શિયાળું પાકમાં ચણાનું વાવેતર મોટા પ્રમાણમાં થયુ છે. પરંતુ ચણાનાં પાકમાં સુકારો આવતા 40 ટકા જેટલો પાક નષ્ટ થયો છે. ખેડૂતોએ ચણાનો પાક કાઢી અન્ય વાવેતર કરવાની નોબત આવી છે.
Abhishek Gondaliya. Amreli: દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે.બાબરા, ધારી, સાવરકુંડલા વિસ્તારમાં ચણાનું વાવેતર કરાયું છે. ચણાનાં પાકમાં સુકારો રોગ આવતા ખેડૂતો ચિંતિત થયા છે. અમરેલી જિલ્લામામ્ં 40 ટકા પાક નષ્ટ થઈ રહ્યો છે.
વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કઠોળ વર્ગમાં ચણાના પાકનું ખૂબ જ મહત્વ છે અને રાજ્યમાં મોટા વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે.
પરંતુ હાલ ચણાના પાકમાં સુકારા નામનો રોગ આવ્યો છે. સુકારા નામનો રોગ બીજ અને જમીનજન્ય ફૂગ મારફતે ફેલાય છે. આ રોગના કારણે પાક કોઈપણ અવસ્થામાં સુકાવા લાગે છે. મૂળમાં કાળી લીટી જોવા મળે છે. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો સમજવું કે. સુકારા નામનો રોગ છે.
રોગને અટકાવવા શું કરવું જોઈએ
ચણાની જાતમાં પાંચ નંબર અથવા છ નંબરની જાતનું વાવેતર કરવાથી સુકારા નામનો રોગ ઓછો જોવા મળે છે. બીજનું વાવેતર કરવા પહેલા ફૂગનાશક દવાનો પટ આપવો જોઈએ.
અથવાફૂગ નાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. પાકની ફેરબદલી કરવી એ અગત્યનો ભાગ ભજવે છે. ચણાનો પાક લીધા બાદ બાજરી અથવા જુવારનું વાવેતર કરવું જોઈએ. જેથી ફૂગ આવવાનું પ્રમાણ ઘટે છે, જેથી સુકારો રોગ આવતો નથી.