાનું સૌથી મોટું ચૂના અને પથ્થરનું સિંગલ ફાઉન્ડેશન રાફ્ટ હશે. સમગ્ર બાંધકામ પાછળ 12 લાખ ઘનફૂટ પથ્થર અને 4,480 મેટ્રિક ટન ચૂનાનો ઉપયોગ કરાશે. સમગ્ર બાંધકામમાં ક્યાંય ઈંટ, સિમેન્ટ કે લોખંડનો ઉપયોગ નહીં થાય.

10 એપ્રિલ 2022 ના રોજ 108 સંતો અને 108 ભક્તો દ્વારા મ્યુઝિયમનો શિલાન્યાસ કરાયો હતો. પાયાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે પથ્થરોની ગોઠવણ સાથે મ્યુઝિયમની ગ્રાઉન્ડ લેવલની કામગીરી શરૂ થશે. ગાદીપતિ પૂ.રાકેશપ્રસાદજી મહાજના માર્ગદર્શન હેઠળ ચેરમેન પૂ.દેવપ્રકાસદાસજી, મુખ્ય કોઠારી ડો.સંત સ્વામી, સંત સમિતિના પ્રમુખ નૌતમ સ્વામી અને અન્ય સંતો પણ કામગીરીનું રાઉન્ડ ધ ક્લોક નિરીક્ષણ કરી રહ્યા છે.

પિલર પર 1352 કમાન અને એક મુખ્ય ઘુમ્મટનો આધાર રહેશે

ચૂના અને પથ્થરના મિશ્રણથી બની રહેલા આ મ્યુઝિયમમાં પીલરની ભૂમિકા મહત્વની છે. જેના કારણે કુલ 1014 પીલર ઉભા કરવામાં આવનાર છે. જેના પર 1352 કમાન અને એક મુખ્ય ઘુમ્મટનો આધાર રહેશે. આ મ્યુઝિયમમાં ભગવાનની 52 ફૂટ ઊંચી મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવશે, જે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

ચૂના-પથ્થરની બનાવટનું 2 હજાર વર્ષનું આયુષ્ય

આ મ્યુઝિયમમાં ચૂના અને પથ્થરનો ઉપયોગ થનાર છે, જેમાં સિમેન્ટ અને લોખંડના બદલે સેન્ડ સ્ટોન નામથી ઓળખાતા પથ્થરનો ઉપયોગ થઈ રહ્યો છે. આ પથ્થર એટલા તો મજબૂત હોય છે કે 2 હજાર વર્ષ સુધી બાંધકામ મજબૂત રહેશે.
First published:

Tags: Anand, Local 18, Swaminarayan, Vadtal