Home /News /amreli /બાળકો છૂટછાટથી રહે તેવો આસરો એટલે 'બાલઘર', નારી શક્તિનો અનોખો દાખલો મંદાકિની પુરોહિત

બાળકો છૂટછાટથી રહે તેવો આસરો એટલે 'બાલઘર', નારી શક્તિનો અનોખો દાખલો મંદાકિની પુરોહિત

નિરાધાર માટે માતા-ગુરુ-વાલીની ભૂમિકા ભજવી

બાબાપુર ગામના પૂર્વ સરપંચ મંદાકિની પુરોહિતે પોતાની સેવાકીય પ્રવૃત્તિ દ્વારા 'નારી શક્તિ' નો અનોખો દાખલો બેસાડ્યો છે. આ બાલઘરમાં અત્યાર સુધીમાં 100 જેટલા નિરાધાર દીકરા-દીકરીઓને આશરો મળ્યો છે. આ બાલઘર એટલું વિશિષ્ટ છે કે, તેમાં રહેતા નિવાસીઓ માટે કોઈ ચોપડે ચિતરેલા નિયમો નથી.

વધુ જુઓ ...
અમરેલી: આજે એટલે કે, 8મી માર્ચ સમગ્ર વિશ્વમાં 'મહિલા દિન' તરીકે ઊજવવામાં આવે છે. મહિલાઓનાં માન-સન્માન અને ગૌરવની ગાથા ગાવાના આ દિને અમરેલી જિલ્લામાં બાબાપુર સ્થિત સર્વોદય સરસ્વતી મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી આરઝી હુકુમતના સેનાપતિ અને સ્વાતંત્ર્ય સેનાની ગુણવંત પુરોહિતના પુત્રી અને બાબાપુર ગામના પૂર્વ સરપંચ મંદાકિની પુરોહિતે પોતાની સેવાકીય પ્રવૃત્તિ દ્વારા 'નારી શક્તિ' નો અનોખો દાખલો બેસાડ્યો છે.

બાબાપુર સંસ્થામાં શિક્ષણનો અલખ તો પહેલાંથી જ જાગેલી હતી, પરંતુ તેમાં નિરાધાર બાળકો માટે અનાથ આશ્રમને બદલે 'બાલઘર'નું નિર્માણ કરી મંદાકિની બહેને અનોખો ચીલો ચાતર્યો છે. ઉચ્ચ અભ્યાસ અને વિદેશમાં રહેવાની તક હોવા છતાં તેમને વારસામાં મળેલા પરિવારના સર્વોદય સંસ્કારોનાં પગલે ગ્રામોત્થાન, કેળવણી અને નિરાધાર બાળકોનો 'આસરો' બનાવાનું પસંદ કર્યુ હતું. બાબાપુર સંસ્થાના પ્રાંગણમાં આવેલા આ બાલઘરમાં અત્યાર સુધીમાં 100 જેટલા નિરાધાર દીકરા-દીકરીઓને આશરો મળ્યો છે. આ બાલઘર એટલું વિશિષ્ટ છે કે, તેમાં રહેતા નિવાસીઓ માટે કોઈ ચોપડે ચિતરેલા નિયમો નથી. બાળકોને પોતાના ઘરમાં રહેતા હોય તેવો જ અનુભવ આ સંસ્થામાં થાય છે. બાલઘર વિશે માહિતી આપતા મંદાકિની બહેને જણાવ્યું કે, મને નાનપણથી નિરાધાર બાળકો માટે એક આસરો કરવો હતો. જો કે, તેને અનાથ આશ્રમ નામ આપવાની કોઈ ઈચ્છા નહોતી. એક એવું ઘર જ્યાં નીતિનિયમ ન હોય અને બાળકો છૂટછાટથી રહી શકે તેવો આસરો એટલે અમારું બાલઘર.

આ પણ વાંચો: ગુંડા આવે કે તીસ માર ખા! આ યુવતીઓનું કામ જોઈને લોકો કહે છે 'વાહ'

તેમણે વધુમાં કહ્યું કે, 'વર્ષ 1985-86માં તરવડા ખાતે રતુભાઈ અદાણીએ બાલઘર શરુ કર્યુ હતુ અને તે મને સામેથી મળ્યું જેને અમે બાબાપુર સ્થિત સંસ્થામાં લઈ આવ્યા હતા. મારે પોતાની જાતે જ આ બધુ કરવું હતું, એટલે મેં સંસ્થામાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી, ધીરે ધીરે છાત્રાલયના, ગામના તેમજ સંસ્થાના વિવિધ કામોની જવાબદારી ઉપાડી લીધી હતી. સૌના સાથ અને સહકારથી આ કાર્યને મારા જીવનનું મિશન બનાવી લીધું હતું. 3 બાળકોથી શરુ થયેલા બાલઘરમાંથી અત્યાર સુધીમાં 10 દીકરીઓનાં લગ્ન પણ થયા છે, એટલું જ નહીં આ દીકરીઓ પોતાની પ્રથમ પ્રસુતિ માટે માતાપિતાના ઘરે જાય એવી રીતે જ આ સંસ્થામાં પોતાની પ્રસુતિ માટે આવે છે.' બાલઘર ઉપરાંત આ સંસ્થાના કેમ્પમાં આસપાસના ગામોમાંથી અને વિવિધ વિસ્તારોમાંથી 600 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિઓનીઓ અભ્યાસ માટે આવે છે. મંદાકિની બહેન તેમના માટે પણ માતા સમાન જ છે.



વિશ્વ મહિલા દિન નિમિત્તે સંદેશો આપતા મંદાકિની બહેને જણાવ્યું કે, અત્યારે દીકરીઓ માટે સુંદર સમય છે, મહિલાઓ જે ધારે તે કરી શકે છે. એક શિક્ષિત માતા 100 શિક્ષકની ગરજ સારે છે. આ સાથે જ તેમણે કહ્યું કે, મને સ્ત્રી હોવાનું ગૌરવ છે, દરેક બહેનોને સ્ત્રી હોવાનું ગૌરવ હોવું જોઈએ. બહેનો પોતાની વિવેકબુદ્ધિનો સદ્ઉપયોગ કરી સમાજની પ્રગતિ માટે ઉપયોગી થઈ શકે તેવી શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી.

આ પણ વાંચો: વિમેન્સ ડે સ્પેશિયલ: ગાંધીનગરની આ યુવતી 13 વર્ષથી મહિલાઓને શીખવે છે આત્મરક્ષાના પાઠ

શું છે સર્વોદય સરસ્વતી મંદિર?

બાબાપુર સંસ્થા અમરેલી જિલ્લા મથકથી 17 કિ.મી દૂર બાબાપુર ગામમાં સ્થિત છે. જે લગભગ સાડા સાત દાયકાથી શ્રી સર્વોદય સરસ્વતી કેળવણી મંડળ વડે રાષ્ટ્રનિર્માણ કરવાના ઉદ્દેશથી શિક્ષણ, કૃષિ, ગૌ-સંવર્ધન, ઈત્યાદિ વિકાસનું કાર્ય કરી રહી છે. આ સંસ્થાને પ્રથમ સંચાલક લાલજીબાપા, બાલુભાઈ ભટ્ટ, ગુણવંતભાઈ પુરોહિત, હસુમતિ બહેન પુરોહિતથી લઈને હાલના પ્રમુખ વસંતભાઈ પરિખ સુધીના સેવાના ભેખધારીઓનો વારસો મળ્યો છે. આ સંસ્થા હેઠળ કુલ 15 હાઈસ્કુલ, 1 પીટીસી કોલેજ, બાલઘર અને એમ્બ્યુલન્સની સેવા પણ કાર્યરત છે. છેલ્લા 75 વર્ષમાં આ સંસ્થા અનેક ગૌરવશાળી કાર્યોની સાક્ષી રહી છે.
First published:

Tags: International womens day, Women Empowerment, Womens day